Get The App

કેરળના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર ભાજપનો મેયર, તિરુવનંતપુરમમાં વી વી રાજેશને 100માંથી 51 વોટ

Updated: Dec 26th, 2025

GS TEAM

Google News
Google News
V V Rajesh


V V Rajesh: કેરળના રાજકારણમાં શુક્રવારે એક નવો સૂર્યોદય થયો છે. દાયકાઓથી ડાબેરીઓ અને કોંગ્રેસના વર્ચસ્વવાળા આ રાજ્યમાં ભાજપે ઇતિહાસ રચી દીધો છે. ભાજપના વરિષ્ઠ નેતા વી. વી. રાજેશ કેરળની રાજધાની તિરુવનંતપુરમ નગર નિગમના પ્રથમ ભાજપના મેયર તરીકે ચૂંટાયા છે.

આંકડાકીય જંગ: કેવી રીતે મળી જીત?

શુક્રવારે સવારે યોજાયેલી મેયરની ચૂંટણીમાં 45 વર્ષીય વી. વી. રાજેશને કુલ 51 મતો મળ્યા હતા, જેની સાથે જ 100 સભ્યોની હાજરીવાળા ગૃહમાં ભાજપે બહુમતી માટે જરૂરી આંકડો સફળતાપૂર્વક મેળવી લીધો હતો. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને એક અપક્ષ કાઉન્સિલર એમ. રાધાકૃષ્ણનનું પણ મહત્ત્વનું સમર્થન પ્રાપ્ત થયું હતું. મતોના સમીકરણ પર નજર કરીએ તો, ભાજપના વી. વી. રાજેશને 51 મત મળ્યા હતા, જ્યારે તેમની સામે લડી રહેલા CPIMના આર.પી. શિવાજીને 29 અને કોંગ્રેસ પ્રેરિત UDFના ઉમેદવાર કે. એસ. સબરિનાથનને માત્ર 19 મતોથી સંતોષ માનવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બરની શરુઆતમાં યોજાયેલી મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપે 100માંથી 50 બેઠકો જીતીને અગાઉથી જ પોતાની મજબૂત પકડ સાબિત કરી દીધી હતી.

45 વર્ષનો એકહથ્થુ શાસનનો અંત

આ જીત ભાજપ માટે માત્ર એક શહેરની સત્તા નથી, પરંતુ એક મોટી વિચારધારાની જીત માનવામાં આવે છે. છેલ્લા 45 વર્ષોથી તિરુવનંતપુરમ નગર નિગમ પર CPM(ડાબેરીઓ)નો કબજો હતો. ભાજપે આ પરંપરાને તોડીને દક્ષિણ ભારતમાં પોતાની શક્તિનો પરિચય આપ્યો છે. કેરળ ભાજપ અધ્યક્ષ રાજીવ ચંદ્રશેખરે આક્ષેપ કર્યો હતો કે પાછલા શાસનમાં નિગમ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું હતું અને પાયાની સુવિધાઓ જેવી કે કચરા વ્યવસ્થાપન અને પાણીના મુદ્દે શહેર પાછળ ધકેલાઈ ગયું હતું.

આ પણ વાંચો: રાજસ્થાનમાં સાત વર્ષમાં ગેરકાયદે ખનન મુદ્દે 7,000થી વધુ FIR; એકલા અરવલ્લી પટ્ટામાં જ 4,000થી વધુ કેસ

મેયર વી. વી. રાજેશનું વિઝન

પદ સંભાળ્યા બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં વી. વી. રાજેશે જણાવ્યું કે, 'અમે સૌને સાથે લઈને આગળ વધીશું. શહેરના તમામ 101 વૉર્ડમાં સમાન વિકાસ કરવામાં આવશે. અમારું લક્ષ્ય તિરુવનંતપુરમને એક આધુનિક અને વિકસિત શહેરમાં બદલવાનું છે.'

આગામી વિધાનસભા ચૂંટણી માટે મોટા સંકેત

કેરળમાં આગામી છ મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. અત્યાર સુધી ભાજપને કેરળમાં મોટી સફળતા મળી નથી(2016માં માત્ર 1 બેઠક અને 2024માં 1 લોકસભા બેઠક). આવી સ્થિતિમાં, રાજધાનીના મેયર પદ પર ભાજપનો વિજય એ સંકેત આપે છે કે રાજ્યની શહેરી જનતા હવે પરિવર્તન ઇચ્છી રહી છે. આ જીત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કાર્યકરો માટે બુસ્ટર ડોઝ સમાન સાબિત થશે.

કેરળના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર ભાજપનો મેયર, તિરુવનંતપુરમમાં વી વી રાજેશને 100માંથી 51 વોટ 2 - image