Banke Bihari Temple Treasure: ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના વૃંદાવનમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ બાંકેબિહારી મંદિરને દાનમાં મળેલા કરોડો રુપિયાને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરની ઉચ્ચ-સ્તરીય સમિતિના અધ્યક્ષ, નિવૃત્ત ન્યાયાધીશ અશોક કુમારે મંદિરના બૅંક ખાતાઓમાં આશરે 350 કરોડ જમા કરાવતા બૅંક અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં બૅંક અધિકારીઓએ આ રકમને ખાસ રીતે સંચાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો. સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે, વર્ષ 2016 સુધીમાં આ બૅંકોમાં જમા રકમ આશરે 150 કરોડ રુપિયા હતી, જે હવે 2025માં વધીને આશરે 350 કરોડ રુપિયા સુધી પહોંચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે આ રકમ આશરે 12 બૅંક ખાતામાં જમા કરવામાં આવી છે, જે હવે એડજસ્ટ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગંદકી ફેલાવી તો મળશે 'રિટર્ન ગિફ્ટ'! કચરો ઘરે પરત મોકલશે તંત્ર, બેંગલુરુમાં અનોખી પહેલ
શું થશે બૅંકમાં આટલા જમા પૈસાનું
એવું કહેવામાં આવી રહ્યું છે કે, તમામ બૅંક ખાતાને એડજસ્ટ કરીને સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયામાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ રકમ બૅંકમાં MOD(મલ્ટિ ઓપ્શન ડિપોઝિટ)માં જમા કરવામાં આવી છે. MODમાં જમા કરાવવા પર ઓછો વ્યાજ દર મળે છે. બૅંકમાં જમા થયેલી રકમનો ચોક્કસ જથ્થો હજુ સુધી અંદાજવામાં આવ્યો નથી, પરંતુ તે આશરે ₹350 કરોડ હોવાનો અંદાજ છે. નોંધનીય છે કે, સમિતિના અધ્યક્ષ અશોક કુમારે બૅંક મેનેજરોને સમિતિને સમગ્ર રકમની વિગતો પૂરી પાડવા અને તેની FD માટે વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો છે.
19 નવેમ્બરના રોજ યોજાશે આગામી બેઠક
આ સાથે વધુ વિગત આપતાં સમિતિના સભ્ય દિનેશ ગોસ્વામીએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, 'મંદિર સંબંધિત 12 બૅંક ખાતા ખોલવામાં આવ્યા હતા, જેમાં કુલ રકમ આશરે ₹350 કરોડ હતી. ઉચ્ચ સ્તરીય સમિતિએ જણાવ્યું હતું કે આગામી બેઠક 19 નવેમ્બરના રોજ યોજવામાં આવશે, જેમાં આ ભંડોળ અતંર્ગત નિર્ણયો પર રિપોર્ટ લેવામાં આવશે.' સમિતિના જણાવ્યા અનુસાર ત્રણ બૅંક ખાતાઓમાં સૌથી વધુ રકમ છે, જેમાં એફડી અને અન્ય કિંમતી સામાનનો સમાવેશ થાય છે. બૅંક મેનેજમેન્ટને એ દરેકની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. આ સિવાય અન્ય બૅંક ખાતાઓની વિગતો પણ માંગવામાં આવી છે.


