'જોધા અને અકબરના લગ્ન નહોતા થયા...', રાજસ્થાનના રાજ્યપાલનો સનસનીખેજ દાવો
Governor Haribhau Bagde On Jodha-Akbar: અત્યાર સુધી આપણે પુસ્તકોમાં વાંચતા આવ્યા છીએ કે, આમેરના રાજા ભારમલે પોતાની દીકરી જોધાના લગ્ન મુઘલ શાસક અકબર સાથે કર્યા હતા. જોધા અકબરની પાંચ પત્નીઓમાં પ્રમુખ હતી. જોધા અને અકબરના પુત્ર સલીમ (જહાંગીર) વિશે પણ ઈતિહાસમાં ભણાવવામાં આવ્યું છે, પરંતુ હવે રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેએ આ બધી વાતો ખોટી ગણાવતા એક સનસનાટી મચાવતો દાવો કર્યો છે. બુધવાર 29 મેના રોજ મહારાણા પ્રતાપની જયંતિના અવસર પર રાજ્યપાલ ઉદયપુરના પ્રતાપ ગૌરવ કેન્દ્રમાં આયોજિત કાર્યક્રમમાંસામેલ થયા હતા. પોતાના સંબોધન દરમિયાન રાજ્યપાલે મહારાણા પ્રતાપની બહાદુરી વિશે જણાવવાની સાથે-સાથે જોધા અને અકબર વિશે મોટી વાત કહી દીધી. તેમણે કહ્યું કે આમેરના રાજાની દીકરી અને અકબરના લગ્ન થયા જ નહોતા.
વિદેશી ઈતિહાસકારોએ ખોટું લખ્યું
રાજ્યપાલ હરિભાઉ બાગડેએ કહ્યું કે, શરૂઆતના સમયમાં ભારતનો ઈતિહાસ વિદેશીઓએ લખ્યો હતો. તેમાં ઘણી હકીકતો ખોટી લખવામાં આવી હતી. બાગડેએ આમેરની રાજકુમારી અને અકબરના લગ્નને પણ ખોટા ગણાવ્યા. તેમણે કહ્યું કે, અકબરની આત્મકથા અકબરનામામાં આ લગ્નનો કોઈ ઉલ્લેખ જ નથી. રાજા ભારમલે અકબરના લગ્ન એક દાસીની પુત્રી સાથે કરાવ્યા હતા. જેને આમેરની રાજકુમારીના લગ્ન અકબર સાથે થયા હોવાનું લખી દીધુ હતું. આ ખોટું છે. તેમણે કહ્યું કે મહારાણા પ્રતાપે સંધિ માટે અકબરને પત્ર લખ્યો તે અંગેના તથ્યો પણ ભ્રામક છે.
राज्यपाल महोदय @BagadeHaribhau ने अकबर जोधा विवाह पर कहा कि यह झूठ फैलाया गया था। pic.twitter.com/0e1Em0SSsK
— Ashok Shera (@ashokshera94) May 29, 2025
મહારાણા પ્રતાપ વિશે બહુ ઓછું લખાયું
રાજ્યપાલે કહ્યું કે, મહારાણા પ્રતાપે ક્યારેય પોતાના સ્વાભિમાન સાથે સમાધાન નથી કર્યું. વિદેશી ઈતિહાસકારોએ મુઘલ શાસકોના ખૂબ ગુણગાન ગાયા હતા જ્યારે મહારાણા પ્રતાપ જેવા વીરોને ઓછું સ્થાન આપ્યું હતું. તેમના વિશે બહુ ઓછું લખાયું હતું. આ કારણોસર ઈતિહાસમાં મહારાણા પ્રતાપ વિશે ઓછું ભણાવવામાં આવે છે. હવે પરિસ્થિતિ ધીમે-ધીમે સુધરી રહી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ઘણા સુધારા કરવામાં આવી રહ્યા છે. જેના કારણે નવી પેઢીના યુવાનોને તેમની સંસ્કૃતિ અને ગૌરવશાળી ઇતિહાસ વિશે જાણવાની તક મળશે.