Get The App

વિમાનની ટિકિટ બુકિંગના 48 કલાકમાં કેન્સલ કરો તો કોઇ ચાર્જ નહીં લાગે

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
વિમાનની ટિકિટ બુકિંગના 48 કલાકમાં કેન્સલ કરો તો કોઇ ચાર્જ નહીં લાગે 1 - image

- એરલાઇન્સે પેસેન્જરને કેન્સલ થયેલી ટિકિટનું રિફંડ ૧૪ દિવસમાં આપવું પડશે 

- પ્રવાસની તારીખ ડોમેસ્ટિક ફલાઇટમાં અઠવાડિયા પછીની અને ઇન્ટરનેશનલ ફલાઇટમાં પખવાડિયા પછીની હશે તો જ આ વિકલ્પ મળશે

નવી દિલ્હી : નાગરિક ઉડ્ડયન વિભાગના નિયામક ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન- ડીજીસીએ દ્વારા એરલાઇન્સના રિફંડના ધારાધોરણોમાં કરવામાં આવી રહેલાં ફેરફાર અનુસાર વિમાનપ્રવાસીઓ હવે ટિકિટનું બુકિંગ કરાવ્યા પછી અમુક શરતોને આધીન રહી કોઇ વધારાનો ચાર્જ ચૂકવ્યા વિના ૪૮ કલાકમાં તેને કેન્સલ કે તેમાં ફેરફાર કરી શકશે. જો કે આ વિકલ્પ ડોમેસ્ટિક સેકટરમાં પ્રવાસની તારીખ સાત દિવસ કરતાં વહેલી અને ઇન્ટરનેશનલ સેક્ટરમાં ૧૫ દિવસ કરતાં વહેલી હશે તો નહીં મળે.

ડીજીસીએએ એમ પણ જણાવ્યું હતું કે  એરલાઇન્સની વેબસાઇટ  પરથી ટિકિટનું બુકિંગ કરાવ્યું  હોય તો તેના ૨૪ કલાકમાં પેસેન્જર તેના નામમાં રહી ગયેલી ભૂલ દર્શાવે તો તેને સુધારવાનો એરલાઇન્સે કોઇ ચાર્જ ન લેવો જોઇએ. પણ જો ટિકિટ ટ્રાવેલ એજન્ટ કે પોર્ટલ દ્વારા બુક કરાવવામાં આવી હોય તો રિફંડ આપવાની જવાબદારી એરલાઇન્સની રહેશે કેમ કે એજન્ટ એ તેમના દ્વારા નીમવામાં આવેલા પ્રતિનિધિઓ છે. એરલાઇન્સે રિફંડની પ્રક્રિયા ૧૪ દિવસમાં પુરી થઇ જાય તે સુનિશ્ચિત કરવું જોઇએ. 

વિમાનપ્રવાસીઓ  દ્વારા રિફંડ સમયસર મળતું ન હોવાની ફરિયાદોને પગલે  રિફંડ ઓફ એરલાઇન ટિકિટ્સ ટુ પેસેન્જર્સ ઓફ પબ્લિક ટ્રાન્સપોર્ટ  અંડરટેકિંગ્સ માટે સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ્સ-સીએઆર-માં સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારેલા સીએઆર ૨૪ ફેબુ્રઆરીએ જારી કરવામાં આવ્યા હતા. 

હવે એરલાઇન્સને પેેસેન્જર્સ ટિકિટ બુક કરાવે તેના પછી ૪૮ કલાકનો લુક ઇન ઓપ્શન પુરો પાડવા માટે પણ જણાવવામાં આવ્યું છે. આ સમયગાળામાં પ્રવાસી પ્રવર્તમાન ભાડાંને બાદ કરતાં કોઇ વધારાનો ચાર્જ ચૂકવ્યા વિના ટિકિટ કેન્સલ કે તેમાં ફેરફાર કરાવી શકશે. જો કે ૪૮ કલાક બાદ આ વિકલ્પ મળશે નહીં અને પેસેન્જરે જરૂરી કેન્સલેશન ફી ચૂકવવાની રહેશે. 

ડિસેમ્બર ૨૦૨૫ માં શેડયુલ્ડ એરલાઇન્સને પ્રવાસી વિષયક કુલ ૨૯,૨૧૨ ફરિયાદો મળી હતી. જેમાંથી સાડા સાત ટકા ફરિયાદો રિફંડ સબંધિત હતી. ડીજીસીએના ડેટા અનુસાર ડિસેમ્બર ૨૦૨૫માં ડોમેસ્ટિક કેરીઅર્સ માં ૧.૪૩ કરોડ કરતાં વધારે પ્રવાસીઓએ પ્રવાસ કર્યો  હતો.