મતદાર યાદીમાં ગોટાળા, આંકડા ખોટા: ભાજપ પર રાહુલ ગાંધીનો 'મેચ ફિક્સિંગ'નો આરોપ
Congress MP Rahul Gandhi: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ નવેમ્બર 2024માં યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંગે સવાલો ઊઠાવ્યા છે. ભાજપ પર આરોપ લગાવતાં તેમણે કહ્યું છે કે ભાજપે મેચ ફિક્સિંગની જેમ ચૂંટણીમાં ગોટાળા કર્યા છે. એક અખબારના તંત્રી લેખમાં રાહુલ ગાંધીએ ચૂંટણીઓને પ્રભાવિત કરવાના પાંચ કારણોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું છે કે, 'ચૂંટણીમાં કેવી રીતે ચોરી કરવી? વર્ષ 2024માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ લોકશાહીમાં ગોટાળા કરવાની બ્લુપ્રિન્ટ હતી.'
રાહુલ ગાંધીએ આ પાંચ કારણોનો ઉલ્લેખ કર્યો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 'X' પર લખ્યું કે, 'મારો લેખ બતાવે છે કે આ કેવી રીતે થયું.'
સ્ટેપ-1: ચૂંટણી પંચની નિમણૂક માટે પેનલમાં ગોટાળા
સ્ટેપ-2: મતદાર યાદીમાં નકલી મતદારો ઉમેરવા
સ્ટેપ-3: મતદાન ટકાવારી વધારવી
સ્ટેપ-4: જ્યાં ભાજપ જીતવા માંગે છે ત્યાં નકલી મતદાનને લક્ષ્ય બનાવવું
સ્ટેપ-5: પુરાવા છુપાવવા
રાહુલ ગાંધીએ ભાજપ પર લગાવેલા મુખ્ય આરોપ:
અમ્પાયર નક્કી કરતી સમિતિમાં હેરાફેરી
ચૂંટણી પંચની નિયુક્તિ કરતી કમિટીમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને બદલે કેન્દ્રીય મંત્રીને બેસાડાયા, જેથી નિષ્પક્ષતા ખતમ થઈ અને કંટ્રોલ સરકારના હાથમાં જતો રહ્યો
મતદાર યાદીમાં બોગસ નામ
2019માં વૉટર્સની સંખ્યા 8.98 કરોડ હતી, જે મે 2024માં વધીને 9.29 કરોડ થઈ પછી પાંચ જ મહિનામાં નવેમ્બર 2024માં આ આંકડો 9.70 કરોડ થયો
આંકડામાં ગોટાળા
સમય સમાપ્ત થયો ત્યારે સાંજે 5 વાગ્યે મતદાનનો આંકડો 58.22 ટકા હતો જે બીજા દિવસે સવારે વધીને 66.05 ટકા થઈ ગયો
સાંજ પછી કેન્દ્રો પર લાઇનો તો હતી નહીં તો આંકડા વધ્યા કેવી રીતે?
નક્કી કરાયેલી બેઠકો પર બોગસ વોટિંગ
ભાજપ નબળી પરિસ્થિતિમાં હતું એવા 12 હજાર બૂથ પર જ નવા મતદાતા જોડાયા અને વોટિંગ પણ ત્યાં જ વધ્યું
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પર ઉઠાવ્યા સવાલો
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ વિધાનસભા ચૂંટણી પર ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું કે, 'મહારાષ્ટ્રમાં ભાજપ એટલી હતાશ કેમ હતી તે સમજવુ મુશ્કેલ નથી. પરંતુ ચૂંટણીમાં ગોટાળા મેચ ફિક્સિંગ જેવું છે, જે પક્ષ છેતરપિંડી કરે છે તે મેચ જીતી શકે છે. પરંતુ આનાથી લોકશાહી સંસ્થાઓ નબળી પડે છે અને જનતા પરિણામોમાંથી વિશ્વાસ ગુમાવે છે.'
આ પણ વાંચો: બેંગલુરુ નાસભાગ કેસ: FIRમાં નામ આવ્યા બાદ KSCAમાં એક બાદ એક બે રાજીનામાં
રાહુલ ગાંધીના ચૂંટણી પંચ પર આરોપો
એપ્રિલ મહિનાની શરુઆતમાં અમેરિકાના બોસ્ટનમાં એક કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, 'ચૂંટણી પંચ હવે નિષ્પક્ષ રહ્યું નથી. સાંજે 5.30 વાગ્યા સુધીમાં ચૂંટણી પંચે આંકડો આપ્યો અને પછી 5.30થી 7.30 વાગ્યાની વચ્ચે, 65 લાખ વધુ મતદાન થયું. જો કોઈ મતદારને મતદાન કરવામાં લગભગ ત્રણ મિનિટ લાગે છે, તો આટલા ઓછા સમયમાં આટલા બધા મતદાન થઈ શકે નહીં. આનો અર્થ એ થઈ શકે છે કે મોડી રાત સુધી મતદારોની લાઇન હતી, જે સાચું નથી.'
ભાજપનો વળતો પ્રહાર
ભાજપે રાહુલ ગાંધીના દાવાઓને અપમાનજનક ગણાવ્યા છે. ભાજપના નેતા તુહિન સિંહાએ કહ્યું, 'રાહુલ ગાંધી દેશની સંસ્થાઓને બદનામ કરી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા આ મુદ્દાઓને વારંવાર વિગતવાર સંબોધવામાં આવ્યા છે.'