Get The App

હિમાચલ પ્રદેશમાં વરસાદી આફત: ભૂસ્ખલનમાં 5ના મોત, 11 જિલ્લામાં શાળાઓ બંધ

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
હિમાચલ પ્રદેશમાં વરસાદી આફત: ભૂસ્ખલનમાં 5ના મોત, 11 જિલ્લામાં શાળાઓ બંધ 1 - image


Himachal Rain: હિમાચલ પ્રદેશમાં રેડ ઍલર્ટ વચ્ચે રવિવારથી ભારે વરસાદે તબાહી મચાવી છે. ઠેર-ઠેર ભૂસ્ખલનના કારણેવ્યાપક નુકસાન થયું છે. પાંચ લોકોના મોત થઈ ગયા છે. શિમલાના જુંગા તહસીલમાં એક ઘર ભૂસ્ખલનની લપેટમાં આવી ગયું. આ દુર્ઘટનામાં પિતા અને પુત્રીનું મૃત્યુ થયું છે. આ સાથે જ પશુઓના પણ મોત થયા છે. આ ઘટનામાં મૃતકની પત્ની બચી ગઈ હતી, કારણ કે તે સમયે તે ઘરની બહાર હતી. સિરમૌરમાં પણ એક મહિલાનું ભૂસ્ખલનની લપેટમાં આવી જવાથી મૃત્યુ થયું છે. 

કોટખાઈ અને જુબ્બલમાં બે લોકોના મોત

બીજી તરફ કોટખાઈમાં ભારે વરસાદના કારણે સવારે ખનેટીના ચોલ ગામમાં એક મકાન ભૂસ્ખલનથી ધરાશાયી થયું હતું. ભૂસ્ખલનની લપેટમાં આવી જવાથી એક વૃદ્ધ મહિલા બાલમ સિંહની પત્ની કલાવતીનું મૃત્યુ થયું. બીજી તરફ જુબ્બલના ભૌલી ગામમાં ભૂસ્ખલનના કારણે સ્વર્ગસ્થ અમર સિંહની પત્ની આશા દેવીનું ઘર ધરાશાયી થઈ ગયું. કાટમાળ નીચે દટાઈ જવાથી એક યુવાન છોકરીનું મૃત્યુ થઈ ગયું. અસરગ્રસ્ત પરિવારને તાત્કાલિક 30 હજારની રાહત આપવામાં આવી છે. તહસીલદાર જુબ્બલ અને પટવારી ઘટનાસ્થળે હાજર છે, અસરગ્રસ્ત પરિવારને નજીકના સમુદાય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો છે.

શિમલામાં ઠેર-ઠેર ભૂસ્ખલન

શિમલામાં ખલીની-ઝંઝીરી રોડ તૂટી ગયો છે. રસ્તાનો મોટો ભાગ ધોવાઈ ગયો છે. રામનગરમાં ભૂસ્ખલનના કારણે ખલીની-ટુટીકંડી બાયપાસ અવરોધિત થયો છે. શિવ શક્તિ બિહાર મજીઠા હાઉસમાં રસ્તો તૂટી જવાથી નીચેના ઘર પર જોખમ તોળાયું છે. કૃષ્ણનગર વોર્ડના લાલપાણી વિસ્તારમાં બાયપાસ પુલ પાસે રસ્તા પર એક ઝાડ પડી ગયું છે. મેહલી-શોઘી રોડ પર પાસપોર્ટ ઑફિસ વિસ્તાર ગીતા નિવાસ રૂપ કોલોની નીચે ભૂસ્ખલન થયું છે. સમરહિલ, લોઅર વિકાસનગરમાં પણ ભૂસ્ખલન થયું છે. મજ્યાઠ-નાલાગઢ રોડ પર પણ કાટમાળ પડ્યો છે. કાંપના કારણે શહેરના પાણીના સ્ત્રોતોમાંથી પાણી પુરવઠો પ્રભાવિત થયો છે. સવારે ચૌધરી નિવાસ લોઅર પંથઘાટી પાસે ભૂસ્ખલન થયું હતું, જેમાં બે કાર દટાઈ ગઈ હતી. ભૂસ્ખલનને કારણે એક મોટું વૃક્ષ અસ્થિર બની ગયું છે અને ગમે ત્યારે તેનો ઇમારત પર પડવાનો ખતરો છે. છોટા શિમલા-સંજૌલી રોડ પર પેટ્રોલ પંપ પાસે ભૂસ્ખલન થયું છે. ચમિયાણા હૉસ્પિટલ તરફ જતા રસ્તા પર પણ ભૂસ્ખલન થયું છે. ભારે વરસાદને કારણે પગોગ રોડ પર એક ઝાડ પડી ગયું હતું. જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો.

આ જિલ્લામાં રેડ ઍલર્ટ

હવામાન વિજ્ઞાન કેન્દ્ર શિમલાના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 7 સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલુ રહેશે. આજે ઉના, બિલાસપુર, કાંગડા, શિમલા, સોલન અને સિરમૌર જિલ્લાઓ માટે રેડ ઍલર્ટ છે. જ્યારે હમીરપુર, ચંબા, કુલ્લુ, મંડી, કિન્નૌર અને લાહૌલ-સ્પીતિ માટે ઑરેન્જ ઍલર્ટ છે. 2 સપ્ટેમ્બર માટે કાંગડા, મંડી અને સિરમૌર માટે રેડ ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના જિલ્લાઓ માટે ઑરેન્જ ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રએ શિમલા, સોલન, સિરમૌર, બિલાસપુર, કુલ્લુ, ચંબા, કાંગડા, મંડી, ઉના અને હમીરપુર, લાહૌલ-સ્પીતિમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે.

 793 રસ્તાઓ અને 2,174 વીજ ટ્રાન્સફોર્મર બંધ

રાજ્યમાં ભૂસ્ખલન અને પૂરના કારણે સોમવારે સવારે 10:00 વાગ્યા સુધી ત્રણ નેશનલ હાઇવે સહિત 793 રસ્તાઓ બંધ રહ્યા હતા. આ ઉપરાંત 2,174 વીજળી ટ્રાન્સફોર્મર અને 365 પાણી પુરવઠા યોજનાઓ પણ ઠપ્પ છે. ભરમૌર-પઠાણકોટ હાઈવે ભરમૌરથી જાંગી સુધી બંધ છે. ચંબા જિલ્લામાં 253 રસ્તાઓ, 269 ટ્રાન્સફોર્મર, 76 પીવાના પાણીની યોજનાઓ પ્રભાવિત છે. રસ્તાઓ બંધ હોવાથી લોકોને પગપાળા મુસાફરી કરવાની ફરજ પડી છે. મંડી જિલ્લામાં 265 અને સિરમૌરમાં 136 રસ્તાઓ બંધ છે.

ચોમાસામાં અત્યાર સુધીમાં 320 લોકોના મોત

રાજ્યમાં ચાલી રહેલા વરસાદના કારણે ચોમાસાની સીઝન દરમિયાન અત્યાર સુધીમાં કુલ 3,05,684.33 લાખ રૂપિયાની સંપત્તિને નુકસાન થયું છે. રાજ્યમાં 20 જૂનથી 31 ઑગસ્ટ સુધીમાં 320 લોકોએ જીવ ગુમાવ્યા છે. 379 લોકો ઘાયલ થયા છે. 40 લોકો હજુ પણ ગુમ છે. આ દરમિયાન માર્ગ અકસ્માતમાં 154 લોકોના મોત થયા છે. વાદળ ફાટવા, ભૂસ્ખલન અને પૂરના કારણે અત્યાર સુધીમાં 4,569 કાચા-પાકા મકાનો અને દુકાનોને નુકસાન થયું છે. 3,710 ગૌશાળાઓને પણ નુકસાન થયું છે. 1,885 પાલતું પ્રાણીઓના મોત થયા છે.

કુમારહટ્ટીના હરિપુરમાં બે માળનું મકાન ધરાશાયી, 4 ઘાયલ

સોલનમાં કુમારહટ્ટીના હરિપુરમાં બે માળનું મકાન ધરાશાયી થઈ ગયું છે. આના કારણે ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ વર્લ્ડ હેરિટેજ કાલકા-શિમલા રેલવે લાઇન પર કોટીથી કનોહ રેલવે સ્ટેશન વચ્ચે ઠેર-ઠેર કાટમાળ પડ્યો છે. આના કારણે કાલકા-શિમલા એક્સપ્રેસ 52457 ટ્રેનને ધર્મપુર ખાતે રોકી દેવામાં આવી છે. ટીમ ટ્રેકને સરળ બનાવવા માટે કામ કરી રહી છે. પરિસ્થિતિ એવી છે કે કાટમાળ હટાવતાંની સાથે જ ટ્રેક પર વધુ કાટમાળ પડી રહ્યો છે.

આ પણ વાંચો: ‘સાચી વાત, રશિયાના ઓઈલથી ઊંચી જ્ઞાતિના બિઝનેસમેનને જ ફાયદો', કોંગ્રેસ નેતાએ અમેરિકાના નવારોનું કર્યું સમર્થન

કુલ્લુમાં ઑગસ્ટનો અત્યાર સુધીનો રૅકોર્ડ તૂટ્યો

કુલ્લુમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 473 મીમી વરસાદ પડ્યો છે. આ પહેલા 2011માં 322 મીમી વરસાદ પડ્યો હતો. હિમાચલમાં ઑગસ્ટમાં સામાન્ય કરતાં 72% વધુ વરસાદ પડ્યો છે. ઑગસ્ટમાં 256 મીમી વરસાદ સામાન્ય માનવામાં આવે છે. આ વખતે 443 મીમી વરસાદ નોંધાયો છે. કુલ મળીને ચંબામાં સામાન્ય કરતાં 162%, શિમલામાં 126%, ઉનામાં 121%, મોલાનમાં 118%, ચંચામાં 104%, બિલાસપુરમાં 89%, મંડીમાં 72%, હમીરપુરમાં 55%, સિરમૌરમાં 38%, કાંગડામાં 29%, સાહૌલમાં 26% અને કિન્નૌરમાં 8% વધુ વરસાદ પડ્યો છે. 24થી 31 ઑગસ્ટ સુધી ચંબામાં સૌથી વધુ 589%, કુલાઈ 458%, બિલાસપુર 255%, લાહૌલ 369%, શિમલા 349%, માહી 235%, ઉના 261%, સોલન 232%, કિન્નૌર 206%, હમીરપુર 193% અને કાંગડામાં 155% વરસાદ પડ્યો છે. આ અઠવાડિયે સામાન્ય કરતાં 291% વધુ વરસાદ પડ્યો છે. 

સાવધાન રહો અને મુશ્કેલીમાં ફસાયેલા લોકોની મદદ કરો: સુક્ખુ

રવિવારે શિમલા પહોંચતાની સાથે જ મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુએ રાજ્યમાં સતત વરસાદની સ્થિતિ અને તેનાથી થયેલા નુકસાનની સમીક્ષા કરી. બપોરે લગભગ 2:00 વાગ્યે સરકારી નિવાસસ્થાન 'ઓક ઓવર' પહોંચ્યા બાદ તેમણે મુખ્ય સચિવ પાસેથી વિગતવાર માહિતી લીધી. મુખ્ય સચિવે તેમને અસરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિ અને ત્યાં લેવામાં આવી રહેલા પગલાંથી વાકેફ કર્યા. મુખ્યમંત્રી સુક્ખુએ રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો અને કહ્યું કે, 'લોકોની સલામતી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી આપી છે અને હાલમાં રાજ્યના મોટાભાગના ભાગોમાં મુશળધાર વરસાદ ચાલુ છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ સાવધાન રહેવું જોઈએ અને મુશ્કેલીમાં ફસાયેલા લોકોને મદદ કરવામાં સહયોગ કરવો જોઈએ. તેમણે ખાતરી આપી કે, રાજ્ય સરકાર દરેક અસરગ્રસ્ત પરિવાર સાથે મજબૂતીથી ઊભી છે. તેમણે જનતાને વહીવટી સૂચનાઓનું પાલન કરવા, સાવધાન રહેવા અને નદીઓ અને નાળાઓના કિનારે જવાનું ટાળવા અપીલ કરી છે.'

Tags :