અયોધ્યાથી પરત ફરી રહેલી તીર્થયાત્રીઓની બસ ખીણમાં ખાબકી, એકનું મોત, 25ને ઈજા

Bihar Accident: બિહારમાં પટણાના પૂરગ્રસ્ત વિસ્તારમાં આવેલા મોકામા ફોરલેન પર શુક્રવારે (21મી નવેમ્બર) વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અયોધ્યાથી સિમરિયા ધામ પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી બસે ડ્રાઇવરે કાબૂ ગુમાવતા તે 20 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં એક મહિલા શ્રદ્ધાળુનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય 25 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ડ્રાઇવરને ઝોકું આવતાં અકસ્માત
અહેવાલો અનુસાર, બસમાં સવાર તમામ 45 શ્રદ્ધાળુઓ મધુબની જિલ્લાના રહેવાસી હતા અને અયોધ્યાની મુલાકાત લીધા પછી સિમરિયા ધામ જવા રવાના થયા હતા. બસ બરહાપુર બાયપાસ નજીક પહોંચી ત્યારે ડ્રાઇવરને અચાનક ઝોકું આવી ગયું હતું, જેના કારણે વાહન પરનો કાબૂ છૂટી ગયો અને બસ સીધી ખીણમાં ખાબકી હતી.
અકસ્માત સર્જાતાની સાથે જ હોબાળો મચી ગયો હતો. સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક બચાવ કાર્યમાં જોડાયા હતા અને મોકામા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. મોકામા પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી તમામ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક મોકામા ટ્રોમા સેન્ટર અને રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

