'મિત્ર પર મિત્ર જ દુષ્કર્મ આચરે તો શું કરી શકાય...', તૃણમૂલ કોંગ્રેસના સાંસદનું વિવાદિત નિવેદન
Trinmool Congress Leadear and Kolkata News: દક્ષિણ કોલકાતાની લૉ કોલેજમાં 24 વર્ષીય વિદ્યાર્થિની સાથે સામૂહિક દુષ્કર્મની હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. જેમાં મુખ્ય આરોપી સત્તાધારી ટીએમસીના વિદ્યાર્થી સંગઠનનો સભ્ય હોવાની જાણકારી સામે આવી છે. હવે આ મામલે તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ કલ્યાણ બેનર્જીના એક નિવેદનથી હોબાળો મચી ગયો છે. ભાજપે આ નિવેદનને શરમજનક ગણાવતા આકરો વિરોધ નોંધાવ્યો છે.
સાંસદ કલ્યાણ બેનર્જી શું બોલ્યાં?
શ્રીરામપુરથી ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જીએ આ મામલે કહ્યું કે 'જો એક મિત્ર જ મિત્ર સાથે દુષ્કર્મ કરતું હોય તો એમાં શું કરી શકાય. શું સ્કૂલોમાં પોલીસ બેસાડીએ? આ દુષ્કર્મની ઘટનાને એક વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થિની પર અંજામ અપાયો છે. કોણ તેની રક્ષા કરશે?બધા પુરુષો આવુ નથી કરતા. મહિલાઓએ છેડતી કરનારા અને વિકૃત પુરુષો વિરુદ્ધ લડવું જોઈએ.'
આ પણ વાંચો: કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના સૂત્રધાર પ્રિન્સની CBIએ મુંબઈથી કરી ધરપકડ
અપરાધ સાથે કોઈ પાર્ટી કે સંગઠનને લેવા દેવા ન હોય
તેમના આ નિવેદનની વ્યાપક ટીકા થઇ રહી છે કેમ કે તેમાં સંસ્થાગત જવાબદારીથી બચવાનો પ્રયાસ દેખાય છે. જ્યારે તેમને આરોપી અને ટીએમસીના વિદ્યાર્થી સંગઠનના સંબંધો વિશે સવાલ કરાયો તો તેમણે કહ્યું કે અપરાધ કોઈ પાર્ટી કે સંગઠન સાથે જોડાયેલો ન હોય. કલ્યાણ બેનર્જીએ કહ્યું કે હું વારંવાર કહું છું કે જેણે પણ આ કર્યું હોય તેની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. જ્યાં સુધી પુરુષોની આવી માનસિકતા રહેશે ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે.
મામલો શું છે?
આ ઘટના બુધવાર સાંજની હતી જ્યારે સાઉથ કોલકાતામાં લૉ કોલેજમાં પ્રથમ વર્ષમાં ભણતી વિદ્યાર્થિની સાથે કોલેજના કેમ્પસમાં જ સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. આરોપીઓની ઓળખ પૂર્વ વિદ્યાર્થી અને વકીલ મનોજીત મિશ્રા તરીકે થઇ હતી. ત્યાં બે અન્ય વિદ્યાર્થી જૈબ અહેમદ અને પ્રમિત મુખોપાધ્યાય પણ હાજર હતા. તેમના પર દુષ્કર્મમાં મદદ કરવાનો આરોપ છે.