C-Vigil એપ વિશે જાણો છો? ફરિયાદ કરતા જ 100 મિનિટમાં ચૂંટણી પંચ લેશે એક્શન
Updated: Apr 3rd, 2024
Election Commission C-Vigil App: દેશમાં 18મી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ચૂંટણી દરમિયાન આચારસંહિતાના ઉલ્લંઘનને રોકવા માટે સરકારે ઘણાં સમય પહેલા C-Vigil એપ લોન્ચ કર્યું છે. કોઈપણ વ્યક્તિ આ એપની મદદથી ફરિયાદ નોંધાવી શકે છે. જાણીએ કે ચૂંટણી પંચ સિવાય ક્યાં લોકો આ એપ પર ફરિયાદ કરી શકે છે. C-Vigil એપનો અર્થ થાય છે જાગૃત નાગરિક. આ એપમાં ફાસ્ટ ટ્રેક ફરિયાદ, રિસેપ્શન અને નિવારણ સિસ્ટમ પણ વિકસાવવામાં આવી છે.
ફરિયાદ પર ચૂંટણી પંચ કરશે કાર્યવાહી
ચૂંટણી દરમિયાન કોઈ ઉમેદવાર મતદારોને આકર્ષવા માટે પૈસા કે દારૂનું વિતરણ કરીને આચારસંહિતાનું ઉલ્લંઘન કરે તો આ એપ પર ફરિયાદ નોંધાવી શકાય છે. જેમાં ફોટો અને વીડિયો અપલોડ કરવાનો વિકલ્પ પણ આપેલો છે. ફરિયાદ નોંધાવ્યા બાદ આ અંગે ચૂંટણી પંચ 100 મિનિટમાં કાર્યવાહી કરશે.
આ એપ કઈ રીતે કામ કરે છે?
આ એપ માત્ર લાઈવ ફોટો અને વીડિયો જ નહીં પરંતુ ઓટો લોકેશન પણ કેપ્ચર કરે છે. જેથી ફ્લાઈંગ સ્કવોડને કામ કરવા માટે ડિજિટલ પુરાવા મળી શકે. આ માટે મોબાઈલ ફોનમાં કેમેરા, ઈન્ટરનેટ કનેક્ટિવિટી અને લોકેશન ઓન હોવું જરૂરી છે. તેમજ હવે આ બાબતની ફરિયાદ નોંધવા માટે રિટર્નિંગ ઓફિસરની ઓફિસમાં જવાની જરૂર નથી. આ એપ નાગરિકોને જિલ્લા કંટ્રોલ રૂમની મોનિટરિંગ ટીમ, રિટર્નિંગ ઓફિસર અને ફ્લાઈંગ સ્કવોડ સાથે જોડે છે.
કોની સામે ફરિયાદ કરી શકાય?
આ એપ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનારા નેતાઓ અને કાર્યકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકાય છે. આ સિવાય તમે ચૂંટણી પંચ સહિત કોઈપણ વિભાગના અધિકારી સામે પણ ફરિયાદ કરી શકો છો. જો તમે લાંચ લેતા, દારૂનું વિતરણ કરતા, નિયમોનો ભંગ કરતા કોઇ અધિકારી સામે પુરાવા સાથે ફરિયાદ કરો તો તે કર્મચારી સામે પગલાં લેવાનું આવશે એ વાત નિશ્ચિત છે.