India

ચૂંટણી વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો, આસામમાં ઉપરાછાપરી બે મોટા નેતાઓના રાજીનામા

By GS TEAM
18 Mar 20262 mins read
TukuTouch Logo
આસામ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે, જેના કારણે રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. નગાંવના સાંસદ પ્રદ્યુત બોરદોલોઈ અને આસામ પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ નવજ્યોતિ તાલુકાદારે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા જ આ દિગ્ગજ નેતાઓના જવાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચૂંટણી વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો, આસામમાં ઉપરાછાપરી બે મોટા નેતાઓના રાજીનામા

Assam Assembly Elections 2026: આસામ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે, જેના કારણે રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. નગાંવના સાંસદ પ્રદ્યુત બોરદોલોઈ અને આસામ પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ નવજ્યોતિ તાલુકાદારે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા જ આ દિગ્ગજ નેતાઓના જવાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. 

પક્ષની કાર્યપદ્ધતિ અને સંકલનના અભાવથી ભારે નારાજગી

નવજ્યોતિ તાલુકાદારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેને મોકલેલા રાજીનામાના પત્રમાં પક્ષની કાર્યપદ્ધતિ સામે ભારે નારાજગી દર્શાવી છે. તેમણે પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે, પક્ષમાં લાંબા સમયથી ચાલી રહેલા સંકલનનો અભાવ અને વારંવારની ફરિયાદો કરવા છતાં પણ કોઈ યોગ્ય ઉકેલ ન આવતા, હવે તેમના માટે કોંગ્રેસમાં કાર્યરત રહેવું શક્ય નથી.

પૂર્વ પ્રમુખ ભૂપેન બોરાહ બાદ હવે બોરદોલોઈની વિદાયથી પક્ષ મુશ્કેલીમાં

બીજી તરફ, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈએ પણ અત્યંત દુઃખ સાથે કોંગ્રેસના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જાણવા મળ્યું છે કે ટિકિટની વહેંચણી અને ઉમેદવારોની પસંદગીને લઈને પક્ષમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણને કારણે આ રાજીનામાં પડ્યા છે. બોરદોલોઈએ તાજેતરમાં જ લાહોરીઘાટ બેઠક પરના સંભવિત ઉમેદવાર સામે વાંધો ઉઠાવ્યો હતો અને રાજીનામું આપવાની ચીમકી પણ આપી હતી. ફેબ્રુઆરીમાં પૂર્વ પ્રમુખ ભૂપેન બોરાહે ભાજપમાં જોડાયા બાદ, કોંગ્રેસ માટે આ એક પછી એક ત્રીજો મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કારની આગ ઘર સુધી ફેલાઈ, અનેક સિલિન્ડર બ્લાસ્ટ થતાં 7ના મોત

આસામ ચૂંટણીનું રણશિંગુ: 9 એપ્રિલે તમામ 126 બેઠકો પર મતદાન

આસામમાં આગામી 9 એપ્રિલના રોજ તમામ 126 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થવાનું છે અને 4 મેના રોજ પરિણામ જાહેર થશે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાના નેતૃત્વમાં ભાજપ સતત ત્રીજી વખત સત્તામાં આવવા માટે પ્રયત્નશીલ છે, જ્યારે કોંગ્રેસ સત્તા વાપસીના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરી છે. વર્ષ 2021ની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા NDA ગઠબંધને 75 બેઠકો જીતી હતી, જેમાં ભાજપે એકલે હાથે 60 બેઠકો કબજે કરી હતી, જ્યારે કોંગ્રેસ અને AIUDFના ગઠબંધનને માત્ર 16 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.