'મારી પાસે પણ જન્મનો દાખલો નથી..' બિહાર વોટર વેરિફિકેશન અંગે સુનાવણી વચ્ચે જસ્ટિસ ધુલિયાનું નિવેદન
Bihar Voter Verification: બિહારમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા હેઠળ, અત્યાર સુધીમાં ત્રણ ચતુર્થાંસ મતદારોએ પોતાના ફોર્મ જમા કરાવી દીધા છે. વળી, બીજી બાજુ સુપ્રીમ કોર્ટમાં મતદાર યાદી સુધારણા (SIR)ને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી ચાલી રહી છે. અરજદારે ચૂંટણી પંચ દ્વારા આ યાદીમાં પુરાવા તરીકે આધારકાર્ડની લિસ્ટમાંથી બહાર કરવા વિશે વિરોધ નોંધાવ્યો છે.
દરેક પાસે દસ્તાવેજ માંગવા કેટલું યોગ્ય? સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવાલ
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સુધાંશુ ધૂલિયાએ સુનાવણી દરમિયાન બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી મતદાર યાદી સુધારણા માટે માંગવામાં આવતા દસ્તાવેજોની યાદી પર મહત્ત્વની ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, 'આ દેશમાં જ્યાં લોકો પાસે મૂળભૂત દસ્તાવેજ નથી, ત્યાં દરેક લોકો પાસે આટલા દસ્તાવેજો કેવી રીતે માંગી શકાય? મારી પાસે પણ જન્મ પ્રમાણપત્ર નથી.'
આ પણ વાંચોઃ દિલ્હીના વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમાળમાં 12થી વધુ લોકો દટાયાં
ચૂંટણી પંચ કયા દસ્તાવેજની કરે છે માંગ?
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા ફોર્મમાં 'સંકેતાત્મક પરંતુ પૂર્ણ નહીં' યાદી સામેલ કરવામાં આવી છે. જેનો હેતુ છે કે, વ્યક્તિની જન્મતારીખ, જન્મસ્થાન અને નિવાસને પ્રામાણિત કરી શકે. આ ફોર્મ પર પહેલાંથી જ મતદાર EPIC નંબર (વોટર આઇડી) પ્રિન્ટ હોય છે અને આ સિવાય આધાર નંબર દાખલ કરવા માટે પણ અલગ જગ્યા આપવામાં આવી છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, આધાર અને મતદાર કાર્ડ ઓળખ માટે જરૂરી દસ્તાવેજ માંગવામાં તો આવે છે, પરંતુ તેમ છતાં લોકો પાસે વધારાના દસ્તાવેજ માંગવામાં આવી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટ સમક્ષ વરિષ્ઠ વકીલઓ દલીલ કરી કે, ચૂંટણી પંચ દ્વારા વધારાના દસ્તાવેજોની માંગથી ગરીબ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકો, પ્રવાસી મજૂરો અને એવા લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે. જેમણે હાલના વર્ષોમાં પૂરના કારણે પોતાનું બધું જ ગુમાવી દીધું હોય.
સ્વચ્થ મતદાર યાદી લોકતંત્રની મજબૂતી માટે જરૂરીઃ ચૂંટણી પંચ
ચૂંટણી પંચનો પક્ષ છે કે, મતદાર યાદીને સ્વચ્છ બનાવવા અને લોકતંત્રની મજબૂતી માટે બિહારમાં વોટર વેરિફિકેશન કરવું જરૂરી છે. અસલી મતદારોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે દસ્તાવેજો જરૂરી છે.
આ પણ વાંચોઃ રાજસ્થાનના આ ગામડામાં રહેતા લોકોને દેશ આઝાદ થયાના 78 વર્ષ બાદ હવે વીજળી મળી
અત્યાર સુધી ત્રણ-ચતુર્થાંશ મતદારોએ જમા કર્યો ફોર્મ
બિહારમાં અત્યાર સુધી ત્રણ ચતુર્થાંશ મતદારોએ પોતાના મતગણતરી ફોર્મ જમા કર્યા છે. એટલે પ્રત્યેક ચાર મતદારોમાંથી ત્રણે પોતાનું ફોર્મ જમા કરાવી દીધું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 74.39 ટકા ફોર્મ એકત્ર થઈ ગયા છે. ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખના 14 દિવસ પહેલાં બિહારના 7,89,69,844 એટલે લગભગ 7.90 કરોડ મતદારોમાંથી 74 ટકાથી વધુ મતદાર પહેલાંથી જ ફોર્મ જમા કરાવી ચુક્યા છે. SIRના બીજા તબક્કામાં, બીએલઓ ઘરે-ઘરે જઈને મતદારોની મદદ કરી રહ્યા છે. તેમના ભરેલા ફોર્મ એકત્રિત કરી રહ્યા છે. તમામ 243 વિધાનસભા મતવિસ્તારના 38 જિલ્લા ચૂંટણી અધિકારીઓ, રિટર્નિંગ અધિકારીઓ (ERO) અને 963 સહાયક ચૂંટણી અધિકારીઓ (AERO) સહિત ક્ષેત્ર સ્તરના અધિકારીઓ નિયમિતપણે SIRની પ્રગતિનું નિરીક્ષણ કરી રહ્યા છે.
ગણતરી ફોર્મનું ડિજિટાઇઝેશન અને અપલોડિંગ સરળતાથી ચાલી રહ્યું છે. SIR માર્ગદર્શિકાના ફકરા 3(H) અનુસાર, BLO એ અત્યાર સુધી એકત્રિત કરેલા કુલ ફોર્મમાંથી 3.73 કરોડ ફોર્મને BLO એપ/eCINETના માધ્યમથી સરળતાપૂર્વક ડિજિટાઇઝેશન અને અપલોડ કરવામાં આવ્યા છે. આજે, AERO/ERO દ્વારા અપલોડ કરાયેલા ફોર્મની ચકાસણી માટે eCINETમાં એક નવું મોડ્યુલ લાગુ કરવામાં આવ્યું છે.
શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધીમાં, 5,87,49,463 ગણતરી ફોર્મ સબમિટ કરવામાં આવ્યા છે, જે કુલ ફોર્મના 74.39 ટકા છે. 24 જૂન, 2025ના દિવસે કમિશન દ્વારા SIR સૂચનાઓ જારી કરવામાં આવી ત્યારથી છેલ્લા 17 દિવસમાં આટલા ફોર્મ એકત્રિત કરવામાં આવ્યા છે. ગણતરી ફોર્મ 25 જુલાઈ, 2025 સુધી સબમિટ કરી શકાય છે.
આ અભિયાનમાં, 77,895 BLO, 20,603 નવનિયુક્ત BLO અને અન્ય ચૂંટણી અધિકારીઓ આ કાર્ય સમયસર પૂર્ણ કરવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે. તમામ માન્ય રાજકીય પક્ષો દ્વારા નિયુક્ત 1.56 લાખ બૂથ લેવલ એજન્ટો (BLA) સાથે 4 લાખથી વધુ સ્વયંસેવકો વૃદ્ધો, દિવ્યાંગ, બીમાર અને સંવેદનશીલ વસ્તીને મદદ કરી રહ્યા છે, જેના પરિણામે 74.39 ટકા મતગણતરી ફોર્મ એકત્રિત થયા છે.