દિલ્હી કાર બ્લાસ્ટનું ફરીદાબાદના દરોડા સાથે શું કનેક્શન? એજન્સીઓની તપાસમાં મોટા દાવા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi Blast: લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક દિલ્હીમાં થયેલા ધમાકાના તાર ફરીદાબાદ ટેરર મૉડ્યૂલ સાથે જોડાતા જણાય છે. રાજધાનીમાં થયેલા આ વિસ્ફોટમાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ થયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. નોંધનીય છે કે પોલીસે ફરીદાબાદમાંથી 2900 કિલોગ્રામ બોમ્બ બનાવવાની સામગ્રી જપ્ત કરી હતી, જેમાં એમોનિયમ નાઇટ્રેટ પણ સામેલ હતું.
બીજી તરફ, એવી પણ ચર્ચા છે કે આ મૉડ્યૂલ સાથે સંકળાયેલા ડૉક્ટર ઉમર મોહમ્મદે ધરપકડના ડરથી આ ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે, આ બાબતે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને તપાસ ચાલુ છે. સોમવારે સાંજે થયેલા આ વિસ્ફોટમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
એમોનિયમ નાઇટ્રેટના ઉપયોગની આશંકા
પીટીઆઈ અનુસાર ધમાકામાં વપરાયેલી i20 કારના તાર ફરીદાબાદ મૉડ્યૂલ સાથે જોડાયેલા હતા. ખાસ વાત એ છે કે કારનો નંબર પણ હરિયાણાનો જ હતો. એજન્સીને સૂત્રોએ જણાવ્યું છે કે ધમાકા સમયે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કથિત રીતે પુલવામાનો રહેવાસી ઉમર મોહમ્મદ હ્યુન્ડાઈ i20 કાર ચલાવી રહ્યો હતો.
પોલીસ સૂત્રોએ એ પણ કહ્યું કે આ ધમાકામાં એમોનિયમ નાઇટ્રેટ, ફ્યુઅલ ઓઇલ અને ડેટોનેટર્સનો ઉપયોગ થયો હોઈ શકે છે. જોકે, હજી તપાસના અંતિમ રિપોર્ટ્સ આવવાના બાકી છે.
ડૉક્ટર સાથીઓની ધરપકડથી હુમલો?
દિલ્હી પોલીસ તરફથી મળેલી જાણકારી મુજબ, એક સીસીટીવી ફૂટેજમાં માસ્ક પહેરેલો એક વ્યક્તિ કાર ચલાવતો જોવા મળે છે. પોલીસે કહ્યું કે, ઉમર મોહમ્મદ કથિત રીતે જૈશ-એ-મોહમ્મદના ટેરર મૉડ્યૂલનો એક ભાગ હતો. સૂત્રોના રિપોર્ટ અનુસાર, જમ્મુ અને કાશ્મીરના પુલવામાના રહેવાસી તારિકે ઉમર મોહમ્મદને આ કાર આપી હોવાનું કહેવાય છે.
પોલીસે વધુમાં જણાવ્યું કે, આ ટેરર મૉડ્યૂલમાં સામેલ ઉમર મોહમ્મદના અન્ય ડૉક્ટર સાથીઓની ધરપકડ થતાં, તેણે પોતાની ધરપકડના ડરથી આ આતંકી હુમલાને અંજામ આપ્યો હતો.
દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચાએ પત્રકારોને માહિતી આપી કે, મોડી સાંજે લગભગ 6:52 વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક ટ્રાફિક સિગ્નલ પર ધીમી ગતિએ જતી કારમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ સમયે કારની અંદર કેટલાક લોકો સવાર હતા અને અન્ય વાહનોને પણ નુકસાન થયું હતું.
આ પણ વાંચો: દિલ્હી કાર બ્લાસ્ટમાં એક પરિવારના ત્રણ બાળકનો પિતા અને વૃદ્ધ માતાનો સહારો છીનવાયો
ફરીદાબાદમાંથી શું મળ્યું?
સોમવારે દેશના અનેક ભાગોમાંથી પોલીસે 3 ડૉક્ટરો સહિત 8 લોકોની ધરપકડ કરી હતી. સાથે જ 2900 કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી. પોલીસનો દાવો છે કે આ ધરપકડો અને જપ્તીથી જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલા જૈશ-એ-મોહમ્મદ અને અંસાર ગઝવાતુલ હિંદના આતંકવાદી મૉડ્યૂલનો પર્દાફાશ થયો છે.
જમ્મુ કાશ્મીર પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે 2900 કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રીમાં એમોનિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ અને સલ્ફર સામેલ છે, જેમાં ફરીદાબાદમાં ગનીના ભાડાના મકાનમાંથી મળેલી 360 કિલોગ્રામ જ્વલનશીલ સામગ્રીનો પણ સમાવેશ થાય છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્ફોટક સામગ્રી એમોનિયમ નાઇટ્રેટ હોવાની શંકા છે.








