ઝુબિન ગર્ગ કેસમાં CBI તપાસની માગ, MLAએ લગાવ્યા ગંભીર આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Zubeen Garg Case : સિંગાપોરમાં ઝુબિન ગર્ગના શંકાસ્પદ મોતને લઈને રહસ્ય વધુ ઘેરું બની રહ્યું છે. જેને લઈને આસામના વિરોધ પક્ષોએ ઝુબિન ગર્ગ કેસમાં CBI તપાસની માગ કરી છે. આરોપ છે કે, આ યાત્રા દબાણ હેઠળ કરવામાં આવી હતી, આયોજકોએ વિરોધાભાસી નિવેદનો આપ્યા હતા અને પુરાવા ખામીયુક્ત છે. આ મામલે આસામ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવબ્રત સૈકિયાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને પત્ર લખ્યો છે.
ઝુબિન ગર્ગ કેસમાં CBI તપાસની માગ
સૈકિયાનું કહેવું છે કે, 'આ મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં થયું હતું. જેને લઈને કેટલાક પુરાવા પણ છે.' તેમણે પત્રમાં લખ્યું છે કે, 'આસામના સાંસ્કૃતિક પ્રતિક ઝુબિન ગર્ગનું મૃત્યુ આકસ્મિક લાગતું નથી. આ ઘટના વિદેશી ધરતી પર બની હતી. તેમાં ન્યાયક્ષેત્રના અવરોધો છે. તેથી, CID તપાસ પૂરતી રહેશે નહીં. તેના દ્વારા ન્યાય પ્રાપ્ત થઈ શકતો નથી.'
ઝુબિન ગર્ગ કેસમાં સિંગરને ન્યાય મળે તેને લઈને સૈકિયાએ કહ્યું કે, 'ન્યાય ફક્ત CBI અને હાઈકોર્ટના ન્યાયાધીશની દેખરેખ હેઠળની તપાસ દ્વારા જ મળી શકે છે.' સૈકિયાએ અનેક સનસનાટીભર્યા દાવા કરતાં તેમણે કહ્યું કે, 'પ્રવાસ પહેલા ઝુબિન ગર્ગે તેમના નજીકના સાથીઓને કહ્યું હતું કે તેઓ સ્વેચ્છાએ નહીં, પણ દબાણ હેઠળ વિદેશ જઈ રહ્યા છે. જ્યારે સાક્ષીઓની સંખ્યા ઓછી રહે અને આયોજકોની જવાબદારી મર્યાદિત કરવા માટે ગર્ગને સીમિત સાથીઓ સાથે મોકલવામાં આવ્યા હતા. જેથી એવી શંકા થાય છે કે, તેમનું મૃત્યુ અકસ્માત નહીં પણ એક સુનિયોજિત કાવતરું હોઈ શકે છે. આ કેસમાં સૌથી મોટો વિવાદ ઉત્તરપૂર્વ ભારત મહોત્સવના આયોજક શ્યામકાનુ મહંતનો છે. વિપક્ષનો આરોપ છે કે તેમના નિવેદનો વિરોધાભાસી છે.'
તમને જણાવી દઈએ કે, આ પહેલા આસામ સરકારે શ્યામકાનુ મહંત પર રાજ્યમાં કોઈપણ સમારોહ કે આયોજન પર પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે, તેઓ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તેઓ ભૂતપૂર્વ ડીજીપી ભાસ્કર જ્યોતિ મહંતના નાના ભાઈ છે, જેઓ હાલમાં આસામ રાજ્ય માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશનર છે. તેમના બીજા ભાઈ નાની ગોપાલ મહંત ગૌહાટી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી ચૂક્યા છે.
આ પણ વાંચો: કેન્દ્ર સરકારે CDS અનિલ ચૌહાણનો કાર્યકાળ લંબાવ્યો, 2026 સુધી પદ સંભાળશે
આસામ રાષ્ટ્રીય પરિષદ અને રાયજોર દળ જેવા વિપક્ષી પક્ષો પણ CBI તપાસની માગ કરી રહ્યા છે. તેમની દલીલ છે કે, CID જેવી રાજ્ય એજન્સી વિદેશી ધરતી પર થયેલા મૃત્યુની તપાસ કરી શકતી નથી. AJPના પ્રમુખ ગોગોઈએ કહ્યું કે, 'વિદેશી ધરતી પર થયેલા મૃત્યુની તપાસ કરવાનો અધિકાર ફક્ત CBI પાસે છે. અમે સરકાર પાસેથી CBI તપાસની માગ કરીએ છીએ.' આ મામલે ગુવાહાટી હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારે માગ કરી છે કે, આ કેસની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવે.









