Get The App

સર તન સે જુદા, જય શ્રી રામ... જેવા સૂત્રો વિશે અલ્લાહાબાદ હાઈકોર્ટની મહત્ત્વની ટિપ્પણી, જાણો સંપૂર્ણ વિગત

Updated: Dec 19th, 2025

GS TEAM

Google News
Google News
સર તન સે જુદા,  જય શ્રી રામ... જેવા સૂત્રો વિશે અલ્લાહાબાદ હાઈકોર્ટની મહત્ત્વની ટિપ્પણી, જાણો સંપૂર્ણ વિગત 1 - image


Allahabad High Court: અલ્લાહાબાદ હાઈકોર્ટે ધાર્મિક સૂત્રોચ્ચાર અને તેનાથી ફેલાતી હિંસા અંગે એક અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ પ્રકારના સૂત્રો મુદ્દે કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે 'સર તન સે જુદા' જેવા સૂત્રો માત્ર ભારતીય કાયદાની સત્તાને પડકારતા નથી, પરંતુ તે દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વનું પણ ઉલ્લંઘન કરે છે. આવા સૂત્રો લોકોને સશસ્ત્ર બળવા માટે ઉશ્કેરે છે અને તે સજાપાત્ર ગુનો છે.

કાયદાકીય વ્યવસ્થાને સીધો પડકાર

અલ્લાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ અરુણ કુમાર સિંહ દેશવાલે બરેલી હિંસાના આરોપીની જામીન અરજી ફગાવતા જણાવ્યું હતું કે, 'ભારત એક લોકશાહી દેશ છે જ્યાં સજા નક્કી કરવાનો અધિકાર માત્ર બંધારણ અને ન્યાયિક પ્રણાલી પાસે છે.' કોર્ટના મતે, આ પ્રકારના ઉશ્કેરણીજનક સૂત્રો IPCની કલમ 152 હેઠળ આવે છે, જે દેશની એકતા અને એકતાને જોખમમાં મૂકતા કૃત્યો સાથે સંબંધિત છે. 'સર તન સે જુદા' કહેવું એ સીધી રીતે ભારતીય ન્યાયતંત્રની સત્તાને નકારવા સમાન છે.

આ પણ વાંચો: જજોની 'છગ્ગા' મારવાની પ્રવૃત્તિ ચિંતાજનક, ગરીબોની ઉપેક્ષાથી ન્યાયતંત્ર પર વિશ્વાસ નહીં રહે :સીજેઆઈ

ધાર્મિક સૂત્રો વિરુદ્ધ હિંસક ઉશ્કેરણી

અલ્હાબાદ હાઈકોર્ટે વિવિધ ધર્મોના પવિત્ર સૂત્રોનો ઉલ્લેખ કરીને પાતળી ભેદરેખા સમજાવી હતી. કોર્ટના જણાવ્યાનુસાર, ઈસ્લામમાં 'નારા-એ-તકબીર', શિખ ધર્મમાં 'જો બોલે સો નિહાલ' અને હિન્દુ ધર્મમાં 'જય શ્રી રામ' કે 'હર હર મહાદેવ' જેવા સૂત્રો ભગવાન પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો આ જ સૂત્રોનો ઉપયોગ કોઈને ડરાવવા, ધમકાવવા કે હિંસા ભડકાવવા માટે કરવામાં આવે, તો તે ગુનાની શ્રેણીમાં આવે છે.

સૂત્રની ઉત્પત્તિ અને ધાર્મિક ગ્રંથોનો સંદર્ભ

કોર્ટે નોંધ્યું કે 'સર તન સે જુદા' સૂત્રનો ઉલ્લેખ કુરાન કે ઈસ્લામના કોઈ અધિકૃત ધાર્મિક ગ્રંથમાં નથી. આ સૂત્ર પાકિસ્તાનથી ભારત અને અન્ય દેશોમાં ફેલાયું હોવાનું જણાયું છે. પયગંબર સાહેબના નામે હિંસા કરવી કે કોઈનું શિરચ્છેદ કરવાનું કહેવું એ વાસ્તવમાં તેમના પવિત્ર આદર્શોનું અપમાન છે.

બરેલી હિંસાના આરોપીની જામીન ફગાવી

આ મામલો સપ્ટેમ્બરમાં બરેલીમાં થયેલી હિંસા સાથે જોડાયેલો છે. આરોપી રિહાને જામીન માટે અરજી કરી હતી, પરંતુ કેસ ડાયરીના પુરાવા મુજબ તે ગેરકાયદે ટોળાનો ભાગ હતો જેણે વાંધાજનક સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોલીસ અધિકારીઓ પર હુમલો કરી જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. આ ગંભીરતાને ધ્યાને રાખી હાઈકોર્ટે જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. રાજ્ય સરકાર વતી એડિશનલ એડવોકેટ જનરલ અનૂપ ત્રિવેદી હાજર રહ્યા હતા, જ્યારે આરોપી તરફથી એડવોકેટ અખિલેશ કુમાર દ્વિવેદીએ દલીલો કરી હતી.

Tags :