પંચાયતોની મુદ્દત પુરી છતાં સરપંચોને સત્તા આપવાનો સરકારે નિર્ણય કર્યો, હાઈકોર્ટ લાલઘૂમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Allahabad High Court On Sarpanch Administrator Case : ઉત્તર પ્રદેશમાં ગ્રામ પંચાયતોની મુદત પૂરી થયા બાદ સરપંચોને જ પ્રશાસક તરીકે નિયુક્ત કરવાના સરકારના નિર્ણયને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે કે, સરપંચોને પ્રશાસક તરીકે પદ પર ચાલુ રાખવાની મંજૂરી આપી શકાય નહીં. જો કે, જસ્ટિસ સિદ્ધાર્થ નંદનની સિંગલ બેન્ચે હજુ સુધી આ મામલે કોઈ વચગાળાનો સ્ટે આપ્યો નથી.
ડિવિઝન બેંચના આદેશનું ઉલ્લંઘન
અલ્હાબાદ હાઈકોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, સરપંચોને પ્રશાસક નિયુક્ત કરવા એ ડિવિઝન બેંચના અગાઉના આદેશનું સ્પષ્ટ ઉલ્લંઘન છે, જે અદાલતની અવમાનના સમાન ગણાય. આ સાથે જ કોર્ટે રાજ્ય સરકારને ઓબીસી કમિશનનો રિપોર્ટ રેકોર્ડ પર લાવવા માટે વિસ્તૃત સોગંદનામું રજૂ કરવા અંતિમ તક આપી છે.
13 જુલાઈએ આગામી સુનાવણી
અરજીકર્તા અરવિંદ રાઠોડ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજી પર હવે આગામી સુનાવણી 13 જુલાઈએ બપોરે 2:00 વાગ્યે હાથ ધરવામાં આવશે. કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે જો કોઈ કમિશનની રચના કરવામાં આવી હોય તો તેની સંપૂર્ણ વિગતો અને ચૂંટણી ક્યારે યોજાશે તેની ચોક્કસ સમયસીમા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે.
પંચાયતોની મુદત પૂરી થઈ
ઉત્તર પ્રદેશમાં પંચાયતોનો પાંચ વર્ષનો કાર્યકાળ 26 મે 2026ના રોજ સમાપ્ત થઈ ગયો છે. મુદત પૂરી થતા જ સરકારે એક આદેશ જાહેર કરીને જૂના સરપંચોને જ પ્રશાસક તરીકે વહીવટી જવાબદારી સોંપી દીધી હતી. આ અરજીમાં સરપંચોને પ્રશાસક પદેથી હટાવીને વહેલી તકે ત્રિસ્તરીય પંચાયત ચૂંટણીઓ યોજવાની માંગ કરવામાં આવી છે.
ચૂંટણી મોડી થવાનું કારણ
વાસ્તવમાં યુપીમાં પંચાયત ચૂંટણીઓ મે મહિનામાં જ પ્રસ્તાવિત હતી પરંતુ 12 જૂન સુધી મતદારયાદી પ્રસિદ્ધ ન થઈ શકવાના કારણે ચૂંટણી સમયસર યોજી શકાઈ નહોતી. આ ઉપરાંત પંચાયત ચૂંટણીમાં ઓબીસી અનામત નક્કી કરવા માટે પછાત વર્ગ આયોગની રચના કરીને તેને 6 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જે દરેક જિલ્લાની સામાજિક અને આર્થિક સ્થિતિની સમીક્ષા કરી રહ્યો છે.
સરકારના નિર્ણયને પડકારાયો
યોગી સરકારે ઓબીસી કમિશનનો ફાઈનલ રિપોર્ટ ન આવે ત્યાં સુધી વહીવટી તૂટ ન સર્જાય તે માટે સરપંચોને જ પ્રશાસક બનાવીને સત્તા સોંપી દીધી હતી. સરકારની આ નીતિ ડિવિઝન બેંચના નિયમો વિરુદ્ધ હોવાનું કહીને હાઈકોર્ટમાં તેને પડકારવામાં આવી છે, જેના પર હવે કોર્ટે કડક વલણ અપનાવ્યું છે.







