એર ઈન્ડિયાના વધુ એક વિમાનમાં ખામી, મુસાફરોને અધવચ્ચે જ છોડી ઉતારી દેવાયા
Air India: સેન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટના એક એન્જિનમાં ટેક્નિકલ ખરાબી આવી હતી. જેના કારણે મંગળવારે (17 જૂન) કોલકાતાના એરપોર્ટ પર વિમાનના સ્ટોપઓવર દરમિયાન મુસાફરોને ઉતારવા પડ્યા હતા. ફ્લાઇટ AI180 સમયસર 00:45 વાગ્યે એરપોર્ટ પર પહોંચી, પરંતુ ડાબા એન્જિનમાં ટેક્નિકલ ખરાબીના કારણે ઉડાનમાં મોડું થયું. લગભગ 05:50 વાગ્યે વિમાનના તમામ મુસાફરોને ઉતરવા માટે કહેવામાં આવ્યું છે. વિમાનના કેપ્ટને મુસાફરોને જણાવ્યું કે, ફ્લાઇટની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ 36 કલાકમાં ભારત આવતાં ત્રણ બોઇંગ ડ્રીમલાઇનર વિમાનોએ પરત જવું પડયું
શું હતી ઘટના?
એર ઈન્ડિયાની ફ્લાઇટ AI180 નિર્ધારિત સમય અનુસાર સેન ફ્રાન્સિકો એરપોર્ટથી રવાના થઈ હતી. જોકે, કોલકાતા એરપોર્ટ પર સવારે 12:45 વાગ્યે પહોંચ્યા બાદ એન્જિનમાં ટેક્નિકલ ખામી જોવા મળી હતી. ચાર કલાકથી વધુ સમય બાદ સવારે 5:20 વાગ્યે જણાવવામાં આવ્યું કે, તમામ મુસાફોને વિમાનથી નીચે ઉતરવું પડશે.
આ પણ વાંચોઃ એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી, રાંચી જતું વિમાન પાછું દિલ્હી ડાયવર્ટ
અમદાવાદ અકસ્માત બાદ ભયનો માહોલ
નોંધનીય છે કે, પાંચ દિવસ પહેલા જ્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ કર્યાના થોડી જ મિનિટોમાં બી.જે મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાઈ હતી. ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો, 10 કેબિન ક્રૂ સભ્યો અને બે પાઈલટનો સમાવેશ થાય છે. બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ સિવાય બધાના મોત થયા હતા. ત્યારથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.