36 કલાકમાં ભારત આવતાં ત્રણ બોઇંગ ડ્રીમલાઇનર વિમાનોએ પરત જવું પડયું
- અમદાવાદની ઘટના બાદ બોઇંગ વિમાનો ધરાવતી એરલાઇન્સ વધુ એલર્ટ
- હોંગ કોંગ-દિલ્હી અને લંડન-ચેન્નાઇ ફ્લાઇટમાં ખામી જ્યારે જર્મની-હૈદરાબાદ ફ્લાઇટને બોમ્બની ધમકી બાદ પાછી વળાઇ
- એર ઇન્ડિયા એક્સપ્રેસની રાંચી જતી ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા દિલ્હી ડાઇવર્ટ કરાઇ
નવી દિલ્હી : અમદાવાદમાં એર ઇન્ડિયાનું જે વિમાન ક્રેશ થયું તે બોઇંગ ડ્રીમલાઇનર તરીકે ઓળખાય છે. છેલ્લા ૩૬ કલાકમાં આ બોઇંગ ડ્રીમલાઇનર સાથે વધુ ત્રણ ઘટનાઓ સામે આવી છે. જેમાં બોમ્બની અફવા કે કેટલીક ખામીને કારણે ત્રણ ફ્લાઇટોએ પરત ફરવુ પડયું હતું. આ ત્રણેય વિમાનો ભારત તરફ આવી રહ્યા હતા પરંતુ વિવિધ કારણોસર પરત વાળવા પડયા હતા. આ વિમાન ચેન્નાઇ, હૈદરાબાદ અને દિલ્હીમાં ઉતરવાના હતા.
હોંગ કોંગથી દિલ્હી તરફ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ૩૧૫એ ૧૬મી તારીખે હોંગ કોંગથી ત્રણ કલાક મોડા ઉડાન ભરી હતી, જોકે તેણે ઉડાન ભર્યાના એક કલાકમાં જ પરત ફરવુ પડયું હતું, કેટલીક ટેક્નીકલ ખામી જણાતા પાયલોટે વિમાનને પાછુ વાળી લીધુ હતું.
એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે વિમાન સુરક્ષિત હોંગ કોંગ પરત લેન્ડ થયું હતું. હાલ આ વિમાનની તપાસ કરવામાં આવી રહી છે. બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર વિમાને સ્થાનિક સમય મુજબ સવારે ૯.૪૫ કલાકે હોંગ કોંગથી ઉડાન ભરી હતી, અને બપોરે સાડા બાર વાગ્યા આસપાસ દિલ્હી ઉતરવાનું હતું.
જોકે ફ્લાઇટરડાર-૨૪ મુજબ ત્રણ કલાક મોડુ થયા બાદ ફ્લાઇટે ઉડાન ભરી હતી. ટેક્નીકલ ખામી જણાતા પાયલોટે તેને પરત વાળી લીધી હતી.
જ્યારે રવિવારે બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ લંડનના હીથ્રો એરપોર્ટ પર પરત ફરી હતી, આ ફ્લાઇટ ચેન્નાઇ આવી રહી હતી જોકે ટેક્નીકલ ખામી જણાતા ફ્લાઇટને પરત વાળી લેવામાં આવી હતી. આ ફ્લાઇટ પણ બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર હતી, જેણે લંડનથી ૩૬ મિનિટના વિલંબ બાદ ઉડાન ભરી હતી, જોકે તરત જ તેને પરત વાળવી પડી હતી, એરપોર્ટ પર પરત લેન્ડિંગ પહેલા આ વિમાને હવામાં અનેક વખત આટાફેરા કરવા પડયા હતા. બોઇંગ વિમાન સાથે અન્ય એક આવો જ મામલો જર્મનીથી હૈદરાબાદ આવી રહેલી ફ્લાઇટમાં સામે આવ્યો છે.
લુફ્થાન્સા એરલાઇન્સ સાથે જોડાયેલી આ ફ્લાઇટે જર્મનીના ફ્રેન્કફ્રૂટ એરપોર્ટથી ઉડાન ભરી હતી, જોકે બોમ્બની ધમકી બાદ વિમાનને લેન્ડિંગ કરવાની છૂટ નહોતી અપાઇ જેને પગલે તેને પરત વાળવી લેવામાં આવી હતી.
આ ફ્લાઇટે રવિવારે જર્મનીથી ઉડાન ભરી હતી અને સોમવારે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગ કરવાનું હતું. એરલાઇન્સે કહ્યું હતું કે ઓથોરિટીએ સોશિયલ મીડિયા પર મળેલી બોમ્બની ધમકીને ધ્યાનમાં રાખીને ફ્લાઇટને પરત વાળી લીધી હતી. બાદમાં સોમવારે તમામ મુસાફરોને ફરી હૈદરાબાદ માટે રવાના કરાયા હતા. અમદાવાદની ઘટના બાદ હવે બોઇંગ વિમાન ધરાવતી અન્ય એરલાઇન્સ પણ સતર્ક થઇ ગઇ છે.