ચારધામ યાત્રામાં હેલિકોપ્ટર સેવા બંધ, દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારનો નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kedarnath Helicopter Crash: કેદારનાથ નજીક રૂદ્રપ્રયાગમાં હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા દરમિયાન હેલિકોપ્ટર સેવાઓ આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. યુકાડા (ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ) અને DGCAએ સંયુક્ત રૂપે આ નિર્ણય લીધો છે. આ નિર્ણય રવિવારે ગૌરીકુંડમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટના બાદ લેવામાં આવ્યો છે. જેમાં સાત લોકોના મોત થયા છે. તપાસ પૂરી થયા બાદ સુરક્ષાના માપદંડોની સમીક્ષા સુધી ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓ સ્થગિત રહેશે.
CM પુષ્કર સિંહ ધામીએ જારી કર્યા નિર્દેશ
રાજ્યમાં હેલિકોપ્ટરની વધી રહેલી દુર્ઘટનાઓની ગંભીરતાને ધ્યાનમાં લેતાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હેલિકોપ્ટર સંચાલન મુદ્દે આકરા નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રદેશમાં હેલિકોપ્ટર સેવાઓના સંચાલન માટે કડક SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર) તૈયાર કરવામાં આવશે. જેમાં હેલિકોપ્ટરની ટેક્નિકલ સ્થિતિની સંપૂર્ણ તપાસ અને ઉડાન પહેલાં હવામાનની સચોટ માહિતી મેળવવી અનિવાર્ય છે.
આ પણ વાંચોઃ કેદારનાથ નજીક મોટી દુર્ઘટના, રુદ્રપ્રયાગમાં હેલિકોપ્ટર ક્રેશ, ગુજરાતના એક સહિત 7નાં મોત
ટેક્નિકલ એક્સપર્ટની કમિટી રચવા આદેશ
મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને નિર્દેશ આપ્યો છે કે, ટેક્નિકલ એક્સપર્ટની એક કમિટી રચવામાં આવે. જે હેલિકોપ્ટરના સંચાલન માટે તમામ ટેક્નિકલ અને સુરક્ષાના માપદંડોની સમીક્ષા કરી SOP તૈયાર કરશે. જે ખાતરી આપશે કે, હેલિકોપ્ટર સેવાઓનું સંચાલન સંપૂર્ણપણે સુરક્ષિત, પારદર્શક અને નિર્ધારિત માપદંડો અનુસાર છે.
તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના
આજે સવારે બનેલી હેલિકોપ્ટર ક્રેશની તપાસ માટે મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવા આદેશ આપ્યો છે. જે દરેક બાબતોને ધ્યાનમાં લેતાં રિપોર્ટ તૈયાર કરશે. આ કમિટી પ્રત્યેક ઘટનાના કારણોની તપાસ કરશે. તેમજ દોષિત વ્યક્તિ અને સંસ્થાઓની ઓળખ કરી તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.










