1 જાન્યુઆરીથી બદલાશે બેંકના નિયમો, જાણો કયા છે નવા નિયમ
જો તમે બેંક લોકર લીધું છે અથવા લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે.
બેંકની બેદરકારીને કારણે લોકરમાં કોઈ પણ વસ્તુનું નુકસાન થાય તો બેંકે ગ્રાહકોને વળતર ચુકવવું પડશે

તા. 19 ડીસેમ્બર 2022, સોમવાર
SBIઅને PNB સહિત અન્ય બેંકોએ ગ્રાહકોને SMS દ્વારા નવા નિયમો વિશે માહિતી આપવાનું શરૂ કરી દીધું છે. આવતા નવા વર્ષથી એટલે કે બેંક 1 જાન્યુઆરી, 2023 સુધીમાં વર્તમાન લોકર ગ્રાહકો સાથે નવા કરાર(એગ્રીમેન્ટ) કરશે. નોંધનીય છે કે બેંક લોકર એગ્રીમેન્ટ પોલિસી હેઠળ ગ્રાહકને લોકર ફાળવતી વખતે બેંક જે તે ગ્રાહક સાથે લેખીત કરાર (એગ્રીમેન્ટ) કરે છે. ત્યારબાદ લોકરની સુવિધા આપવામાં આવે છે. લોકર એગ્રીમેન્ટની નકલ કાગળ પર બંને પક્ષો દ્વારા સહીઓ કરવામાં આવે છે, જે લોકર ભાડે લેનારને તેના અધિકારો અને જવાબદારીઓ જાણવા માટે આપવામાં આવે છે. જ્યારે કરારની મૂળ નકલ બેંકની જે તે શાખામાં રહે છે.
આરબીઆઈએ કહ્યું કે બેંકોએ ખાલી લોકરની યાદી અને લોકરનો વેઈટીંગ લિસ્ટ નંબર દર્શાવવો પડશે. ઉપરાંત બેંક વધુમા વધુ ત્રણ વર્ષના સમયગાળા માટે એક સમયે લોકરનું ભાડું વસૂલવાનો અધિકાર રાખે છે. ઉદાહરણ તરીકે જો લોકરનું ભાડું રૂ. 1,500 છે તો બેન્ક અન્ય મેન્ટેનન્સ ચાર્જને બાદ કરતાં તમારી પાસેથી રૂ. 4,500થી વધુ વસૂલ કરી શકશે નહીં.
બેંકો અનુચિત નિયમો ઉમેરી શકશે નહીં
રિઝર્વ બેંકે સુધારેલી નિર્દેશ સૂચના મુજબ બેંકોએ સુનિશ્ચિત કરવું પડશે કે તેમના લોકર કરારમાં કોઈ અનુચિત નિયમો અથવા શરતો નથી. RBIએ ગ્રાહકોના હિતની સુરક્ષા માટે આવું કર્યું છે કારણ કે ઘણી વખત બેંકો શરતોનો લખી ગ્રાહકની સહી કરાવી હવાલો આપીને તેમની જવાબદારીમાંથી છટકી જાય છે. ઉપરાંત, કરારની શરતો બેંકના હિતના રક્ષણ માટે જરૂરી કરતાં વધુ કડક રહેશે નહીં.
બેંક લોકરનો ચાર્જ લોકરના માપ અને તેને કદના આધારે
SBI અનુસાર બેંક લોકરનો ચાર્જ લોકરના માપ અને તેને કદના આધારે રૂ. 500 થી રૂ. 3,000 સુધીનો હોય છે. મોટા શહેરો અને મહાનગરોમાં બેંકો નાના, મધ્યમ, મોટા અને વધારાના મોટા કદના લોકર માટે વાર્ષિક રૂ. 2,000, રૂ. 4,000, રૂ. 8,000 અને રૂ. 12,000 વસૂલે છે. અર્ધ-શહેરી અને ગ્રામીણ સ્થળોએ બેંક નાના, મધ્યમ, મોટા અને વધારાના મોટા કદના લોકર માટે રૂ. 1,500, રૂ. 3,000, રૂ. 6,000 અને રૂ. 9,000 ચાર્જ વસુલ કરે છે.
નવા નિયમ મુજબ SMSઅને ઇમેઇલથી ગ્રાહકને જાણ કરવી ફરજિયાત
અનધિકૃત રીતે ખોલવામાં આવેલ લોકરનાં કિસ્સામાં બેંકોએ દિવસના અંત પહેલા ગ્રાહકોના રજિસ્ટર્ડ મોબાઈલ ઈ-મેલ પર તારીખ, સમય અને જરૂરી પગલાં લેવાની જાણ કરવી ફરજિયાત રહેશે. આરબીઆઈએ માર્ગદર્શિકામાં એમ પણ કહ્યું છે કે દરેક ગ્રાહકને એસએમએસ દ્વારા લોકરની નવી વ્યવસ્થા વિશે જાણ કરવી ફરજિયાત છે જેથી ગ્રાહકો અગાઉથી જાગૃત રહે. આ ઉપરાંત જ્યારે પણ તમે લોકરને ઉપયોગ કરશો ત્યારે તમને બેંક દ્વારા ઈ-મેલ અને SMS દ્વારા એલર્ટ કરવામાં આવશે.
આ છે નવા નિયમોમાં ફારફાર
- નવા નિયમો અનુસાર જો લોકરનો માલિક કોઈને નોમિની બનાવે છે, તો બેંકોએ તેને સામાન ઉપાડવાની છૂટ આપવી પડશે.
- જો લોકરની સામગ્રી ભૂકંપ, પૂર, તોફાન વગેરે જેવી કુદરતી આફતોને કારણે નુકસાન થાય છે, તો બેંક તેના માટે વળતર આપવા માટે જવાબદાર રહેશે નહીં.
- જો ગ્રાહકની પોતાની ભૂલ અથવા બેદરકારીને કારણે નુકસાન થયું હોય તો પણ બેંકો ગ્રાહકોને કોઈ પૈસા આપશે નહી
માલને નુકસાન થશે તો બેંક જવાબદાર રહેશે
સામાન્ય રીતે બેંકો લોકરની અંદર રાખેલી કોઈપણ વસ્તુ માટે બેંકો જવાબદાર નથી એમ કહીને ચોરીના મામલામાંથી છટકી જાય છે. બેંકો જવાબદારી નકારતી હોવાથી ગ્રાહકો કાયદાકીય રાતે કાંઈ જ કરી શકતાં નથી. જાન્યુઆરી 2023 પછી બેંક લોકરમાંથી સામાનનું નુકસાન અથવા ખોટના કિસ્સામાં બેંકો તેમની જવાબદારીમાંથી છટકી શકશે નહીં. ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIના નવા સ્ટાન્ડર્ડ અનુસાર જો બેંકની બેદરકારીને કારણે લોકરમાં કોઈ પણ વસ્તુનું નુકસાન થાય છે, તો બેંકે ગ્રાહકોને વળતર ચુકવવુ પડશે.
આરબીઆઈની માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે અહીં સુરક્ષાની બાબતે તમામ પગલાં ભરવાની જવાબદારી બેંકોની છે. નોટિફિકેશન મુજબ બેંકમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ કે બેદરકારીને કારણે આગ, ચોરી, લૂંટ જેવા મામલા ન બને તે સુનિશ્ચિત કરવાની જવાબદારી બેંકોની છે.

