'બુલડોઝર નહીં પણ કાયદાનું શાસન ચાલે છે ભારતમાં..',મોરેશિયસમાં CJI ગવઈનું સૂચક નિવેદન
CJI B.R. Gavai Slams Bulldozer Justice: ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી. આર. ગવઈએ મોરેશિયસમાં એક કાર્યક્રમને સંબોધતા ભારતીય ન્યાયિક પ્રણાલીના મૂળભૂત સિદ્ધાંત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, 'ભારતીય ન્યાયિક પ્રણાલી બુલડોઝરના શાસન દ્વારા નહીં, પરંતુ કાયદાના શાસન દ્વારા સંચાલિત થાય છે.' તેમણે તાજેતરના એક ચુકાદાનો ઉલ્લેખ કરીને બુલડોઝર ન્યાયની સખત નિંદા કરી હતી.
'બુલડોઝર દ્વારા નહીં, કાયદા દ્વારા સંચાલિત ભારત'
કાયદાના શાસનના સિદ્ધાંત અને તેના વ્યાપક અર્થઘટન પર પ્રકાશ પાડતા CJI ગવઈએ કહ્યું, 'આ ચુકાદો સ્પષ્ટ સંદેશ આપે છે કે ભારતીય ન્યાયિક વ્યવસ્થા બુલડોઝરના શાસન દ્વારા નહીં, પરંતુ કાયદાના શાસન દ્વારા સંચાલિત થાય છે."
CJI બી. આર. ગવઈ જે હાલમાં મોરેશિયસની ત્રણ દિવસની મુલાકાતે છે, તેમણે પોતાના 'બુલડોઝર જસ્ટિસ' કેસના ચુકાદાને ટાંક્યો હતો. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, 'કથિત ગુનાઓના આરોપીઓના ઘરો તોડી પાડવાથી કાનૂની પ્રક્રિયાઓને બાયપાસ કરાય છે, જે કાયદાના શાસનનું ઉલ્લંઘન કરે છે અને બંધારણની કલમ 21 હેઠળ આશ્રયના મૂળભૂત અધિકારનું પણ ઉલ્લંઘન કરે છે.'
આ પણ વાંચો: RSSની પ્રશંસા કરતા સંજય દત્ત પર ભડક્યાં કોંગ્રેસ નેતા, એક્ટર માટે વાપર્યા વાંધાજનક શબ્દો
ટ્રિપલ તલાક અને ગોપનીયતાના અધિકારનો ઉલ્લેખ
મહાત્મા ગાંધી અને બી.આર. આંબેડકરના યોગદાનનો ઉલ્લેખ કરતાં CJI ગવઈએ કહ્યું કે, 'તેમનું વિઝન દર્શાવે છે કે ભારતમાં કાયદાનું શાસન ફક્ત નિયમોનો સમૂહ નથી, પરંતુ તે સુશાસન અને સામાજિક પ્રગતિના ધોરણ તરીકે કામ કરે છે.
ઉલ્લેખનીય છે કે, તેમણે તાજેતરના કેટલાક નોંધપાત્ર નિર્ણયોનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં મુસ્લિમોમાં ટ્રિપલ તલાકની પ્રથા નાબૂદ કરવાનો નિર્ણય તેમજ ગોપનીયતાના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપતા નિર્ણયના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.


