Uttar Pradesh Political News : ગેંગસ્ટર અતીક અહેમદના પુત્ર અલી અહેમદને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાંથી ઝાંસી જેલમાં લઈ જવાયો છે. ઝાંસી જેલ પહોંચ્યા બાદ અલી અહેમદે મીડિયા સાથે વાતચીત કરી અને પોતાની પીડા વ્યક્ત કરતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિનંતી કરી છે.
મને 500 કિમી દૂરની જેલમાં ધકેલી દેવાયો : અલી અહેમદ
અલી અહેમદે મુખ્યમંત્રીને વિનંતી કરી કે, ‘મને હવે વધુ હેરાન ન કરો, જે કંઈ થઈ ગયું, તે થઈ ગયું, પરંતુ મને બિનજરૂરી પરેશાન કરવામાં આવી રહ્યો છે, તેમાંથી બચાવો. જ્યારે હું હોમ ડિસ્ટ્રીક જેલ પ્રયાગરાજમાં હતો, ત્યારે મને એકલો રખાયો હતો. અહીં કોઈને મળવાની કે કોઈની સાથે વાત કરવાની પણ મંજૂરી નહોતી. હવે મને લગભગ 400-500 કિલોમીટર દૂર ઝાંસી જેલમાં મોકલી દેવાયો છે.’
અલીની બેરેકમાંથી રોકડા મળી આવ્યા હતા
જૂન 2025માં નૈની સેન્ટ્રલ જેલમાં અલી અહેમદના બેરેકમાંથી 1100 રોકડ મળી આવ્યાનો મામલો સામે આવ્યો હતો. આ મુદ્દે અલીએ કહ્યું કે, ‘આ પૈસા કૂપન ખરીદવા માટે હતા, જે જેલમાં કાયદેસર છે, પરંતુ આ ઘટનાને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. તે સમયે જેલ પ્રશાસને એક ડેપ્યુટી જેલર અને હેડ વોર્ડનને સસ્પેન્ડ કર્યા હતા અને અલીને તરત જ હાઈ-સિક્યોરિટી બેરેકમાં શિફ્ટ કરી દીધો હતો.’ એવું કહેવાય છે કે, આ ઘટનાઓને ધ્યાને રાખીને અલીને અન્ય જેલમાં ખસેડવાનો નિર્ણય લેવાયો છે.
‘ હું ઝાંસીની જેલમાં સુરક્ષિત રહીશ કે નહીં’
અલીએ કહ્યું કે, ‘હું મીડિયા દ્વારા કહેવા માંગું છું કે, મુખ્યમંત્રીને વિનંતી છે કે, મને વધુ ન સતાવવામાં આવે, જે થઈ ગયું તે થઈ ગયું, મને હેરાન કરવામાં આવી રહ્યો છું, મુખ્યમંત્રી મને બચાવી લે. મને 400 કિમી દૂરની જેલમાં ધકેલી દેવાયો છે, જ્યાં મને ખતરો છે કે નહીં, તે તમે જાણો છો. મને નાની બેરેકમાં મુકવામાં આવ્યો છે, જેમાં પાંચથી છ લોકો બેછા છે. હું કાયદાનો વિદ્યાર્થી છું અને દિલ્હીમાં રહીને અભ્યાસ કરતો હતો, જોકે મારા પર 8 જેટલા ખોટા કેસ કરવામાં આવ્યા છે અને જેલમાં ધકેલી દેવાયો છે. હું ઝાંસીની જેલમાં સુરક્ષિત રહીશ કે નહીં.’
અલીએ ઉમેશ પાલનું મર્ડર કર્યું હતું
ઉલ્લેખનીય છે કે, અલી અહેમદ ઉમેશ પાલ હત્યા કેસનો આરોપી છે. લાંબા સમય સુધી પોલીસની પકડમાંથી ભાગતા રહ્યા બાદ તેણે 30 જુલાઈ 2022ના રોજ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું.


