‘આઝાદીમાં યોગદાન નથી અને બંધારણ વિરુદ્ધ વાતો કરી રહ્યા છે’ ખડગેના PM મોદી પર પ્રહાર
Political News : દેશમાં આજથી 50 વર્ષ પહેલાં કટોકટી લાદવામાં આવી હતી, ત્યારે આજના દિવસે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પ્રેસ કોન્ફરન્સ યોજી ચૂંટણી પંચ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ‘મોદી સરકારમાં ચૂંટણી પંચ કઠપૂતળી બની ગયું છે. નરેન્દ્ર મોદી કહે છે કે, હું ચૂંટણી જીતી રહ્યો છું. રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો તો ઈડી પાસે કોઈ જવાબ નથી. વર્તમાન સમયમાં ચૂંટણી પંચ મોદી સરકારની કઠપૂતળી બની ગઈ છે.’
ચૂંટણી તમે નહીં, મશીન જીતી રહી છે : ખડગેના મોદી પર પ્રહાર
આ વર્ષે અંતમાં બિહાર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે ખડગેએ બિહારનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. અરે તમે ચૂંટણી જીતી રહ્યા નથી, મશીન જીતી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ આજે કટોકટીના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક પરિપત્ર જાહેર કર્યું છે. તેમાં કહેવાયું છે કે, કટોકટી વખેત બંધારણ નષ્ટ થઈ ગયું હતું અને અમે બંધારણ પર વિશ્વાસ ઊભો કર્યો છે. તમામ રાજ્યએ બંધારણ હત્યા દિવસ મનાવવો જોઈએ.’
ભાજપ શાસન કરવામાં નિષ્ફળ ગયું : ખડગે
કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે, ‘દેશની આઝાદીમાં જેનું કોઈ યાગદાન નથી, તેઓ બંધારણની વિરુદ્ધમાં વાતો કરી રહ્યા છે. ભાજપ ‘બંધારણ બચાવો યાત્રા’થી ગભરાઈ રહી છે. જે લોકો શાસન કરવામાં નિષ્ફળ ગયા છે, મોંઘવારીથી લઈને બેરોજગારી પર જવાબ આપતા નથી, નોટબંધી પર જવાબ આપતા નથી, તમે સર્વપક્ષીય બેઠકમાં પણ આવતા નથી અને પહલગામ પર બેઠક બોલાવીને રેલી કરવા જતા રહ્યા.’
કટોકટીના 50 વર્ષ પૂરા થવા અંગે PM મોદીએ શું કહ્યું
કટોકટીના 50 વર્ષ થવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર કહ્યું કે, ‘આજે ભારતના લોકતંત્રના ઇતિહાસમાં સૌથી કાળા અધ્યાયો પૈકી એક કટોકટીને 50 વર્ષ પૂરા થયા છે. દેશના લોકો આ દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે માને છે. આ દિવસે ભારતના બંધારણના મૂલ્યોની અવગણના કરવામાં આવી હતી. મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરી પ્રેસની સ્વતંત્રતા ખતમ કરવામાં આવી હતી. અનેક રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ, અને સામાન્ય નાગરિકોને જેલ ભેગા કર્યા હતા. તે સમયે શાસન કરી રહેલી કોંગ્રેસ સરકારે લોકતંત્રને બંધક બનાવ્યું હતું. અમે કટોકટી વિરુદ્ધ લડાઈમાં અડગ રહેનારા દરેક વ્યક્તિને સલામ કરીએ છીએ. આખા ભારતમાંથી, દરેક ક્ષેત્રમાંથી, અલગ-અલગ વિચારધારાઓમાંથી લોકો આવ્યા હતા. જેમનો એક જ ઉદ્દેશ હતો એકબીજા સાથે મળીને કામ કરવું. ભારતના લોકશાહી ઢાંચાની રક્ષા કરવી અને તેના આદર્શોને જાળવી રાખવા. તેના માટે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું. આ તેમનો સામૂહિક સંઘર્ષ હતો. જેના લીધે તે સમયની કોંગ્રેસ સરકારે લોકશાહીની પુનઃસ્થાપના કરવી પડી. નવેસરથી ચૂંટણી કરાવવી પડી અને તેમાં કારમી હારનો સામનો કર્યો.’
કેન્દ્ર સરકારે ગત વર્ષે કટોકટી દિવસને 'સંવિધાન હત્યા દિવસ' જાહેર કર્યો હતો
દેશમાં આજથી 50 વર્ષ પહેલાં કટોકટી લાદવામાં આવી હતી. કેન્દ્ર સરકાર આજે 25 જૂન, 2025ના રોજ નવી દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે દેશની સ્વતંત્રતા બાદના ઇતિહાસના સૌથી કાળા પ્રકરણો પૈકી એક કટોકટીને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવશે. ગત વર્ષે 2024માં કેન્દ્ર સરકારે 25 જૂન, 1975માં લાદવામાં આવેલી કટોકટીના દિવસને 'સંવિધાન હત્યા દિવસ' તરીકે ઉજવવાની સત્તાવાર રીતે જાહેરાત કરી હતી.
આ પણ વાંચો : ‘અમારી ભારત સાથે વાત કરાવો’ પાકિસ્તાનના વડાપ્રધાનની સાઉદી અરેબિયાના પ્રિન્સને આજીજી