Uttar Pradesh News: ઉત્તર પ્રદેશમાં 69,000 શિક્ષક ભરતી કેસને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. આ કેસમાં કથિત સરકારી બેદરકારીથી રોષે ભરાયેલા ઉમેદવારોએ શનિવારે (25મી ઑક્ટોબર) રાજ્યના શિક્ષણ મંત્રી સંદીપ સિંહના નિવાસસ્થાને દેખાવ કર્યો હતો. ઉમેદવારોનો આરોપ છે કે છેલ્લા એક વર્ષથી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા આ કેસની સુનાવણી થઈ શકી નથી, કારણ કે સરકાર તરફથી કોઈ વકીલ હાજર રહેતા નથી.
સરકારની બેદરકારીથી સુનાવણીમાં વિલંબ
વિરોધ કરી રહેલા ઉમેદવારોએ ફરિયાદ કરી હતી કે રાજ્ય સરકાર જાણી જોઈને કેસની સુનાવણીમાં વિલંબ કરી રહી છે અને તેમની સમસ્યાઓ પર કોઈ ધ્યાન આપી રહી નથી. એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, સરકારનું પ્રતિનિધિત્વ કરનાર વકીલ સુપ્રીમ કોર્ટમાં ગેરહાજર રહે છે. પરિણામે લાંબા સમયથી પેન્ડિંગ આ કેસમાં આગળની કાર્યવાહી થઈ શકતી નથી, જેના કારણે ઉમેદવારોને ન્યાય મળવામાં વિલંબ થઈ રહ્યો છે.
ઉમેદવારોએ માંગ કરી હતી કે સરકાર તાત્કાલિક સુપ્રીમ કોર્ટમાં સક્ષમ વકીલોની નિમણૂક કરે અને સુનાવણી શરુ કરાવે.
ઉમેદવારોએ આપી ચેતવણી
રોષે ભરાયેલા ઉમેદવારોએ ચેતવણી આપી છે કે જો ઉત્તર પ્રદેશ સરકાર તાત્કાલિક આ મામલે પગલાં નહીં લે, તો તેઓ આ મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે ઉઠાવશે. ઉમેદવારોનું કહેવું છે કે, 'અમે એક વર્ષથી કોર્ટના દરવાજા ખખડાવી રહ્યા છીએ. જ્યારે સરકાર વતી કોઈ વકીલ જ હાજર ન થાય, તો સુનાવણી કેવી રીતે આગળ વધે?'
ઉમેદવારોએ સરકાર પર 'દલિત વિરોધી' હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, 'સરકાર દલિતો પાસેથી મત લે છે, પરંતુ કોર્ટમાં તેમના અધિકારોનો બચાવ કરવાની તસ્દી પણ લેતી નથી. જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો, આ ઉમેદવારો બિહારના દરેક ગામમાં જઈને ઉત્તર પ્રદેશની સરકારની આ બેદરકારીનો પ્રચાર કરશે.' નોંધનીય છે કે, ઉમેદવારોએ સરકાર પર ઝડપી પગલાં લેવા માટે દબાણ વધાર્યું છે.


