વરસાદી આફત: કેદારનાથમાં 40 લોકોનું રેસ્ક્યુ, હિમાચલ પ્રદેશમાં આભ ફાટતાં 62ના મોત, 56 ગુમ
Heavy Rain: ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ ધામ પરથી પરત ફરી રહેલા 40 યાત્રાળુઓ સોનપ્રયાગ સ્લાઇડ ઝોનમાં ફસાયા હતા. જેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે સોનપ્રયાગ નજીક સ્લાઇડ ઝોનમાં અચાનક ભૂસ્ખલન થયુ હતું. જેના લીધે 40 યાત્રાળુઓ ફસાઈ ગયા હતા.
દુર્ઘટનાની જાણકારી મળતાં જ તૈનાત એસડીઆરએફના જવાન ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. એસડીઆરએફની ટીમે યાત્રાળુઓ સુધી સુરક્ષિત માર્ગ બનાવી તેમને સફળતાપૂર્વક સ્લાઇડ ઝોનમાંથી બહાર કાઢ્યા હતા. તમામ યાત્રાળુઓ મોડી રાત્રે 1- વાગ્યે સ્લાઇડ ઝોનમાં ફસાયા હતા. ગત રવિવારે ભારે વરસાદ અને ભૂસ્ખલનની આશંકા વચ્ચે ચારધામ યાત્રા એક દિવસ માટે અટકાવી દેવામાં આવી હતી. લોકોની સુરક્ષા માટે સાવચેતીના પગલાં લેવાયા હતા. બાદમાં સોમવારે યાત્રા ફરી શરુ થઈ હતી. જેમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસતાં ઠેર-ઠેર ભૂસ્ખલનની ઘટના બની હતી.
હિમાચલમાં આભ ફાટતાં 63ના મોત
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્ય ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર, 20 જૂનથી અત્યાર સુધીમાં હિમાચલ પ્રદેશમાં કુલ 63 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 56 લોકો ગુમ છે. 103 લોકો ઈજાગ્રસ્ત થયા છે, 84 પશુઓ મૃત્યુ પામ્યા છે અને 223 ઘરોને નુકસાન થયું છે. મંડીમાં જ 13 લોકોના મોત થયા છે. જ્યારે 29 લોકો ગુમ છે. થુનાગમાં પાંચ, કરસોગમાં એક અને ગૌહરમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય જોગિન્દ્રનગરના સ્યાંજમાંથી બે મૃતદેહો મળી આવ્યા છે.
આ પણ વાંચોઃ ગુજરાતના માથે વરસાદનું સંકટ, 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
વીજ-પાણી પુરવઠો બંધ
હિમાચલ પ્રદેશમાં સોમવારે રાત્રે આભ ફાટ્યું હતું. જેના લીધે 100થી વધુ રસ્તાઓ ધોવાઈ ગયા છે. ભૂસ્ખલનના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. 918 વીજ ટ્રાન્સફોર્મર, 683 પેયજળ સુવિધાઓ ઠપ થઈ છે. વીજ અને પાણી સેવા ખોટવાતાં સ્થાનિકો હાલાકીમાં મૂકાયા છે. હિમાચલ પ્રદેશમાં વરસાદની તારાજીના કારણે અંદાજે રૂ. 40702.43 લાખનું નુકસાન થયું છે. અલકનંદા નદીમાં જળ સ્તર વધી ગયા છે. ઓથોરિટીએ લોકોને નીચાણવાળા સ્તર અને નદી કિનારેથી દૂર રહેવા એલર્ટ આપ્યું છે.
10 જિલ્લામાં ભારે વરસાદ
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના 10 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. પુર અને ભુસ્ખલનથી અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. પ્રોપર્ટીને કરોડોનું નુકસાન થયુ છે.