'મારી ડ્યુટી તો પતી ગઈ, હવે હું ઉડાન નહીં ભરું', પાયલોટના ઇનકારથી DyCM શિંદે એરપોર્ટ પર ફસાયા હતા
Deputy CM Mumbai : મહારાષ્ટ્રના જલગાંવ એરપોર્ટ પર ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેનું વિમાન ટેકનિકલ ખામીના કારણે આશરે બે કલાક મોડું પડ્યું હતું. તેમનું વિમાન શુક્રવારે બપોરે 3:45 વાગ્યે આવવાનું હતું, પરંતુ જલગાંવ એરપોર્ટ પર સાંજે 6:15 વાગ્યે જ ઉતરી શક્યું હતું. ત્યારબાદ તેમને જલગાંવથી મુક્તાઈનગર સુધી રોડ માર્ગે જવું પડ્યું હતું. જ્યાં તેમણે સંત મુક્તાઈની પાલખી યાત્રામાં ભાગ લીધો અને મંદિરના દર્શન કર્યા હતા.
આ પણ વાંચો: BREAKING: સોનિયા ગાંધીની તબિયત લથડી, શિમલાની હોસ્પિટલમાં કરાયા દાખલ
મોડા પરત ફરતાં પાઈલટે ઉડાન ભરવાનો ઇનકાર કર્યો
તેઓ રાત્રે 9:15 વાગ્યે જલગાંવ એરપોર્ટ પર પરત ફર્યા, ત્યારે પાઈલટે વિમાન ઉડાન ભરવાની ના પાડી દીધી હતી. ડ્યુટીનો સમય પૂરો થઈ ગયો હોવાથી પાઈલટે કહ્યું કે, 'મારી ડ્યુટી તો પતી ગઈ, હવે હું ઉડાન નહીં ભરું. પાઈલટના ઇનકારથી DyCM શિંદે એરપોર્ટ પર ફસાયા હતા.
મંત્રી- અધિકારીઓએ પાઈલટને સમજાવવા માટે જોડાયા
આ અંગે મંત્રી ગિરીશ દત્તાત્રેય મહાજન, ગુલાબ રઘુનાથ પાટીલ અને જિલ્લા વહીવટી અધિકારીઓએ પાઇલટને સમજાવવાની કોશિષ કરી રહ્યા હતા. આખરે વાતચીત અને સમજાવટ બાદ લગભગ 45 મિનિટ પછી પાયલટ ઉડાન ભરવા માટે રાજી થયા હતા. ત્યારબાદ શિંદે જલગાંવથી વિમાન દ્વારા મુંબઈ પહોંચ્યા.
કિડનીની દર્દી મહિલા માટે વિલંબ વરદાન સાબિત થયો
આ વિલંબ કિડનીની દર્દી શીતલ પાટિલ માટે વરદાન સાબિત થયો. શીતલની સારવાર રાજધાની મુંબઈમાં થવાની હતી, પરંતુ તેની ફ્લાઇટ પહેલાથી જ ઉપડી ગઈ હતી. જ્યારે મંત્રી ગિરીશ મહાજનને આ વાતની જાણ થઈ, ત્યારે તેમણે તાત્કાલિક વ્યવસ્થા કરી અને શીતલ અને તેના પતિને એકનાથ શિંદે સાથે વિમાનમાં મુંબઈ મોકલ્યા. મુંબઈ એરપોર્ટ પર તેમના માટે એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.