Rajnath Singh Reaction On Rahul Gandhi Alligation : બિહારના જમુઈમાં એક ચૂંટણી સભાને સંબોધન કરતી વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘ભારતીય સેનામાં દેશની 10 ટકા વસ્તીનો જ કંટ્રોલ છે.’ આ અંગે જવાબ આપતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ‘રાહુલ ગાંધી દેશની સેનાને રાજકારણમાં ઢસડી રહ્યા છે. આ અરાજકતા ફેલાવવાનો પ્રયાસ છે.’
સંરક્ષણ દળોમાં અરાજકતા ફેલાવવાનો રાહુલનો પ્રયાસ : રાજનાથ સિંહ
બિહારના જમુઈ ખાતે ચૂંટણી પ્રચાર દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘રાહુલ ગાંધી સંરક્ષણ દળોમાં અનામતની માંગ કરીને દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સેનાને રાજકારણમાં ન ઘસડો. હવે રાહુલ સશસ્ત્ર દળોમાં અનામતનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. આ દેશમાં અરાજકતા ફેલાવવાના પ્રયાસ સિવાય બીજું કંઈ નથી. આપણી સેનાઓ આવા તમામ મતભેદોથી ઉપર છે.’
‘સેનામાં રાજકારણ ન લાવો’
તેમણે કહ્યું કે, ‘સૈનિકો માટે માત્ર એક જ ધર્મ છે અને તે છે સૈન્ય ધર્મ... અનામત હોવું જોઈએ. અમે અનામતનું સમર્થન કરીએ છીએ અને ગરીબોને આપ્યું પણ છે, પરંતુ જ્યારે સેનાની વાત આવે છે, ત્યારે આપણા સૈનિકો ફક્ત એક જ ધર્મ, સૈન્ય ધર્મનું પાલન કરે છે. તેના સિવાય બીજો કોઈ ધર્મ નથી. સેનામાં રાજકારણ ન લાવો. જ્યારે પણ દેશ પર સંકટ આવ્યું છે, ત્યારે આપણા સૈનિકોએ તેમના સાહસ અને પરાક્રમથી ભારતને ગૌરવ અપાવ્યું છે.’
આ પણ વાંચો : 'રાહુલ ગાંધી પોતાની નિષ્ફળતા છુપાવે છે', વોટ ચોરીના સનસનીખેજ આરોપો બાદ ભાજપનો જવાબ
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
ઓરંગાબાદ અને કુટુમ્બામાં એક રેલીને સંબોધિત કરતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘દેશની 90 ટકા વસ્તી દલિત, મહાદલિત, પછાત, અતિ પછાત અથવા લઘુમતી સમુદાયોમાંથી છે. 500 સૌથી મોટી કંપનીઓની યાદી કાઢો તો ત્યાં આ સમુદાયનો કોઈ વ્યક્તિ નહીં મળે. તેઓ તમામ ટોચના 10 ટકા લોકોથી આવે છે. તમામ નોકરીઓ તેમની પાસે જાય છે. સેના પર એ જ 10 ટકા લોકોનો કંટ્રોલ છે.’
આ પણ વાંચો : VIDEO: પટણા એરપોર્ટ પર આમને-સામને આવી ગયા તેજસ્વી અને તેજ પ્રતાપ, પછી જુઓ શું થયું


