દિલ્હી કાર બ્લાસ્ટમાં ત્રણ બાળકનો પિતા અને વૃદ્ધ માતાનો સહારો છીનવાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image: IANS |
Delhi Car Blast: દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટે આખા દેશને હચમચાવી દીધો છે. આ દર્દનાક અકસ્માતમાં ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના રહેવાસી 34 વર્ષીય અશોક કુમારનું મોત નિપજ્યું છે. આ બ્લાસ્ટથી તેમના પરિવારનો માળો વિખેરાઇ ગયો છે. અશોક દિલ્હીમાં બસ કન્ડક્ટરની નોકરી કરતા હતા. દરરોજની જેમ તે ડ્યૂટી પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. પરંતુ, તે દિવસે તેમના ભાગ્યએ સાથ ન આપ્યો અને ધમાકાએ બધુ ખતમ કરી દીધું.
પરિવારનો સહારો હતા અશોક
અમરોહા જિલ્લાના હસનપુર પોલીસ સ્ટેશનના મંગરૌલા ગામમાં અશોકનું મૂળ વતન છે. પિતાનું પહેલાં જ દેહાંત થઈ ચુક્યું છે અને હવે વૃદ્ધ માતા અને બાકીના પરિવારનો એકમાત્ર સહારો અશોક હતા. અશોકના મોતની ખબર સામે આવતા જ આખા ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. પરંતુ, માતાને હજુ સુધી દીકરાના મોતના સમાચાર આપવામાં નથી આવ્યા. પરિવારનું કહેવું છે કે, માતાની તબિયત નાજુક છે, તેથી હાલ હકીકત તેમનાથી છુપાવામાં આવી રહી છે.
અશોકની પત્ની અને ત્રણ નાના બાળકો છે, જેમાંથી બે દીકરી અને એક દીકરો છે. તેઓ દિલ્હીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. આખો પરિવાર અશોક પર જ નિર્ભર હતો. સંબંધીઓના જણાવ્યાનુસાર, તેઓ દરરોજ પોતાની ડ્યૂટી પૂરી કરીને પરિવાર માટે સામાન લઈને ઘરે પરત ફરતા હતા. અમે વિચારી પણ નથી શકતા કે, તેમનું મોત આવી રીતે થશે.
પરિવારનું દુઃખ
અશોકના પિતરાઈ ભાઈ સોમપાલ શર્માએ જણાવ્યું હતું કે, ટીવી પર સમાચાર આવ્યા પછી જ પોલીસ ગામમાં આવી હતી અને પરિવારની પૂછપરછ કરી હતી. પરિવારે સમજાવ્યું હતું કે તેમને ટીવી પરથી ખબર પડી હતી કે, દિલ્હી વિસ્ફોટમાં અમરોહાના એક વ્યક્તિનું મોત થયું છે. પોલીસ થોડા સમય પછી આવી અને નામની પુષ્ટિ કરી. આ એક નિષ્ફળતા છે; આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ શકે? પરિવારે માંગ કરી છે કે સરકાર પીડિત પરિવારને પૂરતું વળતર આપે અને ગુનેગારોને ઝડપથી સજા આપે. ગ્રામજનો કહે છે કે, અશોક જેવો સરળ માણસ આતંકવાદી કાવતરાનો ભોગ બન્યો.
દિલ્હી બ્લાસ્ટની તપાસમાં કાશ્મીરથી ફરીદાબાદ અને લખનૌ સુધી ફેલાયેલા નેટવર્કનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસે મૃતકોની ઓળખ જાહેર કરતાની સાથે જ અમરોહા પોલીસ એક્શનમાં આવી. સ્થાનિક પોલીસની એક ટીમ મંગરોલા ગામમાં પહોંચી અને અશોકના પરિવારને તેની લાઇફ સ્ટાઇલ, નોકરી અને દિલ્હીમાં મિત્રો વિશે પૂછપરછ કરી. પોલીસે બ્લાસ્ટ વિસ્તારમાં તે દિવસે અશોકે જે માર્ગ અપનાવ્યો હતો અને તે ત્યાં કેવી રીતે પહોંચ્યો તેની પણ તપાસ શરૂ કરી દીધી છે. હાલ પરિવારને દિલ્હી બોલાવવામાં આવ્યો છે.
ગામમાં શાંતિ શોકનો માહોલ
ઘટનાના સમાચાર ફેલાતાં જ માંગરોલા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આખું ગામ અશોકના ઘરની બહાર એકઠું થઈ ગયું. કોઈને વિશ્વાસ નથી થઈ રહ્યો કે જે માણસ રોજ ફોન કરીને તેની તબિયત પૂછતો હતો તે હવે નથી રહ્યો. પરિવારના સભ્યો કહે છે કે અશોકના મૃત્યુની પુષ્ટિ થયા પછી, તેની પત્ની અને ભાઈ દિલ્હી જવા રવાના થઈ ગયા. દિલ્હીમાં પોસ્ટમોર્ટમ પછી મૃતદેહને ગામમાં પાછો લાવવાની તૈયારી ચાલી રહી છે.
અશોક બે પરિવારોની જવાબદારી સંભાળતો હતો
અશોક ફક્ત તેના બાળકો અને પત્નીનો જ નહીં, પણ તેના નાના ભાઈ અને વૃદ્ધ માતાની જવાબદારી પણ સંભાળતો હતો. સંબંધીઓના જણાવ્યા મુજબ, તે ઘણીવાર કહેતો હતો, 'જ્યાં સુધી મારા હાથ અને પગ છે, ત્યાં સુધી હું બધાનું ધ્યાન રાખીશ.' પરંતુ હવે, જે ખભા પર આખો પરિવાર નિર્ભર હતો તે ખતમ થઈ ગયો છે.
અકસ્માતની રાત્રે છેલ્લો કૉલ
અશોકના પરિવારે કહ્યું કે, તેમને ગઈકાલે જ તેનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું હતું કે તે ટૂંક સમયમાં ઘરે આવશે. તેણે બાળકો માટે બિસ્કિટ અને દૂધ ખરીદ્યા. થોડી વાર પછી, ટીવી પર વિસ્ફોટના સમાચાર સામે આવ્યા.









