Manikarnika Ghat Controversy: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વારાણસીના પ્રસિદ્ધ મણિકર્ણિકા ઘાટના પુન:વિકાસને લઈને ગંભીર આરોપ લગાવ્યા છે. ખડગેનું કહેવું છે કે, 'સૌંદર્યકરણ અને વ્યાપારીકરણના નામે વિરાસતોને બુલડોઝર દ્વારા ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે. તેમણે આરોપ મૂક્યો કે PM મોદી ઈતિહાસની દરેક ધરોહરનું નામો નિશાન મિટાવી પોતાની નેમ-પ્લેટ ચોંટાડવા માંગે છે
ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો ધ્વસ્ત કર્યો
15 જાન્યુઆરી 2026ના રોજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં લખ્યું કે, 'જી, સુંદરતા અને વ્યાપારીકરણના નામે વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર બુલડોઝર ચલાવીને સદીઓ જૂના ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને ધ્વસ્ત કરવાનું કામ કર્યું છે. પહેલા કોરિડોરના નામે મોટા અને નાના મંદિરો અને તીર્થસ્થાનો તોડી પાડવામાં આવ્યા હતા, અને હવે પ્રાચીન ઘાટનો વારો છે. તમે ઐતિહાસિક વારસાના દરેક ભાગને ભૂંસી ફક્ત તમારી નેમપ્લેટ લગાવવા માંગો છો'
ખડગેએ કર્યો સવાલોનો મારો
આ સાથે ખડગેએ X પોસ્ટમાં કેટલી તસવીરો અને વીડિયો પણ શેર કર્યા, જેમાં બુલડોઝર અને તોડી નાખવામાં આવેલી મૂર્તિઓ નજરે પડી રહી છે. ખડગેએ સવાલ ઉઠાવ્યો કે કેમ વર્ષો જૂની મૂર્તિઓ અને મંદિરોને તોડી નાખવામાં આવ્યા? તેને મ્યુઝિયમમાં કેમ રાખવામાં ન આવ્યા? લાખો લોકો મોક્ષ માટે કાશી/વારાણસીની યાત્રા કરે છે, શું તેમનો ઈરાદો ભક્તોને છેતરવાનો છે.?
મણિકર્ણિકા ઘાટ સૌથી પવિત્ર સ્મશાન સ્થળ
-પૌરાણિક માન્યતાઓ મુજબ આ જ જગ્યાએ ભગવાન વિષ્ણુની મણિ પડી હતી, જેના કારણે તેનું નામ મણિકર્ણિકા પડ્યું.
-મણિકર્ણિકા કાશીના 84 મુખ્ય ઘાટોમાંથી એક, દેવી અહિલ્યાબાઈ હોલ્કર દ્વારા બનાવવામાં આવેલા 5 ઘાટોમાંથી એક.
-મણિકર્ણિકા ઘાટ હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર સ્મશાન સ્થળ છે. અહીં અગ્નિસંસ્કાર કરવાથી મોક્ષ મળે તેવી માન્યતા છે.
-આ ઘાટ વારાણસીના સૌથી જૂના ઘાટોમાંનો એક છે, જેની વાર્તા માતા સતીના કાનની બુટ્ટી સાથે સંબંધિત છે.
આ પુનર્વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 7 જુલાઈ, 2023ના રોજ કરવામાં આવ્યો હતો. તે કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટનો એક ભાગ છે.
સ્થાનિક લોકો અને વિરોધીઓનો આરોપ છે કે કામ દરમિયાન સદીઓ જૂની મૂર્તિઓ અને મોટા અને નાના મંદિરોને નુકસાન થયું. જોકે, જિલ્લા તંત્રે આ આરોપોને ફગાવી દીધા છે. અને સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે તંત્ર દ્વારા કોઈ જ મંદિર કે સાંસ્કૃતિક માળખાનો નાશ કરવામાં આવ્યો નથી. તમામ વસ્તુઓ સુરક્ષિત છે બાદમાં તેને પુનઃસ્થાપિત કરવામાં આવશે. વારાણસી કલેક્ટરે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવનારાઓને ચેતવણી આપી છે.


