પાયાવિહોણા આક્ષેપોથી બદનામ કરવાનો પ્રયાસ: મેચ ફિક્સિંગના આરોપ મુદ્દે રાહુલ ગાંધીને ECનો જવાબ
Rahul Gandhi On Maharashtra Elections 2024: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મેચ ફિક્સિંગનો દાવો કર્યો હતો. જેને લઈને ચૂંટણી પંચે શનિવારે (સાતમી જૂન) જવાબ આપ્યો હતો. ચૂંટણી પંચનું કહેવું છે કે, 'મહારાષ્ટ્રની મતદાર યાદી પર લગાવવામાં આવેલા આરોપ પાયાવિહોણા છે.' નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું છે કે, 'ચૂંટણીમાં કેવી રીતે ચોરી કરવી? વર્ષ 2024માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લોકશાહીમાં ગોટાળા કરવાની બ્લુપ્રિન્ટ હતી.'
ચૂંટણી પંચે કોંગ્રેસને આપેલા જવાબમાં તમામ તથ્યો રજૂ કર્યા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના દાવા અંગે ચૂંટણી પંચે કહ્યું, 'ચૂંટણી પંચે 24મી ડિસેમ્બર 2024ના રોજ કોંગ્રેસને આપેલા જવાબમાં આ તમામ તથ્યો રજૂ કર્યા હતા, જે ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. એવું લાગે છે કે વારંવાર આવા મુદ્દાઓ ઉઠાવીને આ તમામ તથ્યોને સંપૂર્ણપણે અવગણવામાં આવી રહ્યા છે.'
'ચૂંટણી પંચને બદનામ કરવાનો પ્રયાસ'
ચૂંટણી પંચે વધુમાં કહ્યું કે, 'કોઈપણ વ્યક્તિ દ્વારા ફેલાવવામાં આવતી ખોટી માહિતી માત્ર કાયદાના અનાદરની નિશાની નથી, પરંતુ તે પોતાના રાજકીય પક્ષ દ્વારા નિયુક્ત કરાયેલા હજારો પ્રતિનિધિઓને પણ બદનામ કરે છે અને ચૂંટણી દરમિયાન અથાક અને પારદર્શક રીતે કામ કરતા લાખો ચૂંટણી કર્મચારીઓનું મનોબળ પણ નીચું કરે છે. મતદારોના કોઈપણ પ્રતિકૂળ નિર્ણય પછી, તે કરવામાં આવશે એમ કહીને ચૂંટણી પંચને બદનામ કરવાનો પ્રયાસ કરવો એ સંપૂર્ણપણે નકામી છે.'
આ પણ વાંચો: મતદાર યાદીમાં ગોટાળા, આંકડા ખોટા: ભાજપ પર રાહુલ ગાંધીનો 'મેચ ફિક્સિંગ'નો આરોપ
રાહુલ ગાંધીએ આ પાંચ કારણોનો ઉલ્લેખ કર્યો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 'X' પર લખ્યું કે, 'મારો લેખ બતાવે છે કે આ કેવી રીતે થયું.'
સ્ટેપ-1: ચૂંટણી પંચની નિમણૂક માટે પેનલમાં ગોટાળા
સ્ટેપ-2: મતદાર યાદીમાં નકલી મતદારો ઉમેરવા
સ્ટેપ-3: મતદાન ટકાવારી વધારવી
સ્ટેપ-4: જ્યાં ભાજપ જીતવા માંગે છે ત્યાં નકલી મતદાનને લક્ષ્ય બનાવવું
સ્ટેપ-5: પુરાવા છુપાવવા
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પર ઉઠાવ્યા સવાલો
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ વિધાનસભા ચૂંટણી પર ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું કે, 'મહારાષ્ટ્રમાં ભાજપ એટલી હતાશ કેમ હતી તે સમજવુ મુશ્કેલ નથી. પરંતુ ચૂંટણીમાં ગોટાળા મેચ ફિક્સિંગ જેવું છે, જે પક્ષ છેતરપિંડી કરે છે તે મેચ જીતી શકે છે. પરંતુ આનાથી લોકશાહી સંસ્થાઓ નબળી પડે છે અને જનતા પરિણામોમાંથી વિશ્વાસ ગુમાવે છે.'