ભારતમાં બનશે નેવીના તમામ જહાજ, વિદેશ પર નિર્ભરતા ખતમ, સંરક્ષણ મંત્રીએ કરી જાહેરાત
‘Made-In-India’ Indian Navy Naval Ship : ભારતીય નૌકાદળને વધુ મજબૂત બનાવવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) વિશાખાપટ્ટનમમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે, હવે પછી ભારતીય નૌકાદળ માટે એક પણ યુદ્ધ જહાજ વિદેશમાં બનાવવામાં આવશે નહીં. આ જાહેરાત ‘મેક ઈન ઇન્ડિયા’ પહેલને વધુ પ્રોત્સાહન આપવા અને દેશની સંરક્ષણ ક્ષમતાને આત્મનિર્ભર બનાવવા માટેનું એક મોટું પગલું છે. આ જાહેરાત તેમણે પૂર્વીય નૌકા કમાન્ડમાં બે નવા બહુહેતુક સ્ટીલ્થ ફ્રિગેટ્સ, આઈએનએસ ઉદયગિરિ અને આઈએનએસ હિમગિરિના સમાવેશ દરમિયાન કરી હતી.
IND ઉદયગિરિ-હિમગિરિ ગેમ-ચેન્જર સાબિત થશે
તેમણે કહ્યું કે, ‘આઈએનએસ ઉદયગિરિ અને આઈએનએસ હિમગિરિ આધુનિક યુદ્ધ જહાજો સ્વદેશી રીતે બનાવવામાં આવ્યા છે, જે ભારતીય એન્જિનિયરિંગ અને ડિઝાઇન ક્ષમતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ યુદ્ધ જહાજોમાં લાંબા અંતરની સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઈલો, સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલો, સ્વદેશી રોકેટ લોન્ચર્સ, ટોર્પિડો લોન્ચર્સ, યુદ્ધ પ્રબંધન પ્રણાલી અને અગ્નિ નિયંત્રણ પ્રણાલીઓ જેવી અત્યાધુનિક સુવિધાઓ છે. આ બંને યુદ્ધ જહાજો સમુદ્રમાં ખતરનાક મિશનોમાં 'ગેમ-ચેન્જર' સાબિત થશે.’
હિંદ મહાસાગરમાં મજબૂત હાજરી જરૂરી
સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, ‘હિંદ મહાસાગર ક્ષેત્રના વધતા ભૌગોલિક-રાજકીય તણાવના કારણે આ વિસ્તારમાં અનેક દેશોના હિતો ટકરાઈ રહ્યા છે, જેના કારણે ત્યાં સતત શક્તિ પ્રદર્શન ચાલતા રહે છે. આવી સ્થિતિમાં ભારત માટે પોતાની દરિયાઈ તૈયારીઓને મજબૂત રાખવી અત્યંત જરૂરી છે. ભારતીય નૌકાદળે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન વિશ્વને બતાવ્યું છે કે તે જરૂરિયાતના સમયે કેવી રીતે કાર્ય કરી શકે છે.’ દેશમાં જ યુદ્ધ જહાજ બનાવવાના નિર્ણયથી સંરક્ષણ ક્ષેત્રના ઉદ્યોગને મોટું પ્રોત્સાહન મળશે, નવી નોકરીઓનું સર્જન થશે. ભારતને સંરક્ષણ સાધનોના આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં પણ મદદ થશે.
આ પણ વાંચો : ભાજપ સાથે આ પાર્ટીને વાંધો પડ્યો! પાર્ટી અધ્યક્ષે કહ્યું- 'ફાયદો નથી, તો ગઠબંધન તોડી દો...'