Giriraj Singh on Muslims: કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા ગિરિરાજ સિંહે મુસ્લિમ સમુદાયને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. બિહારમાં યોજાનારી ચૂંટણીઓ પહેલાં, તેમનું આ નિવેદન વિવાદનું કેન્દ્ર બની શકે છે. કેન્દ્રીય મંત્રી બિહારના અરવલ જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધી રહ્યા હતા. આ રેલી દરમિયાન, તેમણે મુસ્લિમોને "દેશદ્રોહી" ગણાવ્યા. તેમણે એવો પણ દાવો કર્યો કે મુસ્લિમો આયુષ્માન યોજનાને કોઈ વરદાન માનતા નથી. મોદી સરકાર સમાજના તમામ વર્ગોના કલ્યાણ માટે કામ કરી રહી છે, તેમ છતાં મુસ્લિમો ભાજપને મત આપતા નથી.
ગિરિરાજ સિંહનું મુસ્લિમો અંગેનું વિવાદાસ્પદ નિવેદન
ભાજપના નેતા ગિરિરાજ સિંહે એક મૌલવી સાથેની વાતચીત ટાંકીને કહ્યું કે, 'મેં તેમને પૂછ્યું કે શું તમને આયુષ્માન કાર્ડ મળ્યું છે? અને તેમણે હકારમાં જવાબ આપ્યો. મેં પૂછ્યું કે શું હિન્દુ-મુસ્લિમનો કોઈ મુદ્દો છે? ત્યારે તેમણે ના પાડી. મેં કહ્યું કે આ ખૂબ સારું છે. મેં તેમને પૂછ્યું કે શું તેમણે મને મત આપ્યો છે? અને તેમણે હા કહ્યું. મેં તેમને ભગવાનના નામે સાચું કહેવા માટે કહ્યું ત્યારબાદ, મૌલવીએ ના કહી.'
ગિરિરાજ સિંહે આગળ કહ્યું,'અમે કહ્યું કે નરેન્દ્ર મોદીએ તમારું અપમાન કર્યું છે? ત્યારે તેમણે ના પાડી. પછી મેં પૂછ્યું, 'તો મારો વાંક શું હતો? જે લોકો કોઈની તરફેણ સ્વીકારવાનો ઇનકાર કરે છે તેમને 'દેશદ્રોહી' કહેવામાં આવે છે. મૌલવી સાહેબ, અમને આ 'દેશદ્રોહીઓ'ના મતની જરૂર નથી.'
'મુરી કટવા' પક્ષને હરાવવો જોઈએ – ગિરિરાજ સિંહ
પોતાના સંબોધનમાં ગિરિરાજ સિંહે આગ્રહ કર્યો કે આ વખતે અરવલમાં મુડી કટવા પક્ષને હરાવવો અત્યંત જરૂરી છે. તેમણે જાહેર કર્યું કે મહાગઠબંધનનું અસ્તિત્વ લગભગ સમાપ્ત થઈ ગયું છે. તેમણે ધ્યાન દોર્યું કે આ વિધાનસભા ચૂંટણીમાં, મહાગઠબંધનના ઘટક પક્ષો આશરે ચાર ડઝન મતવિસ્તારોમાં એકબીજાની સામે ચૂંટણી લડી રહ્યા છે. એવામાં નેતૃત્વના અભાવના કારણે વરરાજા વગર જાન કેવી રીતે નીકળે! જયારે NDAમાં કેન્દ્રમાં પીએમ મોદી અને રાજ્યમાં નીતિશ કુમાર નેતા છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારોની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો, જેમાં હાલમાં પ્રતિ વ્યક્તિ જીડીપી (GDP) ₹80,000 છે. બંને સરકારો મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરી રહી છે.
આ પણ વાંચો: દિવાળી-છઠને કારણે દિલ્હીથી મુંબઈ સુધી ભારે ભીડ, સુરત સ્ટેશને ટ્રેનમાં જવા 2 કિ.મી. લાઈન
તેજસ્વી યાદવ પર સાધ્યું નિશાન
ગિરિરાજ સિંહે વિરોધી પક્ષના નેતા તેજસ્વી યાદવ પર નિશાન સાધતા કહ્યું કે, આજે તેજસ્વી યાદવ દરેક ઘરમાં સરકારી નોકરી આપવાના ખોટા વચનો આપી રહ્યા છે. મુસ્લિમ સમુદાયને પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓનો લાભ મળ્યો છે. છતાં પણ મુસ્લિમો ઉપકાર નથી માનતા અને મત નથી આપતા. આથી અમે 'દેશદ્રોહીઓ'ના મતો ઇચ્છતા પણ નથી.


