ભારતના આ રાજ્યમાં મૂશળધાર વરસાદે વિનાશ વેર્યો, 1નુ મોત, 4 ગુમ, ભૂસ્ખલન થતા મકાનો ધ્વસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અરુણાચલ પ્રદેશમાં સતત થઈ રહેલી મૂસળધાર વરસાદે વ્યાપક તબાહી મચાવી દીધી છે. રાજ્યના કેયી પાન્યોર (Keyi Panyor) જિલ્લામાં બુધવારે સવારે અચાનક આવેલી ફ્લેશ ફ્લડ (પૂર) અને ભૂસ્ખલન (Landslide) ની ઘટનાઓમાં 1 મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે 4 અન્ય લોકો હજુ પણ લાપતા છે. આ કુદરતી આપત્તિમાં 17 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 3 ની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક ભાગોમાં માર્ગ સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે અને સેંકડો મુસાફરો રસ્તામાં ફસાયા છે. લાપતા લોકોની શોધખોળ માટે વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
શિક્ષિકાનો શવ મળ્યો, 4 લોકો હજુ પણ લાપતા
અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેયી પાન્યોર જિલ્લાના યાજાલી સર્કલ હેઠળ પુસા નજીક આવેલી NEEPCO પ્રોજેક્ટ કોલોનીમાં વહેલી સવારે અચાનક આવેલા પૂરે સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. આપત્તિ બાદ ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન વિવેકાનંદ કેન્દ્ર વિદ્યાલય (VKV), NEEPCO કેમ્પસના શિક્ષિકા 35 વર્ષીય નિર્મલા ગુપ્તાનો શવ મળી આવ્યો છે. તે પૂર બાદ લાપતા થયેલા 5 લોકોમાં સામેલ હતા. બાકીના 4 લાપતા લોકોની ઓળખ એલેશ મારક (13), બલારી મારક (30), તાઓ અંજીના (46) અને સૌરભ કુમાર તરીકે થઈ છે. ખરાબ હવામાનને કારણે બુધવારે સાંજે સર્ચ ઓપરેશન રોકી દેવાયું હતું, જે ગુરુવારે સવારે ફરી શરૂ કરાશે.
6 જિલ્લાનો સંપર્ક તૂટ્યો, વીજ ઉત્પાદન બંધ
સાવચેતીના પગરૂપે NEEPCO એ પાન્યોર લોઅર હાઇડ્રોપાવર પ્રોજેક્ટના ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કર્યું છે અને પાવર પ્રોજેક્ટમાં વીજ ઉત્પાદન અસ્થાયી ધોરણે રોકી દીધું છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે-13 (NH-13) પર પોટિન અને હોજ પાસે રસ્તાઓ બંધ થઈ ગયા છે. આનાથી કેયી પાન્યોર, ક્રા દાદી, કુરુંગ કુમે, લોઅર સુબનસિરી, કામલે અને અપર સુબનસિરી સહિત 6 જિલ્લાઓનો સંપર્ક પ્રભાવિત થયો છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા રસ્તાઓ સાફ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને પ્રવાસીઓને નદી કિનારાના વિસ્તારોમાં જવાનું ટાળવા સખત સૂચના આપવામાં આવી છે.
50 થી વધુ ઘરો પ્રભાવિત, એરફોર્સની લેવાઈ મદદ
રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સચિવ દાની સુલુએ જણાવ્યું કે, સતત વરસાદને કારણે એક નિર્માણાધીન રિટેનિંગ વોલ તૂટી પડી હતી, જેના લીધે નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં અચાનક પાણી ભરાઈ ગયું હતું. સ્થાનિક અહેવાલો અનુસાર 50 થી વધુ ઘરો આ પૂરમાં વહી ગયા છે અથવા પ્રભાવિત થયા છે. ગંભીર રીતે ઘાયલ 3 લોકોને સારવાર માટે લોઅર સુબનસિરી જિલ્લાના ઝીરો ખાતે મોકલાયા છે. બચાવ કામગીરીમાં ભારતીય વાયુસેના (IAF) ના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે, જેણે ઇટાનગરથી પિટાપૂલ સુધી SDRF ના જવાનો, રબર બોટ અને રાહત સામગ્રી પહોંચાડી છે.









