'વિરોધ કરવા ટ્રમ્પના પ્રવાસનો સમયગાળો નક્કી કરાયો, આ ષડયંત્ર છે', દિલ્હી રમખાણો પર SCમાં બોલી પોલીસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Delhi Riots Sharjeel Imam Bail Hearing: દિલ્હી રમખાણ કેસના આરોપી શરજીલ ઇમામ અને અન્ય છ લોકોએ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેના પર ગુરુવારે સુનાવણી થઈ. દિલ્હી પોલીસે તેમની જામીન અરજીનો વિરોધ કર્યો અને કોર્ટમાં ઘણા પુરાવા આપ્યા. દિલ્હી પોલીસ વતી હાજર રહેલા વકીલ(ASG) એસ. વી. રાજુએ કોર્ટને વીડિયો ક્લિપ્સ બતાવી અને દલીલ કરી કે આ રમખાણોનું આયોજન ત્યારે જ કરવામાં આવ્યું હતું જ્યારે નાગરિકતા સંશોધન કાયદો(CAA) પસાર થવાનો હતો.
આસામને આર્થિક નુકસાન પહોંચાડવાનું લક્ષ્ય
એસ. વી. રાજુએ કોર્ટમાં દલીલ કરી હતી કે આરોપીઓએ આ પરિસ્થિતિનો ઉપયોગ મુસ્લિમોનું સમર્થન મેળવવાની તક તરીકે જોયો હતો. તેમના મતે, આ કોઈ સામાન્ય વિરોધ પ્રદર્શન નહોતું. ASGએ આરોપ લગાવ્યો કે, 'આ આરોપીઓનો ઇરાદો દિલ્હીનો સપ્લાય રોકવાનો અને પૂર્વોત્તરના આસામનું આર્થિક રીતે નુકસાન કરીને તેનું ગળું દબાવવાનો હતો. તેમનો મુખ્ય હેતુ લોકોને જરૂરી વસ્તુઓથી વંચિત કરવાનો હતો.'
મુસ્લિમ સમુદાયને ભડકાવવાનો પ્રયાસ
ASG એસ. વી. રાજુએ કોર્ટને સમજાવ્યું કે, આરોપીઓએ જાણીજોઈને 'ચિકન નેક'(આસામને બાકીના ભારત સાથે જોડતો 16 કિલોમીટરનો સાંકડો રસ્તો)નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે આરોપીઓ કાશ્મીર અને ટ્રિપલ તલાક જેવા મુદ્દાઓ ઉઠાવીને મુસ્લિમ સમુદાયને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ઉપરાંત, ASGએ ધ્યાન દોર્યું કે આરોપીઓ કોર્ટનું અપમાન કરવાના પ્રયાસો પણ કરતા હતા.'
શાસન બદલવાના હેતુથી આયોજન
એસ. વી. રાજુએ કોર્ટને જણાવ્યું કે, આરોપીઓ એવા નિવેદનો આપતા હતા કે 'કોર્ટને નાની યાદ કરાવી દેશું' અને બાબરી મસ્જિદ વિશે વાત કરતા હતા. તેમણે દલીલ કરી કે આ દિલ્હી રમખાણો શાસન બદલવાના હેતુથી આયોજિત કરવામાં આવ્યા હતા, આથી જ આ રમખાણો ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન કરવામાં આવ્યા હતા. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આ માત્ર એક સંયોગ નહોતો, પરંતુ સંપૂર્ણપણે વિચાર્યું-સમજ્યું કાવતરું હતું. આ કાવતરાના મુખ્ય સભ્યએ પોતે સ્વીકાર્યું છે કે આ માત્ર વિરોધ નહીં, પણ હિંસક વિરોધ હતો જેનો હેતુ આસામને ભારતથી અલગ કરવાનો હતો.
આ આરોપીઓ પર ભારતમાં કોરોના શરુ થયો તે પહેલાં, ફેબ્રુઆરી-2020માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસાને વકરાવવાનો આરોપ છે. આ હિંસામાં 50થી વધુ લોકોના મૃત્યુ થયા હતા, ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા અને કરોડો રૂપિયાની સંપત્તિને નુકસાન થયું હતું.









