Get The App

કોંગ્રેસના જૂના જોગીએ PM મોદી-RSSના વખાણ કરતાં રાજકારણ ગરમાયું! રાહુલ ગાંધીને કરી ટકોર

Updated: Dec 27th, 2025

GS TEAM

Google News
Google News
કોંગ્રેસના જૂના જોગીએ PM મોદી-RSSના વખાણ કરતાં રાજકારણ ગરમાયું! રાહુલ ગાંધીને કરી ટકોર 1 - image


Digvijay Singh On BJP-RSS : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક જૂની તસવીર શેર કરીને રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. આ તસવીરમાં નરેન્દ્ર મોદી જમીન પર બેઠેલા જોવા મળે છે. દિગ્વિજય સિંહે આ ફોટો દ્વારા ભાજપ અને RSSની સંગઠન શક્તિની પ્રશંસા કરી છે અને સાથે જ રાહુલ ગાંધીને પક્ષના સંગઠન પર ધ્યાન આપવાની મહત્ત્વની સલાહ આપી છે.

દિગ્વિજય સિંહે નરેન્દ્ર મોદીની જમીન પર બેસેલી તસવીર શેર કરી

દિગ્વિજય સિંહે એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું કે, ‘આ તસવીર મને ક્વોરા સાઇટ પર મળી હતી, જે ખૂબ જ પ્રભાવશાળી છે. કેવી રીતે આરએસએસનો એક સામાન્ય સ્વયંસેવક, જનસંઘ કે ભાજપનો કાર્યકર નેતાઓના ચરણોમાં જમીન પર બેસીને પહેલા રાજ્યના મુખ્યમંત્રી અને ત્યારબાદ દેશના વડાપ્રધાન બન્યા. આ જ સંગઠનની શક્તિ છે.’ તેમણે આ ઘટનાક્રમને સંગઠન દ્વારા મળતી શક્તિનું જીવંત ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, કોઈપણ રાજકીય પક્ષની ખરી શક્તિ તેના કેડર અને મજબૂત સંગઠન માળખામાં રહેલી હોય છે.

કોંગ્રેસના જૂના જોગીએ PM મોદી-RSSના વખાણ કરતાં રાજકારણ ગરમાયું! રાહુલ ગાંધીને કરી ટકોર 2 - image

દિગ્વિજય સિંહે રાહુલ ગાંધીને કરી ગંભીર ટકોર

દિગ્વિજય સિંહે માત્ર વિરોધ પક્ષની પ્રશંસા જ નથી કરી, પરંતુ પોતાની જ પાર્ટીના નેતા રાહુલ ગાંધીને પણ ગંભીર ટકોર કરી છે. તેમણે પોતાની અન્ય એક પોસ્ટમાં સ્વીકાર્યું કે, ‘સામાજિક અને આર્થિક મુદ્દાઓ પર રાહુલ ગાંધીની સમજ ખૂબ જ સચોટ છે અને તે બાબતમાં તેમને પૂરેપૂરા ગુણ મળવા જોઈએ. જોકે, હવે સમય આવી ગયો છે કે રાહુલ ગાંધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા પર પણ એટલું જ ધ્યાન આપે.’

‘કોંગ્રેસમાં મોટા માળખાગત ફેરફારોની જરૂર’

દિગ્વિજય સિંહના મતે કોંગ્રેસ પાર્ટીમાં અત્યારે મોટા માળખાગત ફેરફારોની જરૂર છે. તેમણે ચૂંટણી પંચના સુધારાની તુલના પક્ષના આંતરિક સુધારા સાથે કરી હતી. તેમણે લખ્યું કે. ‘રાહુલ ગાંધી(Rahul Gandhi)એ સંગઠન સર્જનની શરુઆત કરી છે, પરંતુ હવે પક્ષને યોગ્ય રીતે ચલાવવાની જરૂર છે. રાહુલ ગાંધી આ ફેરફારો લાવી શકે છે, જોકે તેમને મનાવવા સરળ કામ નથી.’

આ પણ વાંચો : પિતાને મગરથી બચાવનારા સાહસી દીકરાને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર, રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત

હોબાળા બાદ દિગ્વિજય સિંહે કરી સ્પષ્ટતા

પોસ્ટ અંગે હોબાળો મચ્યા બાદ દિગ્વિજય સિંહે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ આરએસએસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ની વિચારધારાના પ્રખર વિરોધી છે, પરંતુ તેઓ હંમેશા મજબૂત સંગઠન પ્રક્રિયાના હિમાયતી રહ્યા છે. તેમણે માત્ર સંગઠન શક્તિના મહત્ત્વને દર્શાવવા માટે આ ટિપ્પણી કરી હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં કાકા શરદને 68 બેઠક આપવા તૈયાર નથી અજિત પવાર, ગઠબંધનની વાતચીત ફેલ!