હિમાચલમાં વરસાદે કહેર વર્તાવ્યો, 1000 કરોડનું નુકસાન, મૃત્યુઆંક વધીને 106 એ પહોંચ્યો
Image: X |
Himachal Pradesh Rain Update: હિમાચલ પ્રદેશમાં મંગળવારે શિમલા, બિલાસપુર અને સોલનમાં અનેક જગ્યાએ ભારે વરસાદ જોવા મળ્યો હતો. હવમાન વિભાગે 16 જુલાઈએ ચંબા, કાંગડા, મંડી અને સિરમૌર જિલ્લામાં અમુક સ્થાન પર વાવાઝોડા સાથે ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ અનુસાર, 21 જુલાઈ સુધી વરસાદથી રાહત મળવાની આશા નથી.
રાજ્યમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદનો ક્રમ ચાલુ રહેશે. વરસાદને કારણે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન ઉના અને ધૌલાકુઆંમાં 32.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આ પણ વાંચોઃ કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિટનો મહત્તમ ભાવ 200 રૂપિયા નક્કી કરવા પ્રસ્તાવ
અત્યાર સુધીમાં 106 લોકોના મોત થયા
રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ(SDMA)ના જણાવ્યા અનુસાર, ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને કારણે જાન-માલને ભારે નુકસાન થયું હતું. આ સિવાય 20 જૂનથી 15 જુલાઈ સુધીમાં 106 લોકોના મોત થયા છે. કુલ મોતમાંથી 62 લોકો સીધા વરસાદ સંબંધિત મુશ્કેલીઓ જેમ કે, ભૂસ્ખલન, અચાનક પૂર, વાદળ ફાટવા, ડૂબવા, વીજળી પડવાના કારણે મોતને ભેટ્યા છે. જોકે, આ સમયગાળા દરમિયાન 44 લોકોના મોત માર્ગ દુર્ઘટનામાં થયા હતા.
વાદળ ફાટવાની ઘટનામાં 15, ઊંચાઈ (ઝાડ/ચટ્ટાન) પડવાના કારણે 12, ડૂબવાથી 11, અચાનક પૂરમાં 8, વીજળીનો ઝટકો લાગવો અને સાપ કરડવાથી 5-5 અને ભૂસ્ખલ તેમજ આગ લાગવાના કારણે 1-1 મોત થયા છે. તમામ જિલ્લામાં માર્ગ દુર્ઘટનાઓમાં 44 મોત થયા છે, જેમાં મંડી (4), કુલ્લુ (7) અને કિન્નોર (5) સૌથી વધુ પ્રભાવિત થયા છે.
199 રસ્તાઓ કરાયા બંધ
વળી, 384 ઘરો સંપૂર્ણપણે નુકસાન પામ્યા છે અને 666 ઘરો, 244 દુકાનો અને 850 પશુશાળાઓેને નુકસાન થયું છે. વરસાદને કારણે રાજ્યમાં 171 પીવાના પાણીની યોજનાઓ બંધ છે, જેમાંથી મંડી જિલ્લામાં 142, કાંગડામાં 18 અને સિરમૌરમાં 11 યોજનાઓ પ્રભાવિત થઈ છે.
વરસાદ અને ભૂસ્ખલનને કારણે રાજ્યમાં 199 રસ્તાઓ ટ્રાફિક માટે બંધ છે, તેમને ખોલવાના પ્રયાસો ચાલી રહ્યા છે. મંડી જિલ્લામાં 141, કુલ્લુમાં 35, કાંગડામાં 10, સિરમૌરમાં 8, ઉનામાં 3 અને ચંબામાં 2 રસ્તાઓ બંધ છે. હિમાચલ સરકાર તેમને ખોલવાનો પ્રયાસ કરી રહી છે.
મુખ્યમંત્રીએ અમિત શાહ સાથે કરી મુલાકાત
મુખ્યમંત્રી સુખવિંદર સિંહ મંગળવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા અને તેમને જાણ કરી કે રાજ્યને અચાનક પૂર અને વાદળ ફાટવાથી લગભગ 1,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.