Get The App

બિહારમાં 243 બેઠક પર શંકરાચાર્ય ઉતારશે 'ગૌભક્ત' ઉમેદવાર, તમામ રાજકીય પક્ષો ટેન્શનમાં

Updated: Sep 17th, 2025

GS TEAM

Google News
Google News
બિહારમાં 243 બેઠક પર શંકરાચાર્ય ઉતારશે 'ગૌભક્ત' ઉમેદવાર, તમામ રાજકીય પક્ષો ટેન્શનમાં 1 - image

Bihar Assembly Election 2025: બિહાર વિધાસભા ચૂંટણી 2025થી રાજકારણ ગરમાયું છે. સનાતન ધર્મ અને ગૌ રક્ષા મુદ્દે ફરી એકવાર વિવાદ સર્જાયો છે. આ વિવાદ વચ્ચે જ્યોતિષ પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી રાજકારણમાં ઝંપલાવી રહ્યા છે. તેમણે જાહેરાત કરી છે કે, તેમની આગેવાની હેઠળ બિહારની તમામ 243 વિધાનસભા બેઠક પર ગૌ ભક્ત ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતારશે. 

ગૌ મતદાતા સંકલ્પ યાત્રાની અસર

તેમણે આ જાહેરાત ગૌ મતદાતા સંકલ્પ યાત્રા દરમિયાન કરી હતી. તેમણે ફારબિસગંજના લક્ષ્મી નારાયણ ઠાકુરવાડીમાં ગૌ રક્ષકો અને સનાતન ભક્તોની ભીડ વચ્ચે સ્પષ્ટ જાહેરાત કરી હતી કે, ગાયનું સંરક્ષણ જ સનાતન ધર્મ અને ભારતીય સમાજની વાસ્તવિક રક્ષા છે. વર્તમાન રાજકીય પક્ષ માત્ર વેશભૂષામાં સનાતની હોવાનું નાટક કરે છે. પરંતુ વાસ્તવમાં તેમના કાર્યોમાં ગૌ માતા કે સનાતન ધર્મની ચિંતા જોવા મળતી નથી. 

ગૌ માતાને રાષ્ટ્ર માતા બનાવવાનું અભિયાન

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું હતું કે, મેં તમામ રાષ્ટ્રીય પક્ષો સાથે મુલાકાત લીધી છે, અને સંસદમાં 'ગૌ માતાને રાષ્ટ્ર માતા' જાહેર કરવાની માગ કરી છે, પરંતુ અત્યારસુધી કોઈ પક્ષે સ્પષ્ટ સમર્થન આપ્યું નથી. ધર્મ અને ગૌ સંરક્ષણ માટે હવે અમારૂ સંગઠન ચૂંટણીના મેદાનમાં ઉતરશે. વધુમાં તેમણે કહ્યું કે, અમે તમામ ઉમેદવારોના પક્ષમાં ચૂંટણી પ્રચાર કરીશું અને સનાતની મતદાતાઓને આહ્વાન કરીશું કે, તેઓ ગૌ ભક્ત ઉમેદવારની પસંદગી કરે. ફારબિસગંજમાં હજારો સનાતન ધર્મ પ્રેમીઓને ગૌ માતા અને સનાતન ધર્મની રક્ષા માટે મતદાન કરવા શપથ લેવડાવ્યા હતા.

આ પણ વાંચોઃ પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણથી એન્જિન બગડે? કેન્દ્ર સરકારે સત્ય જણાવ્યું, ભાવિ પ્લાનનો ખુલાસો કર્યો

ગૌ હત્યા મુદ્દે સરકારની આકરી ટીકા

શંકરાચાર્યે બિહારમાં સતત વધતી પશુ વધશાળાઓ અને ગૌ હત્યા પર પણ રાજ્ય સરકારની નીતિઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ગાયની રક્ષા પર આજ સુધી કોઈપણ સરકારે આકરી નીતિ લીધી નથી. સરકારે માત્ર રાજકારણ કર્યું છે. પરંતુ સનાતન ધર્મનું અપમાન ચૂપચાપ સહન કર્યું છે. બિહારના ચૂંટણી માહોલમાં શંકરાચાર્યની આ પહેલ સનાતન રાજનીતિનો નવો મોરચો જોવા મળ્યો છે. શું ગૌ ભક્ત ઉમેદવાર નવા સમીકરણ રચી શકશે, તેની અસર મર્યાદિત રહેશે કે કેમ, તે જોવાનું રહેશે.

બિહારમાં 243 બેઠક પર શંકરાચાર્ય ઉતારશે 'ગૌભક્ત' ઉમેદવાર, તમામ રાજકીય પક્ષો ટેન્શનમાં 2 - image