Karnataka Politics: કર્ણાટક કોંગ્રેસમાં નેતૃત્વ સંઘર્ષ વચ્ચે પહેલી ડિસેમ્બરે શરુ થનારા સંસદ સત્ર પહેલાં મુખ્યમંત્રી બદલવા કે નહીં તે અંગે નિર્ણય લેવાય શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉપમુખ્યમંત્રી ડી. કે. શિવકુમારે સોનિયા ગાંધીને મળવા માટેનો સમય માંગ્યો છે અને 29 નવેમ્બરે તેઓ દિલ્હી મુલાકાત લઈ શકે છે. શિવકુમાર છેલ્લાં એક અઠવાડિયાથી રાહુલ ગાંધીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રાહુલ ગાંધીએ તેમને વોટ્સએપ પર 'કૃપયા રાહ જુઓ, હું તમને કૉલ કરીશ' એવો જવાબ આપ્યો.
નોંધનીય છે કે, ડી. કે. શિવકુમાર અને પીડબ્લ્યુડી મંત્રી સતીશ જરકીહોલી વચ્ચે મંગળવારે (25 નવેમ્બર) મોડી રાત્રે અજ્ઞાત સ્થળે ગુપ્ત બેઠક થઈ હતી. બંને નેતાઓએ આ મુલાકાત માટે પોતાના તમામ નક્કી કાર્યક્રમો રદ કરી દીધા હતા. મુખ્યમંત્રીના નજીકના ગણાતા જરકીહોલી, શિવકુમાર સાથેના મતભેદો દૂર કરવાના પ્રયાસ કરી રહ્યા છે.
કોંગ્રેસ હાઇકમાન્ડ પર દબાણ
ડી. કે શિવકુમારના સમર્થક ધારાસભ્યોએ દિલ્હી જઈને કોંગ્રેસ હાઇકમાન્ડ પર મુખ્યમંત્રી પદના રોટેશન માટે 2023ના 'સત્તા હસ્તાંતરણ'ના વચનને લાગુ કરવાનો આગ્રહ કર્યો છે. જેને લઈને શિવકુમાર અને જરકીહોલી વચ્ચે બેઠક થઈ હતી, જેનું કેન્દ્ર બંને વચ્ચેના મતભેદો દૂર કરવાનું હતું. શિવકુમારના જૂથના સૂત્રોએ જણાવ્યું કે, બંને વચ્ચે મોડી રાત સુધી વાતચીત ચાલી હતી.
આ પણ વાંચોઃ કર્ણાટકમાં ભયંકર કાર અકસ્માત, IAS ઓફિસર સહિત તેમના બે ભાઈ કાળને ભેટ્યાં
ખડગેની મુલાકાત અને શિવકુમારની દિલ્હી યાત્રા
આ દરમિયાન, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બુધવારે (26 નવેમ્બર) સાંજે બેંગલુરૂ જશે અને ગુરૂવારે દિલ્હી પરત ફરવા માટેની ઉડાન ભરશે. ડી. કે શિવકુમાર પણ 29 નવેમ્બરે દિલ્હી જવાની તૈયારીમાં છે અને તેમણે તે જ દિવસે રાજધાની પરત ફરી રહેલા સોનિયા ગાંધીને મળવાનો સમય માંગ્યો છે.
શું હતી સમજૂતી?
સૂત્રોનું કહેવું છે કે, ડી. કે શિવકુમારે સતીશ જરકીહોલીને જણાવ્યું કે, તેમના અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વચ્ચે 5-6 સિનિયર નેતાઓની હાજરીમાં 2.5 વર્ષ બાદ સત્તા સોંપવાની સમજૂતી થઈ હતી. પરંતુ, આ વચનનું પાલન કરવામાં નથી આવ્યું. જોકે, સતીશનો પહેલો ખાસ અધિકાર આ સંકટ દરમિયાન મુખ્યમંત્રી સાથે મજબૂતીથી ઊભું રહેવું છે. તેમની બીજી સ્થિતિ એ છે કે, જો હાઇ કમાન્ડ સિદ્ધારમૈયાને પદ છોડવાનો નિર્દેશ આપે છે, તો તે નિર્દેશનું પાલન કરશે.
આ સિવાય સૂત્રોનું એવું પણ કહેવું છે કે, સિદ્ધારમૈયા રાહુલ ગાંધીની વાત સાંભળવા તૈયાર છે, જેમણે તેમને બે વાર મુખ્યમંત્રી પદ પર બેસાડ્યા. જો રાહુલ બદલાવનો નિર્દેશ આપે છે તો સિદ્ધારમૈયા તેનું પાલન કરશે.


