BIG NEWS: સિંધુ સંધિ પર રોક બાદ પાકિસ્તાનને બીજો સૌથી મોટો ઝટકો, હાઇડ્રો પ્રોજેક્ટ પર કામ શરૂ
India suspends water flow to Pakistan: પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ કરાર સસ્પેન્ડ કરી દીધા છે. આ નિર્ણય પર કામગીરી કરતાં ભારતે ચિનાબ નદીના પાણી રોક્યા છે. જો કે, જળ સ્તર વધતાં તેના સંગ્રહ માટે ભારતે કાશ્મીરના હિમાલય ક્ષેત્રમાં સ્થિત બે જળવિદ્યુત પરિયોજના (હાઈડ્રો પ્રોજેક્ટ) પર કામગીરી શરૂ કરી દીધી છે.
મીડિયા સુત્રો અનુસાર, જમ્મુ-કાશ્મીરના ચિનાબ નદી પર બે વર્તમાન જળવિદ્યુત પરિયોજનાઓ સલાલ અને બગલિહાર ડેમમાં જળ સંચય ક્ષમતા વધારવા કામ શરૂ કર્યું છે. ભારતની સૌથી મોટી હાઈડ્રોપાવર કંપની NHPC અને જમ્મુ-કાશ્મીર સરકારે જળાશયોમાં જમા કાદવ હટાવવા માટે ફ્લશિંગ પ્રક્રિયા પણ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે, હાઈડ્રો પ્રોજેક્ટ્સ માટે કાદવ-કીચડને બહાર કાઢવા માટે જળાશયને લગભગ ખાલી કરવો પડે છે. 1થી 3 મે દરમિયાન આ કામગીરી ચાલી હતી.
જળસંચય ક્ષમતા વધારાશે
હિમાલય ક્ષેત્રમાં ડઝનથી વધુ પરિયોજનાઓ છે. બગલિહાર અને સલાલ ડેમના દરવાજા બંધ કરાતાં એકબાજુ પાકિસ્તાન તરફનું વહેણ સુકાઈ રહ્યું છે. જ્યારે ભારતમાં જળ સ્તર વધુ હોવાથી તેની સંગ્રહ ક્ષમતા વધારવી આવશ્યક છે. જેની કામગીરી 1 મેથી શરૂ થઈ ગઈ છે.
વિદ્યુત ઉત્પાદન વધશે
સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરાતાં ભારતમાં જળસંચય વધશે. ફ્લશિંગ પ્રક્રિયા શરૂ થતાં વિદ્યુત ઉત્પાદન વધવાની શક્યતા છે. ટર્બાઈનમાં થતાં નુકસાનમાં પણ ઘટાડો થશે. 690 મેગાવોટની સલાલ પરિયોજના દ્વારા થતું વીજ ઉત્પાદન ઘણુ ઓછું છે. જેની પાછળનું કારણ પાકિસ્તાન દ્વારા ફ્લશિંગ પર રોક હતું. પરંતુ હવે ફ્લશિંગ પ્રક્રિયા ભારત દ્વારા શરૂ કરાતાં વીજ ઉત્પાદન વધશે.
પાકિસ્તાનને હાલ કોઈ અસર નહીં
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન ખેતી સિંચાઈ અને જળ વિદ્યુત માટે ભારત થઈ વહેતી નદીઓ પર નિર્ભર છે. ભારતના આ નિર્ણયથી હાલ પાકિસ્તાનને કોઈ ખાસ જોખમ નથી. પરંતુ તે નવા પ્રોજેક્ટ્સ શરૂ કરી શકશે નહીં. તેમજ ભવિષ્યમાં અસર થઈ શકે છે. ઉલ્લેખનીય છે, કેન્દ્ર સરકાર ટૂંકસમયમાં જેલમ નદીના પાણીનો પ્રવાહ રોકવા કિશનગંગા ડેમના દરવાજા બંધ કરશે.