મૂશળધાર વરસાદને કારણે અરુણચાલ પ્રદેશ ભારતથી સંપર્કવિહોણું થયું, NH-113 ધોવાયો
Arunachal Pradesh Heavy Rain: અરુણાચલ પ્રદેશમાં મૂશળધાર વરસાદે તબાહી મચાવી છે. આ ભારે વરસાદના કારણે અરુણાચલ પ્રદેશનો અંજાવ જિલ્લો છેલ્લા આઠ દિવસથી દેશના બાકીના ભાગોથી સંપૂર્ણપણે સંપર્કવિહોણું થઈ ગયું છે. આ ભારે વરસાદમાં ભારત-ચીન અને ભારત-મ્યાનમાર સરહદને જોડતા નેશનલ હાઈવે-113 ધોવાઈ ગયો છે. આના કારણે આ રસ્તો પણ ઉપયોગ કરવા યોગ્ય નથી રહ્યો. આ હાઈવેના અરોવા-ખુપા-હયુલિયાંગના મોનપાની સેક્શન પર પણ સ્થિતિ સારી નથી. આ કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ ચીની સરહદને અડીને આવેલા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તારોમાં પહોંચવું પણ મુશ્કેલ બની રહ્યું છે.
આવશ્યક વસ્તુઓ લાવવી પણ મુશ્કેલ
રસ્તો બંધ થવાને કારણે દૂરના કિબિથૂ અને ચગલાગામ સુધી પહોંચવું મુશ્કેલ બની ગયું છે. આ બંને વિસ્તારો વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે ચીન અને મ્યાનમારની સરહદ સાથે જોડાયેલા છે. બીજી તરફ ઘણા વિસ્તારોમાં સ્થાનિક સમુદાયના લોકો અલગ પડી ગયા છે. ખાસ કરીને હાયુલિયાંગ, હવાઈ અને આસપાસના ગામોમાં વસ્તુઓની ભારે અછત સર્જાઈ રહી છે. વાહનોની અવરજવર બંધ થવાને કારણે તમામ સ્થાનિક લોકો પગપાળા ચાલીને આવશ્યક વસ્તુઓ લાવવા માટે લાચાર છે.
એડવાઈઝરી જારી
સ્થાનિક અધિકારીઓએ ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. તેમાં સ્થાનિક રહેવાસીઓને રાત્રે મુસાફરી કરવાનું ટાળવા અને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ વચ્ચે મહિલા અને બાળ વિકાસ મંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય દાસાંગ્લૂ પુલે જમીન પર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. તેમણે કહ્યું કે મોનાપાનીમાં કામ ચાલી રહ્યું છે. અધિકારીઓ આ માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરી રહ્યા છે. આ ઉપરાંત ફસાયેલા લોકોને મદદ કરવા માટે હેલિકોપ્ટર સેવા પણ શરૂ કરવામાં આવી છે.
કામચલાઉ રસ્તો બનશે
મંત્રી પુલે એ પણ જણાવ્યું કે, 'ભવિષ્યમાં કોઈ સમસ્યા આવે તો તેનો ઉપયોગ કરી શકાય તે માટે એક કામચલાઉ રસ્તાને મંજૂરી આપવામાં આવી છે. એક વાર પરિસ્થિતિ સામાન્ય થયા પછી આ નવા રસ્તા માટે કામ શરૂ થશે. NH-113 કોરિડોરના મહત્વ પર ભાર મૂકતા મંત્રીએ કહ્યું કે, આ રસ્તો હાઈવે કરતા મહત્ત્વપૂર્ણ છે. તે જીવનરેખા છે. હું લોકોને શાંતિ અને સહયોગ જાળવવા અપીલ કરું છું. લોકોની સમસ્યાઓના ઉકેલ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.'