Get The App

બિહારમાં કારમા પરાજય બાદ કોંગ્રેસની મુશ્કેલી વધી, રાજ્યસભામાં પણ નુકસાનની આશંકા

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
બિહારમાં કારમા પરાજય બાદ કોંગ્રેસની મુશ્કેલી વધી, રાજ્યસભામાં પણ નુકસાનની આશંકા 1 - image

Rajya Sabha 2026: બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યાં બાદ કોંગ્રેસની મુશ્કેલીઓ હવે દિલ્હી સુધી પહોંચી છે. પાર્ટીને 2026માં યોજાનારી દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણીમાં પણ મોટું નુકસાન થવાની આશંકા છે. આ પરિણામોથી માત્ર કોંગ્રેસ જ નહીં, પરંતુ તેના ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ (I.N.D.I.A.) ગઠબંધન પર પણ ગંભીર અસર પડી શકે છે.

2026માં 72 બેઠકો માટે ચૂંટણી, NDAને ફાયદો

વર્ષ 2026માં એપ્રિલ, જૂન અને નવેમ્બર મહિનામાં રાજ્યસભાની કુલ 72 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. અનેક રાજ્યોમાં કોંગ્રેસનું નબળું પ્રદર્શન રહેતા 2026ની રાજ્યસભાની ચૂંટણીનો સીધો ફાયદો NDAના ઘટક દળોને થવાની ધારણા છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષો, જેમાં I.N.D.I.A. ગઠબંધનના પક્ષોનો સમાવેશ થાય છે, તેમને આ ચૂંટણીઓમાં નોંધપાત્ર બેઠકો ગુમાવવી પડી શકે છે, જેનાથી રાજ્યસભામાં તેમનું સંખ્યાબળ ઘટશે.

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સહિત 8 દિગ્ગજ નેતાઓની બેઠકો ખાલી

રાજ્યસભામાં વર્ષ 2026માં કોંગ્રેસની કુલ આઠ બેઠકો ખાલી થઈ રહી છે. ખાલી થનારી બેઠકોમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, દિગ્વિજય સિંહ, શક્તિ સિંહ ગોહિલ અને રજની પાટિલ જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે.

મલ્લિકાર્જુન ખડગેનો રાજ્યસભાનો કાર્યકાળ 26 જૂને સમાપ્ત થાય છે. કર્ણાટકમાં પાર્ટી સત્તામાં હોવાથી તેમને બીજી તક મળી શકે છે, પરંતુ અન્ય રાજ્યોમાં ધારાસભ્યોની સંખ્યા ઓછી થવાને કારણે ઘણી બેઠકો ગુમાવવાનો વારો આવી શકે છે.

આ પણ વાંચો: માતાએ ચૂંટણી જીતી અને દીકરો નીતિશ સરકારમાં મંત્રી બની ગયો, નારાજ દિગ્ગજ નેતાએ આ રીતે કરી ડીલ!


બિહારમાં મહાગઠબંધન માટે સંકટ

બિહારમાં પણ પાંચ રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે, જેમાં RJDના પ્રેમચંદ ગુપ્તા અને એડી સિંહનો સમાવેશ થાય છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી, RJD માટે આ બંને બેઠકો જીતવી મુશ્કેલ બનશે, જેના કારણે તેની બેઠકોની સંખ્યા ઘટી શકે છે.

બિહારમાંથી રાજ્યસભાની એક બેઠક જીતવા માટે ઓછામાં ઓછી 42 બેઠકોની જરૂર છે. જોકે, મહાગઠબંધનની બધી બેઠકોને જોડવામાં આવે તો વિજય માટે જરૂરી ન્યૂનતમ સંખ્યા પહોંચી શકાય તેમ છે, પરંતુ કોંગ્રેસની નબળી સ્થિતિ ગઠબંધનની રાજકીય પકડને નબળી પાડી રહી છે. નોંધનીય છે કે, કોંગ્રેસ અને I.N.D.I.A. ગઠબંધન માટે આગામી રાજ્યસભા ચૂંટણી મોટો પડકાર બની રહે તેમ છે.