ભવાનીપુરનો ગઢ ધરાશાયી: શુભેન્દુ અધિકારી સામે કેમ હાર્યા મમતા બેનર્જી? જાણો હારના 5 મુખ્ય કારણો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Bhabanipur Election 2026: પશ્ચિમ બંગાળમાં 2026ની વિધાનસભા ચૂંટણીમાં ભવાનીપુર બેઠક પર થયેલો પરાજય એ માત્ર એક બેઠકની હાર નથી, પરંતુ રાજ્યના બદલાતા રાજકીય પ્રવાહનો મોટો સંકેત છે. જે બેઠકે 2021માં મમતા બેનર્જીને મુખ્યમંત્રી પદ પર ટકાવી રાખ્યા હતા, તે જ બેઠકે 2026માં તેમને કારમી હાર આપી છે. ભાજપના શુભેન્દુ અધિકારીએ 15,000 મતોથી મમતા બેનર્જીને હરાવીને બંગાળમાં સત્તા પરિવર્તનનો પાયો નાખ્યો છે.
મમતા બેનર્જીની હારના મુખ્ય 5 કારણો
1. મતદારોનું બદલાતું સમીકરણ અને 'વિંગ શિફ્ટ'
ભવાનીપુરને 'મિની ઇન્ડિયા' માનવામાં આવે છે, જ્યાં બંગાળી, બિન-બંગાળી અને મુસ્લિમ મતદારોનું મિશ્રણ છે. આ વખતે માત્ર બિન-બંગાળી હિન્દુ અને વેપારી વર્ગ જ નહીં, પરંતુ બંગાળી હિન્દુ મતદારોનો એક મોટો હિસ્સો પણ ભાજપ તરફ વળ્યો હતો. શહેરીકરણ અને બદલાતા કલ્ચરને કારણે મમતા બેનર્જીની 'ઘરેર મેયે' (ઘરની દીકરી) વાળી અપીલ આ વખતે નબળી પડી અને તે નિર્ણાયક સાબિત થઈ.
2. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) ફેક્ટર
આ ચૂંટણીમાં મતદાર યાદીમાં થયેલા ફેરફાર એટલે કે SIRની મોટી અસર જોવા મળી. અહેવાલો મુજબ, ભવાનીપુરમાંથી 47,000થી 51,000 જેટલા નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા, જેમાં લઘુમતી અને ગરીબ વર્ગના મતદારો વધુ હોવાનું મનાય છે. તૃણમૂલ કોંગ્રેસે આને લક્ષિત કાર્યવાહી ગણાવી હતી, કારણ કે તેનાથી તેમનો કોર વોટ બૅન્ક નબળો પડ્યો અને જીત-હારના અંતરમાં આ પરિબળ મહત્ત્વનું સાબિત થયું.
3. ભાજપનું વ્યૂહાત્મક 'ચક્રવ્યૂહ' અને શુભેન્દુ અધિકારી
ભાજપે આ લડાઈને પ્રતિષ્ઠાના જંગમાં ફેરવી નાખી હતી. મમતા બેનર્જીને અગાઉ નંદીગ્રામમાં હરાવનાર શુભેન્દુ અધિકારીને જ ભવાનીપુરના મેદાનમાં ઉતારીને ભાજપે મોટો સંદેશ આપ્યો હતો. અમિત શાહની સીધી હાજરી અને બૂથ-લેવલ મેનેજમેન્ટની સાથે બિન-મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ કરવામાં ભાજપ સફળ રહ્યું, જેના કારણે મમતા બેનર્જી ભાજપના આ વ્યૂહાત્મક ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા.
4. એન્ટી-ઇન્કમ્બન્સી અને ભ્રષ્ટાચારના આક્ષેપો
બંગાળમાં 15 વર્ષના શાસન પછી તૃણમૂલ કોંગ્રેસ વિરુદ્ધ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. કટ-મની, સિન્ડિકેટ રાજ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપોને કારણે મધ્યમ વર્ગ સરકારથી નારાજ હતો. રોજગાર, મોંઘવારી અને વહીવટી પારદર્શિતા જેવા મુદ્દાઓ પર લોકોએ ફેરફારની અપેક્ષાએ ભાજપને વ્યાપક સમર્થન આપ્યું.
આ પણ વાંચો: હારમાં પણ જીત! પ્રાદેશિક પક્ષોના ગઢ ધરાશાયી થતાં હવે કોંગ્રેસ માટે ખાસ તક
5. મહિલા સુરક્ષાનો મુદ્દો અને કાયદો-વ્યવસ્થા
આરજી કર મેડિકલ કૉલેજની દુર્ઘટનાએ મહિલા સુરક્ષાના મુદ્દાને ચૂંટણીના કેન્દ્રમાં લાવી દીધો હતો. આ ઘટનાએ મમતા બેનર્જીની 'મહિલાઓના મજબૂત નેતા' તરીકેની છબીને મોટો ફટકો માર્યો હતો. સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ (જેમ કે લક્ષ્મી ભંડાર) હોવા છતાં, શિક્ષિત અને શહેરી મતદારોમાં સુરક્ષા અને રોજગારની ચિંતા વધુ પ્રબળ રહી, જે અંતે હારનું કારણ બની.








