દિવાળી પહેલા ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે ઘઉં પર MSP વધારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Wheat MSP : કેન્દ્ર સરકારે બુધવારે દેશના ખેડૂતોના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા રવી પાક 2026-27 માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં નોંધપાત્ર વધારો કર્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે જાણકારી આપી હતી. સરકારે છ મુખ્ય રવી પાક જેવા કે ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો-સરસવ અને સૂર્યમુખી માટે MSPને મંજૂરી આપી છે.
ઘઉંની MSPમાં કરાયો વધારો
ઘઉંની MSPમાં રૂપિયા 160 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે, જેનાથી નવો ભાવ રૂપિયા 2,585 પ્રતિ ક્વિન્ટલ થયો છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આ MSP વધારાના કારણે ખેડૂતોની મહેનત પેટે કુલ રૂપિયા 84,263 કરોડની રકમ તેમના ખાતામાં જશે. સરકાર રવી સીઝન 2026-27 દરમિયાન 297 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદીનો અંદાજ લગાવી રહી છે. આટલી મોટી ખરીદી પર ખેડૂતોને પ્રસ્તાવિત MSP મુજબ રૂપિયા 84,263 કરોડની રકમની ચૂકવણી કરવામાં આવશે.
આ છ ઉત્પાદનોની MSPમાં કરાયો વધારો
રવી પાક 2026-27 માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા મુજબ, ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પર 50 ટકા થી વધુનો માર્જિન મળશે. સૌથી વધુ ફાયદો ઘઉં અને મસૂરના ખેડૂતોને થશે. ઘઉંની નવી MSP રૂપિયા 2,585 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાઈ છે, જેના પર ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પર 109 ટકાનો નફો મળશે. મસૂરની MSP રૂપિયા 7,000 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરાઈ છે, જે તેના ઉત્પાદન ખર્ચ પર 89 ટકા નફો આપે છે. આ ઉપરાંત, રાયડો-સરસવની MSP રૂપિયા 6,200 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે, જેના પર 93 ટકા નફો છે. ચણાની નવી MSP રૂપિયા 5,875 પ્રતિ ક્વિન્ટલ અને જવની MSP રૂપિયા 2,150 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાઈ છે. સૂર્યમુખીની MSP રૂપિયા 6,540 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરાઈ છે, જેના પર ખેડૂતોને 50 ટકા માર્જિન મળશે.








