Cyclone Montha Landfall Update: બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા લૉ પ્રેશરને કારણે ચક્રવાતી વાવાઝોડું 'મોનથા' પૂર્વી કિનારા તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે આંધ્રપ્રદેશ, ઓડિશા અને તમિલનાડુ આ ત્રણેય રાજ્યોમાં ભારે પવન અને ભારે વરસાદ પડી રહ્યો છે. ઓડિશા સરકારે તમામ 30 જિલ્લાઓને એલર્ટ આપ્યું છે. તેમજ પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાની અસર જોવા મળશે. તો આંધ્રપ્રદેશ સરકારે મોનથા વાવાઝોડાના પગલે રાહત અને આવશ્યક પુરવઠા માટે એક કાર્ય યોજના તૈયાર કરવામાં આવી છે. સેનાની ટીમ પણ એલર્ટ મોડ પર છે.
આ પણ વાંચો: '21મી સદી ભારત અને આસિયાનની સદી', ASEAN સમિટમાં બોલ્યા PM મોદી
હવામાન વિભાગે માછીમારોને સમુદ્રમાંથી પરત આવી જવા અને દરિયા કિનારાથી દૂર રહેવા ચેતવણી આપી છે. આ વાવાઝોડાની અસર 30 ઓક્ટોબર સુધી રહેશે. આંધ્રપ્રદેશ, ઓડિશા અને તમિલનાડુ ત્રણ રાજ્યોમાં જ નહીં, પરંતુ તમામ દરિયાકાંઠાના રાજ્યોમાં પણ વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જારી
IMDએ ઓડિશાના અનેક દક્ષિણ અને દરિયાકાંઠાના જિલ્લાઓ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યું છે. કેટલાક સ્થળોએ 20 સેન્ટિમીટરથી વધુ વરસાદ પડવાની સંભાવના છે. ઓડિશાના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ 30 જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે, અને બચાવ રાહત કામગીરી માટે કર્મચારીઓ અને મશીનરી તૈયાર છે.
સરકારી કર્મચારીઓની રજા રદ કરાઈ
ઓડિશાના મંત્રીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદ અને સપાટી પરના પવનના કારણે ઘણા વિસ્તારોને અસર કરે તેવી શક્યતાને ધ્યાનમાં લઈને જિલ્લા મેજિસ્ટ્રેટને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવા સૂચના આપી છે. તેમણે જણાવ્યું હતું કે, દરિયાકાંઠા અને દક્ષિણ પ્રદેશોના 15 જિલ્લાઓ ચક્રવાતી વાવાઝોડાથી પ્રભાવિત થવાની સંભાવના છે. દરમિયાન, પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દક્ષિણ અને દરિયાકાંઠાના પ્રદેશોના આશરે સાત જિલ્લાઓએ સરકારી કર્મચારીઓની રજા રદ કરી છે.
NDMAએ ટીમો સેના સાથે એલર્ટ પર
ઝડપથી વધી રહેલા ચક્રવાતી વાવાઝોડા 'મોનથા'ને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. મધ્ય-પૂર્વીય અરબી સમુદ્ર અને દક્ષિણપૂર્વીય બંગાળની ખાડી પર વિકસિત થતી બે અલગ અલગ હવામાન પ્રણાલીઓ આગામી 48 કલાકમાં ચક્રવાત મોનથામાં તીવ્ર બને તેવી શક્યતા છે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) અને સંબંધિત રાજ્ય સરકારો દ્વારા ચક્રવાતી વાવાઝોડાની સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: 5 વર્ષ બાદ ભારત અને ચીન વચ્ચે ફરી ડાયરેક્ટ ફ્લાઈટ સેવા શરૂ, કોલકાતા એરપોર્ટથી પ્રથમ ઉડાન
તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બનવાની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 'આગામી 24 કલાક દરમિયાન તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને દક્ષિણપશ્ચિમ અને સંલગ્ન પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે.


