સંજય નિરુપમ સામે કોંગ્રેસના એક્શન, સ્ટાર કેમ્પેનરની યાદીમાંથી હટાવ્યા, પક્ષમાંથી હકાલપટ્ટીની પણ તૈયારી
Updated: Apr 3rd, 2024
Congress Action On Sanjay Nirupam : કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પર ચૂંટણી લડવાની જીદ કરી શિવસેના યૂબીટીની ટીકા કરતા મહારાષ્ટ્ર કોંગ્રેસે તેમને પાર્ટીમાં હાંકી કાઢવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે. આ ઉપરાંત કોંગ્રેસે સ્ટાર પ્રચારકની યાદીમાંથી પણ તેમનું નામ હટાવી દીધુ છે અને હવે દિલ્હીમાં કોંગ્રેસના હાઈકમાન્ડ આ મામલે નિર્ણય લેશે. મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે (Nana Patole)એ કહ્યું કે, ‘અમારી પાર્ટીએ સંજય નિરૂપમને સ્ટાર પ્રચારકોની યાદીમાં હટાવી દીધા છે. પક્ષ વિરોધી નિવેદન કરતા તેમની સામે કાર્યવાહી કરાશે.’
કોંગ્રેસની કાર્યવાહી બાદ સંજય ભરી ભડક્યા
કોંગ્રેસે કાર્યવાહી કર્યા બાદ સંજય નિરૂપમે કહ્યું કે, ‘કોંગ્રેસ મારી પાછળ વધુ ઊર્જા અને સ્ટેશનરી નષ્ટ કરવાની જરૂર નથી, પરંતુ તેઓ પાર્ટીને બચાવવા બચેલી ઊર્જા અને સ્ટેશનરીનો ઉપયોગ કરે. આમ પણ પાર્ટી આર્થિક સંકટ સામે ઝઝુમી રહી છે. મેં એક સપ્તાહનું અલ્ટિમેટમ આપ્યું હતું, તે આજે પુરુ થઈ રહ્યું છે. આવતીકાલે હું પોતે નિર્ણય લઈશ.’
કોંગ્રેસે સંજયને કેમ કાઢ્યા?
સંજય નિરૂપમ કોંગ્રેસની ટિકિટ પર મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છતા હતા, જોકે ગઠબંધન વચ્ચે થયેલા સીટ શેયરિંગ મુજબ આ બેઠક પરથી શિવસેના યુબીટી (Shiv Sena UBT)એ અમોલ કીર્તિકરને ઉમેદવાર બનાવી દીધા છે. આ જ કારણે સંજય નિરૂપમ ભડકી ઉઠ્યા છે. અગાઉ સંજયે સીટ શેયરિંગ મુદ્દે કોંગ્રેસ પર હાવી થવાનો પ્રયાસ કર્યો હતો અને શિવસેના યુબીટીની ટીકા કરી હતી.