રાહુલ ગાંધી જવાબ ઇચ્છતા હોય તો પત્ર લખે : ચૂંટણી પંચ

મહારાષ્ટ્ર ચૂંટણીમાં ધાંધલીના આરોપથી વિવાદ
ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થાઓ પાસે જવાબ માટે લેખિત રજુઆત જરૂરી હોવાનો દાવો
ચૂંટણી પંચના સુત્રોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ જે આરોપો લગાવ્યા તેના ૨૪ કલાક બાદ પણ ચૂંટણી પંચને કોઇ પત્ર નથી લખ્યો કે મુલાકાત માટે સમય નથી માગ્યો. કોઇ પણ બંધારણીય સંસ્થા, ચૂંટણી પંચ પણ જ્યારે કોઇ લેખિત રજુઆત કરે ત્યારે જ જવાબ આપવામાં આવે છે. માટે રાહુલ ગાંધી હવે પોતાના આરોપોને લઇને લેખિતમાં રજુઆત કરશે ત્યારે જ તેમને જવાબ આપવામાં આવશે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે સમાચારપત્રોમાં લેખ લખીને આરોપ લગાવ્યો હતો કે ગયા વર્ષે મહારાષ્ટ્રમાં વિધાનસભાની જે ચૂંટણી યોજાઇ હતી તે લોકશાહીમાં ફ્રોડની બ્લૂપ્રિન્ટ હતી, હવે આ મેચ ફિક્સિંગનું બિહારમાં પણ રિપીટેશન થશે. રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કેન્દ્રના સાંજના સીસીટીવી ફૂટેજ માગ્યા હતા. રાહુલ ગાંધીના આ આરોપો વચ્ચે ચૂંટણી પંચના સુત્રોએ કહ્યું છે કે રાહુલ ગાંધી દ્વારા લેખિતમાં કોઇ જ રજુઆત નથી થઇ, જ્યારે તેઓ લેખિતમાં રજુઆત કરશે ત્યારે જવાબ અપાશે.

