પાકિસ્તાની ગેંગનો ભોગ બન્યો ભારતીય પરિવાર, ઈરાન એરપોર્ટથી બંધક બનાવી 80 લાખ પડાવ્યાં
How Pakistani Gang Kidnapped Indians in Iran: કેનેડામાં વસવાટ કરવાના લોભમાં ઈરાન પહોંચેલા ધરમિન્દર સિંહ, તેમની પત્ની સંદીપ કૌર અને 12 વર્ષના પુત્ર માટે છેલ્લા નવ દિવસ પંજાબના રાહોંના આ પરિવાર માટે ડરામણા સ્વપ્ન સમાન હતા. એક આંતરરાષ્ટ્રીય ગેંગે તેમનું અપહરણ કરીને ખૂબ જ ટોર્ચર કર્યું હતું, પરંતુ આખરે ₹ 80 લાખની ખંડણી, જેમાં ₹ 74.5 લાખ રોકડા અને ઘરેણાંનો સમાવેશ થતો હતો, તે આપીને તેમને મુક્ત કરાવાયા. આ પરિવાર 5 ઓક્ટોબરના રોજ સુરક્ષિત ભારત પાછો ફર્યો.
તેહરાન એરપોર્ટ પરથી અપહરણ અને પાકિસ્તાની ગેંગનો પર્દાફાશ
મીડિયા રિપોર્ટ્સ મુજબ, 43 વર્ષીય ખેડૂત ધરમિન્દર સિંહે કેનેડા જવા માટે પંજાબના એક એજન્ટ સાથે ₹ 26 લાખમાં ડીલ કરી હતી, જેની ચુકવણી કેનેડા પહોંચ્યા પછી કરવાની હતી. એજન્ટે તેમને ભારતથી સીધા નહીં, પરંતુ ઈરાનના રસ્તે લઈ જવાનું કહ્યું હતું અને ત્યાં સુધીનો ખર્ચ પોતે ઉઠાવવાનો વિશ્વાસ આપ્યો હતો.
25 સપ્ટેમ્બરના રોજ, આ પરિવાર તેહરાન એરપોર્ટ પહોંચ્યો. એજન્ટના કહેવા મુજબ, તેઓએ એરપોર્ટની અંદર જ રોકાવું હતું, પણ જ્યારે કોઈ તેમને લેવા ન આવ્યું, ત્યારે સમય થતાં તેઓ બહાર નીકળ્યા. સંદીપ કૌરના જણાવ્યા અનુસાર, એક સ્થાનિક એજન્ટના માણસે ફોન કરીને કહ્યું કે તેમને લેવા કોઈ આવશે.
થોડી જ વારમાં એક ટેક્સી આવી અને એક વ્યક્તિએ પોતાને એજન્ટનો માણસ ગણાવ્યો. પરિવારે તે ટેક્સીમાં બેસીને, બે કલાકથી વધુ સમય સુધી એક સૂમસામ જગ્યાએ મુસાફરી કરી. ત્યાંથી આતંકનો સિલસિલો શરૂ થયો. ધરમિન્દર સિંહે જણાવ્યું, 'તેઓ પાકિસ્તાનથી હતા... તેમણે પહેલા મારા પતિને અને પછી મારા પુત્રને લઈ લીધા.'
અપહરણ બાદ ટોર્ચર અને ખંડણીની માંગણી
સંદીપ કૌરે રડતાં રડતાં જણાવ્યું કે, 'અપહરણકર્તાઓએ તેમના પાસપોર્ટ અને ફોન છીનવી લીધા અને ધરમિન્દર સિંહ તથા તેમના પુત્રને અલગ રૂમમાં દોરડાથી બાંધી દીધા.
આ સમયે ગેંગે ખુલાસો કર્યો કે તેઓ પાકિસ્તાન સાથે જોડાયેલા એક અંડરવર્લ્ડના લોકો છે અને તેમણે રૂ. 1.5 કરોડની ખંડણી માંગી. પરિવારે પંજાબમાં ધરમિન્દરના ભાઈ પરમજીતનો સંપર્ક કરાવ્યો અને ખંડણીની રકમ તેની પાસેથી જ માંગવામાં આવી.
જોકે, પરમજીતે ભારતીય દૂતાવાસમાં ફરિયાદ કરી દીધી, જેની જાણ ગેંગને થઈ ગઈ. ધરમિન્દર સિંહના કહેવા મુજબ, ગેંગે તેમને જણાવ્યું કે દૂતાવાસમાંથી કોઈએ તેમને આ માહિતી આપી છે અને ત્યારબાદ તેમને બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા.
ખંડણીની રકમ ચૂકવવા માટે પૂર્વજોની જમીન વેચી
ધરમિન્દર સિંહની વિનંતી બાદ ગેંગ ₹ 1.5 કરોડની જગ્યાએ ₹ 80 લાખની ખંડણી લેવા તૈયાર થઈ ગઈ. આ રકમ ચૂકવવા માટે, પરિવારે પહેલા જલંધરના મિલાપ ચોક પર ગેંગના સાથીને ₹ 40 લાખ આપ્યા. બાકીની રકમ (₹ 40 લાખ) ભેગી કરવા માટે, તેઓને પૂર્વજોની 6 કનાલ જમીન વેચવી પડી અને સગાં-સંબંધીઓ પાસેથી ઉધાર લેવો પડ્યો. કુલ ₹ 70 લાખ રોકડા આપ્યા પછી, ગેંગે પરિવાર પાસેથી સોનાના ઘરેણાં પણ છીનવી લીધા, જેની કિંમત ₹ 4.5 લાખ ગણવામાં આવી અને કહ્યું કે તે ટિકિટનો ખર્ચ છે.
સંદીપ કૌરે જણાવ્યું કે, અપહરણ દરમિયાન તેમને માર મારવામાં આવ્યો અને પતિના શરીર પર સોયો ભોંકીને ટોર્ચર કરવામાં આવ્યું. જોકે, તેમણે પતિને છોડીને આવવાની ના પાડી.
સાંસદ અને વિદેશ મંત્રાલયની મદદથી ઘર વાપસી
જ્યારે પંજાબમાં પરિવારના સગાં-સંબંધીઓએ હોબાળો કર્યો, તો આનંદપુર સાહિબના સાંસદ મલવિન્દર સિંહ કાંગે તરત હસ્તક્ષેપ કર્યો. કાંગે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરીને આખો મામલો રજૂ કર્યો. વિદેશ મંત્રાલયે તાત્કાલિક કાર્યવાહી કરતાં ઈરાનમાં ભારતીય દૂતાવાસ દ્વારા પરિવારની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરી. 5 ઓક્ટોબરના રોજ જ્યારે ધરમિન્દર અને તેમનો પરિવાર ઘરે પાછો ફર્યો, તો આખા ગામમાં ભાવુક દૃશ્યો જોવા મળ્યા. પરિવારજનો અને પડોશીઓ રડી પડ્યા, અને સૌએ રાહતનો શ્વાસ લીધો.
આ પણ વાંચો: આઝમ ખાન પર ખોટા કેસ કરીને ફસાવ્યા, સપા હંમેશા તેમની સાથે...', મુલાકાત બાદ બોલ્યા અખિલેશ
ધરમિન્દરે કહ્યું, 'અમે જીવતા છીએ, એ જ સૌથી મોટી વાત છે. પરંતુ જ્યાં સુધી તે એજન્ટો અને અપરાધીઓને સજા નહીં મળે, આ દુઃસ્વપ્ન સમાપ્ત નહીં થાય.' પરિવાર હવે પંજાબના સ્થાનિક એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તૈયારીમાં છે. સાંસદ કાંગે સરકાર પાસે આવા નકલી એજન્ટો પર કડક કાર્યવાહી અને લોકોને જાગૃત કરવાની માગણી કરી છે. તેમણે કહ્યું, દર વર્ષે ઘણા પરિવારો વિદેશ જવાના ચક્કરમાં બરબાદ થઈ રહ્યા છે. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે આવી ઘટનાઓ ફરી ન બને.