આ ત્રણ આતંકીએ જ પહલગામમાં હુમલો કર્યો હતો એવું કેવી રીતે કન્ફર્મ થયું, જાણો સરકારનો સંસદમાં જવાબ
Operation Sindoor Debate In Loksabha: પહલગામ હુમલાના ગુનેગાર લશ્કરના સુલેમાન શાહ અને અન્ય બે આતંકીઓને 'ઓપરેશન મહાદેવ' હેઠળ ઠાર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં વિગતવાર સમજાવ્યું કે કેવી રીતે આ ત્રણેય આતંકીઓએ જ પહલગામમાં 26 પર્યટકોની હત્યા કરી હતી એ કન્ફર્મ થયું.
રાઇફલ કનેક્શન અને FSL રિપોર્ટથી પુષ્ટિ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું, કે 'ઓપરેશન મહાદેવ હેઠળ સુલેમાન ઉર્ફે ફૈઝલ, અફઘાન અને જિબ્રાન એમ ત્રણ આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે. સુલેમાન A શ્રેણી લશ્કર એ તૈયબાનો કમાન્ડર હતો અને તે પહલગામ હુમલામાં સામેલ હતો. અફઘાન અને જિબ્રાન પણ A ગ્રેડ આતંકવાદી હતા. હું સમગ્ર દેશને જણાવવા માંગુ છું કે પહલગામ હુમલામાં આપણાં નાગરિકોને જેમણે માર્યા તે ત્રણેય આતંકવાદીને મોતને ઘાટ ઉતારી દીધા છે.'
આ ત્રણેય આતંકવાદીઓને ઠાર કર્યા બાદ તેમની પાસેથી ત્રણ રાઇફલ્સ જપ્ત કરવામાં આવી હતી. જેમાં એક M-9 અને બે AK-47 હતી. આ ત્રણેય રાઇફલ્સની કારતૂસની ખાતરી ચંદીગઢ FSL(ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)માં તપાસ માટે મોકલીને કરવામાં આવી છે. છ વૈજ્ઞાનિકોની ટીમે ખાતરી કરી છે કે, આ રાઇફલ્સમાં તે જ કારતૂસ સામેલ છે, જે પહલગામ આતંકવાદી હુમલામાં વપરાઈ હતી.
NIA તપાસ શા માટે?
અમિત શાહે ઓપરેશન સિંદૂર પર જણાવ્યું કે, 'જે દિવસે લશ્કર અને TRF (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) એ હુમલાની જવાબદારી સ્વીકારી, તે જ દિવસે નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી(NIA) ને તપાસનો આદેશ આપવામાં આવ્યો. આતંકીઓ દેશ છોડીને ભાગી ન જાય તે પ્રાથમિકતા હતી.
ઓપરેશન મહાદેવની કામગીરી
1055 લોકોની 3000થી વધુ કલાક સુધી પૂછપરછ થઈ હતી. તમામ પૂછપરછ વીડિયોમાં રૅકોર્ડ થઈ હતી. તેના આધારે સ્કેચ બનાવવામાં આવ્યા હતા. 22 મેના રોજ બશીર અને પરવેઝની ઓળખ કરવામાં આવી, તેઓએ આતંકવાદીઓને સહાય પૂરી પાડી હતી. તે હાલ કસ્ટડીમાં છે. ગઈકાલે હાથ ધરાયેલા ઓપરેશન મહાદેવમાં ત્રણેય આતંકવાદીઓના ઢીમ ઢાળી દેવામાં આવ્યા હતાં. તેમની રાઇફલ્સને એફએસએલ માટે મોકલવામાં આવી હતી. ત્રણેય પાકિસ્તાની આતંકવાદીઓ હતા.
પાકિસ્તાની કનેક્શન અને કોંગ્રેસ પર પ્રહાર
અમિત શાહે પાકિસ્તાની આતંકીઓના વોટર નંબર, રાઇફલ અને પાકિસ્તાની ચોકલેટ જેવી વિગતો રજૂ કરી. આ સાથે જ તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, 'દેશના પૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરમ પાકિસ્તાનને શા માટે ક્લીન ચીટ આપી રહ્યા છે? જો આ આતંકીઓ પાકિસ્તાની નહોતા, તો પાકિસ્તાન પર હુમલો શા માટે કર્યો?' તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ નેતા ચિદમ્બરમે પાકિસ્તાનને બચાવવાનું ષડયંત્ર રચ્યું છે.