ભાજપ નેતાઓની શિંદેની શિવસેનામાં એન્ટ્રી બંધ! જાણો એકનાથ શિંદેના નિર્ણયનું કારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Eknath Shinde: મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધન, મહાયુતિના નેતાઓ વચ્ચેનો કથિત મનભેદ હવે થંભી ગયો હોવાના સંકેતો મળી રહ્યા છે. સમાચાર મુજબ, ગઠબંધનના તમામ પક્ષોએ એકબીજાના નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આના ભાગરૂપે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ તેમના પક્ષના પદાધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે ભાજપના નેતાઓને શિવસેનામાં સામેલ કરવાના કાર્યક્રમો રદ કરવામાં આવે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શિંદે આ નિર્ણય અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ મળી ચૂક્યા છે.
ગઠબંધન પક્ષોમાં સામેલ ન કરવાનો સંયુક્ત નિર્ણય
મીડિયા રિપોર્ટ્સ મુજબ, શિંદેએ આ મહત્ત્વનો નિર્ણય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત પછી લીધો છે, જેમની સાથે તેમણે એક દિવસ પહેલા જ દિલ્હીમાં બેઠક કરી હતી. શિંદેએ ભારપૂર્વક જણાવ્યું છે કે, ભાજપના નેતાઓને શિવસેનામાં સામેલ કરવાની યોજનાઓ પર તુરંત રોક લગાવી દેવામાં આવે. આ ઉપરાંત, તેમણે પક્ષને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ગઠબંધન પક્ષો વચ્ચે કોઈ વિવાદ ન થાય તે સુનિશ્ચિત કરવા પણ કહ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે ફડણવીસ અને તેઓ બંનેએ મળીને નક્કી કર્યું છે કે મહાયુતિ પક્ષોના કોઈ પણ નેતા કે કાર્યકર્તાને અન્ય પક્ષમાં સામેલ કરવામાં નહીં આવે.'
ભાજપના અધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણ વિરુદ્ધ આરોપ
અહેવાલ મુજબ, એકનાથ શિંદેએ બુધવારે રાત્રે અમિત શાહ સાથેની મુલાકાત દરમિયાન ભાજપની રાજ્ય એકમના અધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણ વિશે ફરિયાદ કરી હતી. શિંદેનો આરોપ હતો કે ચવ્હાણ લાલચ આપીને શિવસેનાના નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરી રહ્યા છે. આ ઘટનાક્રમ એટલા માટે પણ મહત્ત્વનો છે કારણ કે આ સપ્તાહની શરૂઆતમાં જ શિંદે જૂથના મંત્રીઓએ રાજ્ય મંત્રીમંડળની બેઠકનો બહિષ્કાર કર્યો હતો. તેમણે ભાજપ દ્વારા સહયોગી પક્ષોના નેતાઓને પોતાના પક્ષમાં ખેંચવાના કથિત પ્રયાસના વિરોધમાં આ પગલું ભર્યું હતું.
ભાજપ દ્વારા ગઠબંધન તોડવા માટે ધનનો ઉપયોગ: શિંદે
તે જ દિવસે, મંત્રીઓએ મુખ્યમંત્રી ફડણવીસ સાથે મુલાકાત કરીને આ અંગેની તેમની ફરિયાદો રજૂ કરી હતી. જોકે, તેમને કેબિનેટ બેઠકનો બહિષ્કાર કરીને ગઠબંધનના શિસ્તનું ઉલ્લંઘન કરવા બદલ કથિત રીતે ઠપકો પણ આપવામાં આવ્યો હતો.
એજન્સીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે અમિત શાહ સાથેની 50 મિનિટની બેઠકમાં એકનાથ શિંદેએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે બળવો કરી રહેલા મહાયુતિના નેતાઓને ભાજપના પ્રદેશ અધ્યક્ષ દ્વારા નાણાકીય મદદ પૂરી પાડવામાં આવી રહી છે. શિંદેએ દાવો કર્યો કે ગઠબંધન પક્ષોના નેતાઓને ભાજપમાં લાવવા માટે પૈસાનો ઉપયોગ થઈ રહ્યો છે.








