જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સેનાને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં જૈશના 3 આતંકી ઠાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Kishtwar Encounter: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ ભારતીય સેનાએ એક મોટી સફળતા મેળવી છે. કિશ્તવાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રવિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલા ભીષણ એન્કાઉન્ટરમાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ(JeM)ના ત્રણ ખૂંખાર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. સેનાએ આ ઓપરેશનને 'ત્રાશી-I'(Trashi-I) નામ આપ્યું હતું, જે હેઠળ ચટરુ બેલ્ટના પાસેરકુટ વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી બે AK-47 રાઈફલ સહિત મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. પહેલા 2 આતંકવાદીને ઠાર મરાયાની માહિતી મળી હતી, ત્યારબાદ હવે ત્રીજા આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો છે.
ત્રીજા આતંકવાદીનો સળગેલો મૃતદેહ મળ્યો
કિશ્તવાડમાં સર્ચ ઓપરેશન દરમિયાન ત્રીજા આતંકવાદીનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સેનાના વ્હાઇટ નાઈટ કોર્પ્સે X પરની એક પોસ્ટમાં આ માહિતી શેર કરી હતી. પોસ્ટમાં લખ્યું છે કે, "કિશ્તવાડ જિલ્લામાં ઓપરેશન ત્રાશી-1 ના ભાગ રૂપે CIF (કાઉન્ટર ઇન્ટેલિજન્સ ફોર્સ) ડેલ્ટા, પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના કર્મચારીઓએ ત્રીજા આતંકવાદીનો સળગેલો મૃતદેહ અને હથિયારો કબજે કર્યા છે."
પોલીસ, IB અને સેનાની ત્રિપુટીએ કિશ્તવાડના પહાડોમાં આતંકીઓને ઘેર્યા
આ સફળ ઓપરેશન પાછળ સુરક્ષાદળોની સચોટ વ્યૂહરચના અને મજબૂત ઇન્ટેલિજન્સ નેટવર્ક જવાબદાર હતું. જમ્મુ-કાશ્મીર પોલીસ, IB અને ગુપ્તચર સંસ્થાઓ પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે કિશ્તવાડના મુશ્કેલ પહાડી વિસ્તારોમાં આ સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સેનાની 'વ્હાઈટ નાઈટ કોર'ના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે લગભગ 11 વાગ્યે સીઆઈએફ(ડેલ્ટા), પોલીસ અને સીઆરપીએફની ટુકડીઓનો સામનો આતંકવાદીઓ સાથે થયો હતો. આતંકવાદીઓ પહાડીની તળેટીમાં એક કાચા માટીના મકાનમાં છુપાયેલા હતા અને તેમણે સર્ચ પાર્ટી પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેનો સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.
આ પણ વાંચો: '100 MLA લાવો અને CM બનો...', યોગીના વિદેશ પ્રવાસ વચ્ચે અખિલેશે કોને આપી ઓફર?
ઠાર થયેલા બંને આતંકવાદીઓ પાકિસ્તાની નાગરિક હોવાનું આવ્યું સામે
સેનાએ સ્પષ્ટ કર્યું છે કે આ વિસ્તારમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા કોઈપણ તત્વોને બક્ષવામાં આવશે નહીં અને 'શિકાર' હજુ ચાલુ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઠાર થયેલા બંને આતંકવાદીઓ પાકિસ્તાની નાગરિક હતા. નોંધનીય છે કે, છેલ્લા એક મહિનામાં ચટરુના જંગલોમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અનેકવાર અથડામણ થઈ છે. આ લેટેસ્ટ સફળતા સાથે, આ વર્ષે જમ્મુ વિસ્તારમાં અત્યાર સુધીમાં જૈશ-એ-મોહમ્મદના કુલ 6 આતંકવાદીઓને ઠાર કરવામાં સેનાને સફળતા મળી છે, જે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં એક મોટું પગલું ગણાય છે.








