‘કેજરીવાલે પંજાબમાં શીશમહેલ બનાવ્યો’ તસવીર સાથે ભાજપનો દાવો, AAPએ પણ આપ્યો જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Arvind Kejriwal New Sheesh Mahal In Punjab : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર ભાજપે પંજાબમાં વધુ એક ‘શીશમહેલ’ બનાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. દિલ્હી ભાજપે ગુગલ અર્થની સેટેલાઇટ તસવીર શેર કરીને દાવો કર્યો છે કે, કેજરીવાલે હવે પંજાબમાં દિલ્હી કરતાં પણ ભવ્ય શીશમહેલ બનાવ્યો છે. રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલિવાલે પણ આ તસવીર શેર કરીને આવો જ આક્ષેપ કર્યો છે. જોકે, આમ આદમી પાર્ટીએ આ દાવાને રદીયો આપ્યો છે અને ભાજપને એલોટમેન્ટ લેટર બતાવવાનો પડકાર ફેંક્યો છે.
ભાજપે બંગલાની સેટેલાઇટ ઇમેજ શેર કરી
દિલ્હી ભાજપે એક્સ પર એક બંગલાની સેટેલાઇટ ઇમેજ શેર કરી છે. તેમાં લખાયું છે કે, ‘Big Breaking - આમ આદમીનો ઢોંગ કરનારા કેજરીવાલે વધુ એક ભવ્ય શીશમહેલ બનાવ્યો છે. દિલ્હીનો શીશમહેલ ખાલી થયા બાદ પંજાબના સુપર સીએમ અરવિંદ કેજરીવાલજીએ પંજાબમાં દિલ્હીથી પણ શાનદાર શીશમહેલ તૈયાર કરાવ્યો છે. ચંદીગઢના સેક્ટર-બેમાં સીએમ ક્વોટાની બે એકરની આલીશાન સેવન સ્ટાર સરકારી કોઠી અરવિંદ કેજરીવાલજીને મળી ગઈ છે.’
ભાજપના દાવા નકલી અને પાયાવિહોણા : AAP
આમ આદમી પાર્ટીએ ભાજપના દાવાને નકલી અને પાયાવિહોણા ગણાવ્યા છે. AAPના દિલ્હી એકમે એક્સ પર જવાબ આપતા લખ્યું છે કે, ‘જ્યારથી વડાપ્રધાનની નકલી યમુનાની વાર્તા પકડાઈ ગઈ છે, ત્યારથી ભાજપ બોખલાઈ ગઈ છે, જેના કારણે ભાજપ આજકાલ બધું જ નકલી કરી રહી છે, જેમ કે નકલી યમુના, નકલી પ્રદૂષણના આંકડા અને હવે નકલી સેવન સ્ટાર ઘર બનાવ્યાનો દાવો. ભાજપ પાયાવિહોણા દાવો કરી રહી છે કે, ચંદીગઢમાં સેવન સ્ટાર ઘર બનાવાયું છે, પરંતુ ચંદીગઢનું એડમિનિસ્ટ્રેશન ભાજપ પાસે છે, તેથી તેઓ જ કંઈક બનાવી શકે છે, બીજું કોઈ નહીં. ભાજપનો દાવો છે કે, કેજરીવાલજીને કોઈક ઘર એલોટ કરાયું છે, તો એલોટમેન્ટ લેટર ક્યાં છે? ભાજપ સીએમ કેમ્પ ઑફિસની તસવીર શેર કરીને બોખલાઈ જઈ નકલી દાવા કરી રહી છે.’
આ પણ વાંચો : ‘RSS પર ફરી પ્રતિબંધ લગાવવો જોઈએ’, ખડગેએ સંઘ અને ભાજપ પર સાધ્યું નિશાન








